જનસેવાના ૯ દિવસના મહાયજ્ઞમાં ૧૬ હજારથી વધુ જનહિતલક્ષી કાર્યક્રમોના માધ્યમથી ૪૮.૫૬
લાખથી વધુ નાગરિકોને અપાયા ૧૩ હજાર કરોડના વિકાસ કાર્યોના લાભ
સાત પગલા ખેડૂત કલ્યાણના થકી કિસાનોનું આર્થિક સશક્તિકરણ
છેલ્લા પાંચ વર્ષોમાં ૨૨ લાખ ખેડૂતો પાસેથી રૂપિયા ૧૯ હજાર કરોડના ખર્ચે ૪૧ લાખ મેટ્રીક
ટનથી વધુ ખેતપેદાશોની ટેકાના ભાવે ખરીદી કરાઈ
ગુજરાતને શિક્ષિત અને દિક્ષિત બનાવવાની દિશામાં નક્કર કાર્ય થયું છે.
રાજકોટ ખાતે ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી : ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે રાષ્ટ્રધ્વજ લહેરાવી પરેડનું નિરીક્ષણ કર્યું : કોરોના વોરીયર્સનું સન્માન કરાયું : રાજકોટ જિલ્લાના વિકાસ કાર્યો માટે રૂપિયા ૨૫ લાખનો ચેક કલેકટર ને અર્પણ કરતાં ઉર્જા મંત્રી
રાજકોટ : ભારતવર્ષના ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની રાજકોટ જિલ્લામાં દેશભક્તિના અનોખા માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ સ્થિત ઘંટેશ્વર એસ. આર. પી. કેમ્પ ખાતે યોજાયેલા સ્વાતંત્ર્ય પર્વના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલે રાષ્ટ્રધ્વજ લહેરાવી, ત્રિરંગાને સલામી આપી પરેડ નિરીક્ષણ કર્યું હતુ.
- Advertisement -

આ પ્રસંગે ઉર્જા મંત્રી એ ગુજરાતની અવિરત વિકાસગાથાને આલેખતા જણાવ્યું હતુ કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને ભવ્ય અને દિવ્ય બનાવવાના મજબૂત પાયા નાખ્યા છે. એટલું જ નહી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બનતાં જ ગુજરાતની ઉન્નતિ અને સમૃધ્ધિના દ્વાર ખૂલી ગયા. વડાપ્રધાન ના કારણે ગુજરાતને બુલેટ ટ્રેન, રીવરફ્રન્ટ, રક્ષા શક્તિ યુનિવર્સિટી, ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીને નેશનલ ઈન્સ્ટિટ્યૂટનો દરજ્જો, વર્લ્ડ કલાસ ગાંધીનગર રેલ્વે સ્ટેશન તેમજ અમદાવાદ – સુરત મેટ્રો રેલની મંજુરી સહિતનાઅનેક નવા પ્રકલ્પોની ભેંટ મળી છે.
ગુજરાતના આ વિકાસને વર્તમાન સરકારે નવી દિશા સાથે આગળ ધપાવ્યો છે. મુખ્યમંત્રી વિજ્યભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ‘‘ટીમ ગુજરાત’’ ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ ભણી લઈ જવા પ્રતિબધ્ધતા સાથે નિષ્ડાપૂર્વક કાર્ય કરી રહી છે. તેમ જણાવતાં ઉર્જા મંત્રી એ ઉમેર્યું હતુ કે, છેલ્લા પાંચ વર્ષો ‘‘ સૌના સાથથી સૌના વિકાસ’’ના રહયાં છે. આ પાંચ વર્ષ પૂર્ણ થયાના અવસરે યોજાયેલા જનસેવાના ૯ દિવસના મહાયજ્ઞમાં ૧૬ હજારથી વધુ જનહિતલક્ષી કાર્યક્રમોના માધ્યમથી ૪૮.૫૬ લાખથી વધુ નાગરિકોને ૧૩ હજાર કરોડના વિકાસ કાર્યોના લાભ આપવામાં આવ્યો છે.
- Advertisement -
મંત્રીએ આ સરકાર ગરીબો, ખેડૂતોની સરકાર છે, અને તેથી જ કુદરતી આફતોના સમયમાં પણ સરકાર ખેડૂતોની પડખે ઉભી રહી છે, તેમ જણાવતાં કહયું હતુ કે, ગુજરાતમાં પાંચ વર્ષોમાં ૨૨ લાખ ખેડૂતો પાસેથી રૂપિયા ૧૯ હજાર કરોડના ખર્ચે ૪૧ લાખ મેટ્રીક ટનથી વધુ ખેતપેદાશોની ટેકાના ભાવે ખરીદી કરી ખેડૂતોને પોષણક્ષમ ભાવો આપીને તેમને સધ્ધર બનાવવાનું કાર્ય કરાયું છે. આ ઉપરાંત સાત પગલા ખેડૂત કલ્યાણના થકી કિસાનોનું આર્થિક સશક્તિકરણનું સંનિષ્ડ કાર્ય થયું છે.
ગુજરાતને શિક્ષિત અને દિક્ષિત બનાવવા રાજયમાં હાથ ધરાયેલા શિક્ષણના યજ્ઞ સમાન કાર્યોને વર્ણાવતાં ઉર્જામંત્રી સૌરભભાઈએ જણાવ્યુંહતુ કે, ગુજરાત આજે શિક્ષણનું હબ બન્યું છે. કોરોના મહામારીના સમયમાં પણ ઓનલાઈન શિક્ષણ, બાયસેગ દ્વારા શૈક્ષણીક કાર્ય, ટેલીવિઝાન કાર્યક્રમો દ્વારા અભ્યાસ થકી વિદ્યાર્થીઓના શિક્ષણને સુચારૂ રીતે આગળ ધપાવ્યું છે. રાજયમાં ૧૬ હજાર કલાસરૂમોમાં જ્ઞાનકુંજ પ્રોજેકટથી આધુનિક શૈક્ષણીક સવલતો ઉપલબ્ધ બનાવી છે. સાથો સાથ રાજયના ૯ લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂપિયા ૧૦૦૦ ના ટોકન દરે નમો ઈ-ટેબ આપીને યુવાનોની આંગળીના ટેરવે વિશ્વ સમક્ષ મુકી દીધુ છે.

આ સરકાર ગરીબો, વંચિતો, પીડીતો, શોષિતો અને આદિવાસીઓની દરકાર લેનારી સરકાર છે, તેમ જણાવી મંત્રી એ ઉમેર્યું હતુ કે, ૧૨ હજારથી વધુ સેવા સેતુ કાર્યક્રમોના માધ્યમથી રાજયના બે કરોડથી વધુ લોકોને ઘરઆંગણે જઈને તેમની જરૂરીયાતના ૫૬ જેટલા સરકારી દસ્તાવેજો પુરા પાડયા છે. એટલું જ નહી કોરોના કાળમાં ૬૮.૮૦ લાખથી વધુ ગરીબ NFSA પરિવારોને વિનામૂલ્યે અનાજ આપવામાં આવ્યું છે.

ઉર્જા મંત્રી એ રાજયમાં ઉર્જા ક્ષેત્રે હાથ ધરાયેલી આયોજનબધ્ધ કામગીરીનો ચિતાર આપતા કહયું હતુ કે, ગુજરાત આજે ઉર્જાક્ષેત્ર સ્વનિર્ભર જ નહી પરંતુ ઉર્જા સરપ્લસ રાજય બન્યું છે. એટલું જ નહી પરંતુ સમગ્ર દેશમાં કોઈપણ જાતના વીજ કાપ કે લોડ શેડીંગથી મુક્ત રાજય પણ રહયું છે. રાજ્યમાં કિસાન સુર્યોદય યોજના આયોજનબધ્ધ કાર્ય માટે રૂપિયા ૩૫૦૦ કરોડની જોગવાઈ કરી તે દિશામાં ઝડપભેર કાર્ય આરંભાયું છે. અત્યાર સુધીમાં પાંચ હજારથી વધુ ગામોના ૪.૫૦ લાખ ખેડૂતોને દિવસે વિજળી મળવાનું શરૂ થઈ ગયું છે. જે પૈકી રાજકોટ જિલ્લાના ૧૪૮ ગામોના ખેડૂતોને દિવસે વિજળી પ્રાપ્ત થઈ રહી છે.

૭૫માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના આ કાર્યક્રમમાં મંત્રી સૌરભભાઇએ પરેડ કમાન્ડર પી.આઇ. પી.એ.મારવાડા સાથેના રાજકોટ ગ્રામ્ય પોલીસ પુરૂષ અને મહિલા, રાજકોટ સીટી પોલીસ (પુરૂષ), રાજકોટ ટ્રાફિક પોલીસ, એન.સી.સી., હોમગાર્ડ, ટ્રાફીક બિગ્રેડ, રાજકોટ ગ્રામ્ય જી.આર.ડી., તથા રાજકોટ માઉન્ટેડ પોલીસની પ્લાટુનોનું પરેડનું નિરીક્ષણ કર્યુ હતું.

આ પ્રસંગે મંત્રી સૌરભભાઇ પટેલે રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુને વિકાસ કાર્યો માટે રુપિયા ૨૫ લાખનો ચેક અર્પણ કર્યો હતો.
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે રાજકોટની ન્યુ એરા સ્કુલ, સેન્ટ ગાર્ગી સ્કુલ, મીરામ્બીકા સ્કુલ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ જયારે રાજકોટ ગ્રામ્ય મહિલા પોલીસ દ્વારા જુડો- કરાટેના દાવપેચ અને રાજકોટ ગ્રામ્ય પોલીસના પુરુષ જવાનો દ્વારા યોગનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ તકે કોરોના મહામારીમાં પોતાની કે પરિવારની પરવાહ કર્યા વગર દિવસ રાત સતત ફરજ બજાવનાર ૨૬ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તથા વહિવટીતંત્રના મહેસુલી, શિક્ષણ,આરોગ્ય,પીજીવીસીએલ સહિતના વિવિધ વિભાગોના ૬૨ એમ કુલ મળી ૮૮ કોરોના વોરિયર્સનું મંત્રી સૌરભભાઇ પટેલના વરદ હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું. મંત્રી એ સ્વાતંત્ર્ય સેનાની સ્વ. ધીરજભાઇ લક્ષ્મીશંકર રાવલના ધર્મપત્ની જશુમતીબેન ધીરજલાલ રાવલનું સુતરની આંટી પહેરાવી સન્માન કર્યું હતું.

કાર્યક્રમના અંતે મંત્રી સૌરભભાઇ અને મહાનુભાવોના હસ્તે એસ.આર.પી. કેમ્પના પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું હતું. આ તકે મંત્રી સૌરભભાઇએ વન વિભાગના વનરથને લીલીઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
રાજકોટ ખાતેના ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીમાં સાંસદો સર્વ મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, ધારાસભ્યો સર્વ અરવીંદભાઇ રૈયાણી, ગોવીંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન વલ્લભભાઇ કથીરીયા, કલેકટર અરૂણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, રેન્જ આઇ.જી. સંદિપ સીંધ, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ કમિશ્નર ખુર્શીદઅહેમદ, જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીના, અગ્રણીઓ સર્વ ડી. કે. સખીયા, નાગદાનભાઇ ચાવડા સહિત પોલીસ અને એસ.આર.પી.ના જવાનો, વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.



