ઈઝરાયલના હુમલામાં હિઝબુલ્લાહ મિસાઈલ કમાન્ડર ઠાર
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
મંગળવારે લેબનોનની રાજધાની બેરૂતમાં ઇઝરાયેલના હુમલામાં હિઝબુલ્લાહ મિસાઇલ કમાન્ડર ઇબ્રાહિમ કુબૈસી માર્યો ગયો હતો. આ સિવાય 5 અન્ય લોકોના પણ મોત થયા છે. ઇઝરાયેલ છેલ્લા 5 દિવસથી લેબનોન પર સતત હુમલો કરી રહ્યું છે. તે જ સમયે, હિઝબુલ્લાએ ગઈકાલે રાત્રે ઇઝરાયેલમાં 8 સ્થળોને મિસાઇલથી નિશાન બનાવવાનો દાવો પણ કર્યો છે. ઈઝરાયેલના જણાવ્યા અનુસાર હિઝબુલ્લા તરફથી 55 રોકેટ છોડવામાં આવ્યા હતા. ઈઝરાયલ અને હમાસ વચ્ચે ગયા વર્ષે શરૂ થયેલું ઘર્ષણ હવે ઈઝરાયલ અને લેબનોન વચ્ચે પૂર્ણ યુદ્ધમાં પલટાઈ ગયું છે. ઈઝરાયલે દક્ષિણ લેબનોન પર સોમવારથી શરૂ કરેલો હવાઈ હુમલો મંગળવારે પણ ચાલુ રહ્યો હતો. ઈઝરાયલે બે દિવસમાં લેબનોનના 1600 સ્થળો પર 650થી વધુ હુમલામાં 2000બોમ્બમારો કર્યો હતો, જેમાં 600થી વધુ લોકો માર્યા ગયા છે જ્યારે 2000થી વધુ લોકો ઘાયલ થયા છે. લેબનોનમાં 1975 થી 90 સુધી ચાલેલા ગૃહયુદ્ધ પછી એક જ દિવસમાં આ સૌથી વધુ મોત થયા છે. બીજીબાજુ હીઝબુલ્લાહે ઈઝરાયલ ઉપર 200 રોકેટનો મારો કર્યો હતો, પરંતુ આ રોકેટ તેની ડિફેન્સ સિસ્ટમે તોડી પાડયા હતા. લેબનોનમાં પેજર અને વોક-ટોકીમાં વિસ્ફોટ કર્યા પછી હીઝબુલ્લાહે ઈઝરાયલ ને વળતા હુમલાની ધમકી આપી હતી. હીઝબુલ્લાહ હુમલો કરવાની તૈયારી કરે તે પહેલાં જ ઈઝરાયલે સોમવારે દક્ષિણ લેબનોન પર સૌથી મોટો જીવલેણ હુમલો કરીને હિઝબુલ્લાના 320થી વધુ લોકો માર્યા ગયા હતા. ઈઝરાયલ નો હવાઈ હુમલો સતત બીજા દિવસે પણ ચાલુ રહ્યો હતો, જેમાં 50 બાળકો અને 100થી વધુ મહિલાઓ સહિત 600થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.
ઈઝરાયલે 2006 પછી લેબનોન પર વિનાશક હવાઈ હુમલો કર્યો છે. જોકે, લેબનોનમાં પેજર અને વોકી-ટોકી હેક કરી ચૂકેલા ઈઝરાયલે મંગળવારે અચાનક રેડિયો સિસ્ટમ હેક કરી નાંખી. લેબનોનના બધા જ રેડિયો નેટવર્ક પર ઈઝરાયલ નો સંદેશો સંભાળયો હતો, જેમાં તેમણે નાગરિકોને હીઝબુલ્લાહના પ્રભુત્ત્વવાળા વિસ્તારો ખાલી કરીને સુરક્ષિત સ્થળે જતા રહેવા ચેતવણી આપી હતી. ઈઝરાયલે સોમવારે પણ લેબનોનમાં 80000થી વધુ કોલ્સ કરી નાગરિકોને સુરક્ષિત સ્થળે જતા રહેવા જણાવ્યું હતું. ઈઝરાયલ ની ધમકીના પગલે દક્ષિણ અને પૂર્વ લેબનોનમાંથી હજારો નાગરિકોએ ઉત્તર તરફ સ્થળાંતર કર્યું હતું જ્યારે લેબનોન સરકારે નાગરિકોની સુરક્ષા માટે સ્કૂલો અને અન્ય સ્થળો પર 89થી વધુ આશ્રય સ્થાનો બનાવ્યા છે. આ આશ્રય સ્થળોમાં 26000થી વધુ લોકોને આશરો આપવામાં આવ્યો છે.