રાજકોટ બારના બહિષ્કારના નિર્ણય વચ્ચે સિનિયર ધારાશાસ્ત્રી શ્યામલ સોનપાલની અપીલ, વકીલોના ગૌરવ સાથે પક્ષકારોના હિતો અને ન્યાયપ્રણાલીની કાર્યક્ષમતા જાળવવા પર ભાર
મતભેદો ક્ષણિક હોઈ શકે, પરંતુ બાર અને બેન્ચ વચ્ચેનો પરસ્પર આદર અને વિશ્વાસ કાયમી રહેવો જોઈએ
- Advertisement -
બાર-બેન્ચ વિવાદમાં સંવાદ અને સમાધાનનો માર્ગ અપનાવવાની જરૂર
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
તાજેતરમાં રાજકોટ બાર એસોસિએશનની સામાન્ય સભામાં બે ન્યાયાધીશો વિરુદ્ધ વકીલો સાથે તોછડું વર્તન કર્યાના આક્ષેપોને આધારે તેમની અદાલતોનો અચોક્કસ મુદત સુધી બહિષ્કાર કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. આ ઘટનાક્રમને લઈને રાજકોટના સિનિયર ધારાશાસ્ત્રી એડવોકેટ શ્યામલ એમ. સોનપાલે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતાં બાર અને બેન્ચ વચ્ચે સંવાદ, પરસ્પર સન્માન અને સંસ્થાકીય ઉકેલની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો છે.
- Advertisement -
આ સંદર્ભે ધારા
શાસ્ત્રી સોનપાલે જણાવેલ છે કે, વકીલાત વ્યવસાયનું ગૌરવ, સ્વાભિમાન અને પ્રતિષ્ઠા સર્વોપરી છે. કોઈપણ વકીલ સાથે અયોગ્ય, અપમાનજનક અથવા અસંવેદનશીલ વર્તન થાય તો તે બાબત ગંભીરતાથી ઉઠાવવી અને તેના યોગ્ય નિવારણ માટે લડત આપવી એ દરેક બાર એસોસિએશનની નૈતિક અને સંસ્થાકીય જવાબદારી છે. સોનપાલે વધુમાં જણાવ્યું હતું કે, ભારતના સર્વોચ્ચ અદાલતે વિવિધ ચુકાદાઓમાં સ્પષ્ટપણે ઠરાવ્યું છે કે અદાલતોનો બહિષ્કાર, હડતાલ અથવા ન્યાયિક કામગીરીમાં અવરોધ ઊભો કરતી પ્રવૃત્તિઓ ન્યાયપ્રણાલી તથા પક્ષકારોના હિતોને ગંભીર અસર પહોંચાડે છે અને કાયદાકીય રીતે સ્વીકાર્ય નથી. સર્વોચ્ચ અદાલતે વારંવાર ભાર મૂક્યો છે કે વકીલનું પ્રથમ કર્તવ્ય પોતાના અસીલના હિતોનું રક્ષણ કરવાનું છે અને ન્યાયપ્રણાલીની અવિરત કામગીરી જાળવી રાખવી એ સૌની સામૂહિક જવાબદારી છે. તેઓના મતે, ન્યાય મેળવવા માટે અદાલતોના દ્વારે આવતો પક્ષકાર કોઈ બાર અને બેન્ચ વચ્ચેના મતભેદનો ભાગીદાર નથી. તે માત્ર ન્યાયની અપેક્ષા લઈને આવે છે. કોર્ટના બહિષ્કારની અસર માત્ર સંબંધિત ન્યાયિક અધિકારી સુધી મર્યાદિત રહેતી નથી, પરંતુ તે અદાલતમાં ચાલી રહેલા સેંકડો કેસોના પક્ષકારો, સાક્ષીઓ, વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ, અન્ડરટ્રાયલ કેદીઓ તથા ન્યાયની રાહ જોતા સામાન્ય નાગરિકો ઉપર પણ પડે છે. એક મુદત ગુમાવવી એ ઘણી વખત માત્ર એક તારીખ ગુમાવવા જેવું નથી, પરંતુ વધારાના ખર્ચ, વધુ વિલંબ અને માનસિક તકલીફનું કારણ બને છે. હકીકતમાં કોર્ટનો બહિષ્કાર ઘણી વખત ન્યાયાધીશ કરતાં વધુ પક્ષકારને અસર કરે છે, કારણ કે અંતે ન્યાય મેળવવાની પ્રક્રિયામાં વિલંબનો ભોગ સામાન્ય નાગરિક જ બને છે. તેથી કોઈપણ પ્રકારની કાર્યવાહી અથવા આંદોલનનું મૂલ્યાંકન કરતી વખતે તેના પ્રભાવને માત્ર બેન્ચ સુધી નહીં, પરંતુ પક્ષકારોના હિતો અને ન્યાયપ્રણાલીની કાર્યક્ષમતા પર પડતી અસરના પરિપ્રેક્ષ્યમાં પણ જોવું જરૂરી છે.
ધારાશાસ્ત્રી સોનપાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ન્યાયાધીશઓ અને વકીલો ન્યાયપ્રણાલીના બે અભિન્ન સ્તંભો છે. જેમ વકીલોએ અદાલતની ગરિમા, શિસ્ત અને મર્યાદા જાળવવાની ફરજ છે, તેમ ન્યાયાધીશશ્રીઓએ પણ દરેક વકીલને, ભલે તે જુનિયર હોય કે સિનિયર, Officer of the Court તરીકે યોગ્ય સન્માન અને સૌજન્ય આપવું જોઈએ. કોઈપણ વકીલ સાથે તેના અસીલો અથવા અન્ય પક્ષકારોની હાજરીમાં ઉદ્ધત, અપમાનજનક અથવા તોછડું વર્તન થવાથી માત્ર વ્યક્તિગત ગૌરવ જ નહીં પરંતુ સમગ્ર વકીલાત વ્યવસાયની પ્રતિષ્ઠા પણ અસરગ્રસ્ત થાય છે. ન્યાયપ્રણાલીની સાચી તાકાત બાર અને બેન્ચ વચ્ચેના પરસ્પર આદર, વિશ્વાસ અને સંવાદમાં રહેલી છે.
ધારાશાસ્ત્રી સોનપાલે આ પ્રસંગે પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે, શું આજે વકીલ સમાજની સામૂહિક શક્તિ અને સંગઠિત અવાજ વધુ મહત્વના અને વર્ષોથી ઉકેલની રાહ જોતા પ્રશ્નો તરફ કેન્દ્રિત થવો જોઈએ કે નહીં?
ફોજદારી અદાલતોમાં પબ્લિક પ્રોસિક્યુટરોની ગંભીર અછત
ધારાશાસ્ત્રી સોનપાલે જણાવ્યું હતું કે, રાજ્યની અનેક ફોજદારી અદાલતોમાં લાંબા સમયથી પબ્લિક પ્રોસિક્યુટરોની અછત વર્તાઈ રહી છે. તેના કારણે કેસોની નિયમિત સુનાવણી પ્રભાવિત થાય છે, વારંવાર મુદતો પડે છે અને અસંખ્ય પક્ષકારો ઝડપી ન્યાયથી વંચિત રહે છે. આ પ્રશ્ન માત્ર વકીલોનો નહીં પરંતુ સમગ્ર ન્યાયપ્રણાલીનો પ્રશ્ન છે.
સૌરાષ્ટ્ર હાઇકોર્ટ બેન્ચ – દાયકાઓથી અધૂરી માંગ
ધારાશાસ્ત્રી સોનપાલના જણાવ્યા મુજબ, વર્ષોથી વિવિધ રાજકીય પક્ષો ચૂંટણી સમયે સૌરાષ્ટ્ર માટે હાઇકોર્ટ બેન્ચની જાહેરાતો કરે છે, પરંતુ આજે પણ સૌરાષ્ટ્ર અને કચ્છના લાખો નાગરિકો તથા હજારો વકીલોને અમદાવાદ સુધી જવાની ફરજ પડે છે. ન્યાય સુધી સરળ અને સમાન પહોંચના સિદ્ધાંતને સાકાર કરવા માટે આ મુદ્દે સંગઠિત અને અસરકારક આંદોલન સમયની માંગ છે.
ગુજરાતમાં એડવોકેટ પ્રોટેક્શન કાયદો
ધારાશાસ્ત્રી સોનપાલે જણાવ્યું હતું કે, તાજેતરમાં તેલંગાણા રાજ્યએ વકીલોની સુરક્ષા અને ગૌરવ માટે મહત્વપૂર્ણ કાયદાકીય પગલું ભર્યું છે. ગુજરાતમાં પણ વકીલો પર થતા હુમલા, ધમકીઓ, ખોટી ફરિયાદો અને વ્યવસાયિક ફરજ દરમિયાન થતી હેરાનગતિને ધ્યાનમાં લઈને એડવોકેટ પ્રોટેક્શન કાયદો તાત્કાલિક અમલમાં લાવવાની જરૂર છે. વકીલની સુરક્ષા એ માત્ર વકીલનો પ્રશ્ન નથી, પરંતુ ન્યાયપ્રણાલીની સ્વતંત્રતા અને સામાન્ય નાગરિકના ન્યાય મેળવવાના અધિકાર સાથે સીધો સંબંધ ધરાવતો પ્રશ્ન છે.
જુનિયર વકીલો માટે સ્ટાઈપેન્ડ-વ્યવસાયના ભવિષ્યનો પ્રશ્ન
ધારાશાસ્ત્રી સોનપાલે વધુમાં જણાવ્યું હતું કે, આજે અનેક પ્રતિભાશાળી યુવાનો માત્ર આર્થિક મુશ્કેલીઓને કારણે વકીલાત વ્યવસાયમાં ટકી શકતા નથી. જુનિયર એડવોકેટ્સ માટે સ્ટાઈપેન્ડ યોજના વર્ષોથી ચર્ચાનો વિષય છે, પરંતુ હજુ સુધી અસરકારક અમલ થયો નથી. વકીલાત વ્યવસાયના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે આ પ્રશ્નનું નિરાકરણ અત્યંત આવશ્યક છે.
BCIની ભલામણોનો અમલ જરૂરી
ધારાશાસ્ત્રી સોનપાલે જણાવ્યું હતું કે, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ઓક્ટોબર-૨૦૨૪માં જુનિયર એડવોકેટ્સને યોગ્ય સ્ટાઈપેન્ડ આપવા અંગે મહત્વપૂર્ણ ભલામણો કરવામાં આવી હતી. આ ભલામણો માત્ર કાગળ પર ન રહે પરંતુ તેનો વ્યવહારુ અમલ થાય તે માટે રાજ્યસ્તરે સક્રિય પ્રયત્નો થવા જોઈએ. ધારાશાસ્ત્રી સોનપાલે રાજકોટ બાર એસોસિએશનના તમામ વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ, પૂર્વ પ્રમુખઓ, પૂર્વ હોદ્દેદારો તથા બારના અનુભવી આગેવાનોને આ બાબતમાં હકારાત્મક અને તટસ્થ દરમ્યાનગીરી કરવા માટે નમ્ર આહ્વાન પણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, બાર અને બેન્ચ વચ્ચે ઉદ્ભવેલા કોઈપણ મતભેદનો ઉકેલ સંવાદ, સમજણ અને સંસ્થાકીય પ્રક્રિયા દ્વારા શોધી શકાય છે. વરિષ્ઠોના અનુભવ, માર્ગદર્શન અને પ્રતિષ્ઠાનો લાભ લઈને પરિસ્થિતિને ટકરાવથી સમાધાન તરફ દોરી જવી એ આજે સમયની માંગ છે. ન્યાયપ્રણાલીના બે અભિન્ન સ્તંભો વચ્ચે પરસ્પર સન્માન, વિશ્વાસ અને સૌહાર્દ જળવાઈ રહે તે માટે વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓએ આગળ આવી પોતાની કાનૂની ક્ષેત્ર માટેની નૈતિક ફરજ અદા કરવી જોઈએ. અંતમાં ધારાશાસ્ત્રી સોનપાલે જણાવ્યું હતું કે, વકીલ સમાજની એકતા, શક્તિ અને સંઘર્ષશીલતા એ અમૂલ્ય સંપત્તિ છે. આ શક્તિનો ઉપયોગ વ્યક્તિગત વિવાદો, ટકરાવ અથવા બહિષ્કારો કરતાં ન્યાયવ્યવસ્થાના માળખાકીય સુધારાઓ, વકીલોના હિતો અને સામાન્ય નાગરિકોના ન્યાયપ્રાપ્તિના અધિકારો માટે કરવામાં આવે તો તેના દૂરગામી અને ઐતિહાસિક પરિણામો મળી શકે.



