52 મુસાફર હશે તો એસટી બસ તમારા ઘર, સોસાયટી કે વિસ્તારમાંથી ઉપાડાશે
સ્પેશિયલ બસનું એડવાન્સ બુકિંગ કરવું પડશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
દિવાળીના તહેવારને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ફેસ્ટિવલમાં યાત્રિકોના ધસારાને પહોંચી વળવા માટે રાજકોટ એસ.ટી નિગમે 100 એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કર્યું છે. સાથે સાથે એસ.ટી નિગમે મોટી સંખ્યામાં કે ગ્રૂપમાં મુસાફરી કરતા યાત્રિકો માટે ખાસ વ્યવસ્થા પણ કરી છે જેમાં કોઇપણ સ્થળે જવા માટે 52 કે તેથી વધુ મુસાફરોને એકસાથે બસની જરૂર હોય તો તેમના ઉપાડવાના સ્થળથી પહોંચવાના સ્થળ સુધી એડવાન્સ ગ્રૂપ બુકિંગની સુવિધા આપવામાં આવશે. એટલે કે 52 મુસાફર હશે તો જઝ બસ તમારા ઘર, સોસાયટી કે વિસ્તારમાંથી ઉપડશે.
ગત વર્ષે દિવાળીના તહેવારોમાં 80 જેટલી વધારાની બસ દોડાવવામાં આવી હતી. ત્યારે હવે આ વર્ષે તેમાં વધારો થયો છે અને એક્સ્ટ્રા 100 બસ દોડાવવામાં આવશે. 25 ઓક્ટોબરથી લગભગ એક મહિના સુધી આ બસનો લાભ મુસાફરોને મળી રહેશે. રાજકોટ એસટી વિભાગ દ્વારા દરરોજ 520 જેટલા શેડ્યૂલ એટલે કે બસ દોડાવવામાં આવે છે.
દિવાળી દરમિયાન આ શેડ્યૂલમાં 100 બસનો વધારો કરવામાં આવશે. દિવાળીમાં તહેવાર મનાવવા પોતાના વતન જતા કારીગરો, રત્નકલાકારો અને મજૂર-આદિવાસી વર્ગને એક્સ્ટ્રા બસનો લાભ મળશે. દિવાળીને હવે ઝાઝા દિવસો બાકી નથી ત્યારે દિવાળી વેકેશનમાં વતનમાં જતાં મજૂર વર્ગો માટે એસટી નિગમ દ્વારા ગ્રૂપ બુકિંગ ઉપર ઘર સુધી લેવા-આવવા અને સ્ટેશન કે ડેપોથી દૂર છેવાડાનાં ગામ સુધી મૂકવા-આવવાની સુવિધા આપવાની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ આપણા વિસ્તારમાંથી 52 મુસાફરનું બુકિંગ હોય તો આપની સોસાયટીમાંથી બસ ઉપાડશે અને વતન અથવા જે-તે નક્કી કરેલી જગ્યા સુધી લઇ જશે. આ માટે જે-તે મુસાફરે રાજકોટ એસ.ટી ડેપોમાં રૂબરૂ આવી ડેપો મેનેજરકક્ષાના અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે. મુસાફરીની તારીખ, યાત્રિકોની સંખ્યા, બસ ક્યાંથી ઉપાડવી તેનું સરનામું સહિતની વિગતો આપવાની રહેશે.
- Advertisement -
રાજકોટમાં ઉદ્યોગ-ધંધામાં હજારો મજૂરો-કારીગર વર્ગના લોકો કામ કરી રહ્યા છે. તહેવારો દરમિયાન સૌરાષ્ટ્રમાંથી દાહોદ, ઝાલોદ, મંડોર, છોટાઉદેપુર અને અન્ય સ્થળોએ મજૂર-કારીગર વર્ગ ઊમટી પડે છે અને એસટીએ એક્સ્ટ્રા બસ દોડાવવી પડે છે. ભીડમાં મુસાફરી ન કરવી પડે એટલા માટે આ વખતે એસટી નિગમે એક્સ્ટ્રા 100 બસનું સંચાલન કરશે.
ક્યાં ડેપોથી કેટલી બસ એકસ્ટ્રા-સંચાલનનો રૂટ
રાજકોટથી 20 એક્સ્ટ્રા બસ જેમાં અમદાવાદ,વડોદરા,સુરત, જામનગર, દ્વારકા, ભુજ, જુનાગઢ, સોમનાથ, ભાવનગર, અમરેલી, મહુવા,ઉના, દાહોદ,ઝાલોદ,મંડોર,છોટાઉદેપુર
ગોંડલથી 15 એક્સ્ટ્રા બસ જમાં રાજકોટ, જુનાગઢ,સોમનાથ, અમદાવાદ, દાહોદ, ઝાલોદ, મંડોર, છોટાઉદેપુર
જસદણથી 10 એક્સ્ટ્રા બસ જેમાં રાજકોટ,અમદાવાદ,દાહોદ, ઝાલોદ, મંડોર, છોટાઉદેપુર
સુરેન્દ્રનગરથી 15 એકસ્ટ્રા બસ જેમાં અમદાવાદ,રાજકોટ,દાહોદ, ઝાલોદ, મંડોર, છોટાઉદેપુર
લીંબડીથી 8 એકસ્ટ્રા બસ જેમાં અમદાવાદ, રાજકોટ, દાહોદ, ઝાલોદ, મંડોર, છોટાઉદેપુર
ધ્રાંગધ્રાથી 8 એકસ્ટ્રા બસ જેમાં હળવદ, કવાંટ, દાહોદ, ઝાલોદ
ચોટીલાથી 4 એકસ્ટ્રા બસ જેમાં રાજકોટ, અમદાવાદ,દાહોદ, ઝાલોદ, મંડોર, છોટાઉદેપુર
મોરબીથી 10 એકસ્ટ્રા બસ જેમાં અમદાવાદ, દાહોદ, ઝાલોદ, મંડોર, છોટાઉદેપુર
વાંકાનેરથી 10 એક્સ્ટ્રા બસ જેમાં અમદાવાદ, દાહોદ, ઝાલોદ, મંડોર, છોટાઉદેપુર