2100 કિલો વિવિધ ફુલોથી રામચંદ્રજીનો પુષ્પ અભિષેક કરાયો, 1 લાખ લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.7
રાજકોટના ઇસ્કોન મંદિરમાં રામનવમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ ભગવાન શ્રીરામની પાલખીયાત્રા નીકળી હતી અને ત્યારબાદ રામચંદ્રજીને 2100 કિલો વિવિધ રંગી ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો. રામનવમીના દિવસે ઇસ્કોન મંદિરમાં 1.5 લાખ ભાવિકો ઉમટી પડ્યા હતા અને 1 લાખ લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. શહેરના કાલાવડ રોડ પર સ્થિત ઇસ્કોન મંદિરનો રામનવમીના દિવસે 22મોં બ્રહ્મોત્સવ હોવાથી તેની પણ ઊજવણી કરવામાં આવી હતી. આ અંગે માહિતી આપતા ઇસ્કોન મંદિર રાજકોટના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજી જણાવે છે કે, આ વર્ષે રામનવમીના દિવસે ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન શ્રીરામચંદ્રના અવિર્ભાવ તેમજ મંદિર ના 22માં બ્રહ્મોત્સવની એમ બેવડી ખુશી હતી.
- Advertisement -
ઇસ્કોન મંદિર રાજકોટ ખાતે ભગવાન શ્રી સીતારામ, લક્ષ્મણ, હનુમાનજીનો રામ દરબાર પણ આવેલ છે માટે ઇસ્કોન મંદિર દ્વારા આ વર્ષે રામનવમીના પર્વની ખૂબ જ ઉલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સાંજે 4થી 6 ભક્તિમય અને સુમધુર કીર્તન, વિશેષ ભગવાન શ્રીરામની આરતી થઈ હતી. તો સાંજે 8:00 વાગ્યે 2100 કિલો વિવિધ પ્રકારના સુગંધિત ફૂલોથી ભગવાન શ્રીરામચંદ્રનો પુષ્પ અભિષેક કરવામા આવ્યો હતો. સાંજે 5 વાગ્યાથી સર્વ દર્શનાર્થીઓ માટે ફરાળી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતુ. ઇસ્કોન મંદિરમાં રામનવમી મહોત્સવ અને શ્રી રાધા નીલમાધવ ધામના 22મા બ્રહ્મોત્સવની ભવ્ય ઉજવણી થઈ હતી. જેમાં રામનવમીના પૂરા દિવસમાં 1.5 લાખથી વધુ મુલાકાતીઓએ મંદિરની મુલાકાત લીધી હતી અને 1 લાખથી વધુ લોકોએ સાંજનો મહાપ્રસાદ લીધો હતો. આ તકે રાજકોટના મેયર નયનાબેન પેઢાડિયાએ મંદિરની મુલાકાત લીધી હતી. આ સાથે જે રાજકોટના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ તેમજ મહાનુભાવોએ મંદિરની મુલાકાત લીધી અને ભગવાન રામચંદ્રના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.



