દર વર્ષે નર્મદાનું પાણી રણમાં ઘૂસી જતાં અગરિયાઓને નુકસાની વેઠવી પડે છે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.26
કચ્છનું નાનું રણ જે પ્રકારે વિદેશી પક્ષી, ઘુડખર અને વન્ય જીવો માટે જાણીતું છે તે પ્રકારે જ અહીં મોટા પ્રમાણમાં મીઠું પણ ઉત્પાદન થાય છે. કચ્છના નાના રણમાં અહીં છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતો કેટલાક પરિવારો મીઠાની ખેતી કરી રહ્યા છે. વર્ષના આઠ મહિના સુધી રણ વિસ્તારમાં નાનું ઝૂંપડું બાંધી રહેતા અને મીઠું પકવતા આ પરિવારો અગરિયા પરિવાર તરીકે ઓળખાય છે. ચોમાસાની સિઝન પૂર્ણ થયા બાદ અગરિયા પરિવારો રણમાં જઈને સતત આઠ મહિના સુધી મહેનત કરે છે ખાસ કરીને ઉનાળાની સિઝનમાં 40 ડિગ્રી કરતા પણ વધુ તાપમાન વચ્ચે મીઠું પકવતા હોય છે ત્યારે હાલ છેલ્લા બે મહિનાથી રણમાં પ્રવેશ કરી મીઠું પકવવાની શરૂઆત કરનાર અગરિયા પરિવારોને આ વર્ષે પણ નર્મદાના પાણીએ રોવલાવ્યા છે. દર વર્ષે નર્મદાના પાણી રણમાં વેડફાય છે અને અગરિયાઓએ મીઠું પકવવાની શરૂઆત કરી હતી જેના પર પાણી ફરી વળ્યું છે. દર વર્ષે રણમાં આવતા નર્મદાના પાણી અનેક વખત રણમાં ઘૂસી ગયા છે.
- Advertisement -
આ પ્રકારની સમસ્યા છેલ્લા સાતેક વર્ષથી અગરિયાઓને સતત સતાવી રહી છે અને દર વર્ષે આ પ્રકારની સમસ્યાને લઈને ઉચ્ચસ્તરે રજુઆત બાદ ગાંધીનગરથી ટીમ પણ તપાસ કરવા આવે છે છતાં પણ આજદિન સુધી સમસ્યાનું નિરાકરણ થયું નથી. હાલ રણમાં ઘૂસી ગયેલ પાણીની સપાટી હજુય વધે તેવી શક્યતા છે. મીઠાના પાટામાં ઘૂસી ગયેલ નર્મદાના પાણીના લીધે અગરિયાઓની સોલર બોર્ડ અને ઝૂંપડામાં તમામ ચીજો ભીંજાઈ છે. જેના લીધે અગરિયાઓની મહેનત પાણીમાં જતા મોટું નુકશાન વેઠવું પડ્યું છે.