એકે બેંક એકાઉન્ટનું એક્સેસ આપવાના 1 લાખ લીધા તો અન્ય બે ખાતું ખોલાવી તેમાં આવતી રકમના બે ટકા કમિશન લેતા
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબીમાં એક વેપારી યુવાન સાથે ઞજઉઝ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 1.51 કરોડની છેતરપિંડી થઈ છે. આરોપીઓએ વોટ્સએપ દ્વારા સંપર્ક કરી યુવાનને રોકાણ કરવા લલચાવ્યો હતો. આ ગુનામાં 6 જૂને ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં એક આરોપીએ પોતાના બેંક એકાઉન્ટનાં એક્સેસ આપવાના 1 લાખ રૂપિયા લીધા હતા. તો અન્ય બે આરોપીએ આ પ્રકારના ખાતા ખોલાવી તેમાં આવતી રકમના બે ટકા કમિશન લેતા હતા. કોર્ટે ત્રણેય આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
- Advertisement -
મળતી માહિતી મુજબ, કાયાજી પ્લોટ વિસ્તારના પ્રમુખ હાઈટસ-1માં રહેતા નૈમિષભાઈ કનૈયાલાલ પંડિત (39) સામાકાંઠે શકિત ચેમ્બરમાં સીમકો સેલ્સ એજન્સી ચલાવે છે. તેમણે બે વોટ્સએપ નંબર (9157782692 અને 85265477801) ધારકો અને સાત અલગ-અલગ બેંક એકાઉન્ટ ધારકો સામે ફરિયાદ નોંધાવી છે.26 મે 2025ના રોજ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપીઓએ ગુનાહિત કાવતરું કરીને વ્હોટ્સએપ દ્વારા ફરિયાદી યુવાન સાથે વાતચીત કરી હતી અને ઓનલાઇન યુએસડીટી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી રૂપિયા કમાવવા માટેની લાલચ આપી હતી. આરોપીઓએ યુવાનનો વિશ્વાસ કેળવ્યા બાદ વિવિધ બહાનાઓ હેઠળ 1,51,02,500 રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. આ રકમ આજ સુધી પરત કરવામાં આવી નથી. જેથી યુવાનને વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ કરી હતી. જેની તપાસ પીઆઇ કે.કે. દરબાર અને તેની ટીમ કરી રહી હતી.
તેવામાં ગત રોજ પોલીસે રાકેશ સોલંકી, રાકેશ રાઠવા અને અરવિંદ પરમાર નામના ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ડીવાયએસપી વિરલ દલવાડીએ જણાવ્યું હતું કે, પહેલા ફેસબુક મેસેન્જરથી એક મેસેજ આવ્યો કે શું આપ રોકાણ કરવા માંગો છો. તેમણે હા પડતા પછી વોટ્સથી વાત શરુ થઇ. જેમાં તેઓ પ્રાફાઈટની ટિપ્સ આપતા અને ફેક વેબસાઈટ પર ખોટો પ્રોફિટ બતાવી ફરિયાદીને વિશ્વસમાં લીધા હતા.આ ઉપરાંત તેમણે અન્ય એક નંબર હેલ્પલાઇન તરીકે આપી તેના પર ટ્રાન્જેક્શન કરાવ્યા હતા. આવી રીતે કુલ નવ મહિનામાં કુલ સાત ટ્રાન્જેક્શન કરીને કુલ 1,51,02,500 રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું.