સમઢીયાળા ગામે રૂ. ૬૮૯ લાખના ખર્ચે બનેલ ૬૬ કેવી સબ સ્ટેશનનું અને આંબરડી ગામે રૂ. ૩લાખના ખર્ચે બનેલ પુલનું લોકાર્પણ સંપન્ન.

૬૬ કેવી સબ સ્ટેશનના નિર્માણથી આસપાસના વિસ્તારના અનેક ગામોને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહેશે. વિછિયા તાલુકાના સમઢીયાળા ગામે રૂ.૬૮૯.૩૩ લાખના ખર્ચે બનેલ ૬૬ કેવી સબ સ્ટેશનનું તથા આંબરડી ગામે રૂ. ૩ લાખના ખર્ચે બનેલ પુલનું લોકાર્પણ પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ કર્યું હતું.
- Advertisement -
આ પ્રસંગે સમઢીયાળા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ઉદ્દબોધન કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે જેટકો દ્વારા સ્થાપિત થયેલા ૬૬ કેવી સબ સ્ટેશનથી આ વિસ્તારના અનેક ગામોને પુરતા વીજ દબાણથી તેમજ સાતત્યપૂર્ણ ગુણવત્તાસભર વીજ પુરવઠો મળતો થશે. એટલું જ નહી પરંતુ આ સબ સ્ટેશનના નિર્માણથી નવા વીજ જોડાણો પણ આપી શકાશે.

આંબરડી ખાતે યોજાયેલ પુલના લોકાપર્ણ કાર્યક્રમ પ્રસંગે મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગામમાં પુલ બનવાથી ગામ લોકોને વરસાદમાં આવવા જવાની જે મુશ્કેલી પડતી હતી, તેનું હવે નિરાકરણ થયું છે. શહેરોની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ નાના-મોટા વિકાસ કામો થાય, ગ્રામ્ય વિસ્તારના વિકાસને વેગ મળે અને હાથ ધરાતાં વિકાસ કાર્યો ગુણવત્તાયુક્ત બને તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે.
- Advertisement -

આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરાએ જણાવ્યું હતુ કે, ગુજરાતમાં વીજળીની સ્થિતિ અન્ય રાજ્ય કરતા ખૂબ સારી છે. ગુજરાતમાં ૨૪ કલાક વિજળી મળી રહે છે. ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ કહયું હતુ કે, નવા સબ સ્ટેશનથી ખેતીવાડી, રહેઠાણ, ઔદ્યોગિક એકમોને ગુણવત્તાયુક્ત વિજળી મળતી થશે.

કાર્યક્રમના પ્રારંભમાં જેટકોના અધિક્ષક ઈજનેર જી. પી. પરમારે શાબ્દિક સ્વાગત કર્યું હતું. ધારેશ્વર મહાદેવ મંદીરના મહંતએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. કાર્યક્રમના અંતે મંત્રીએ વૃક્ષારોપણ કર્યું હતુ. ઉલ્લેખનિય છે કે, સમઢીયાળા ખાતે ૬૬ કેવી સબ સ્ટેશન બનવાથી સમઢીયાળા, ગોરૈયા, નાના માત્રા, કસવાડી, પિગળાધર, ગંગાજળ વગેરે ગામોને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી શકશે.

સમઢીયાળા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જેટકોના કાર્યપાલક ઈજનેર સર્વ પી. જી. પુરોહિત અને એન. જી. પુરોહિત, મહાનુભાવો તથા મોટી સખ્યાંમાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આંબરડી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ગામના સરપંચ રૂપાભાઈ સોલંકી, આગેવાનો સર્વ નથુભાઈ મકવાણા, હરજીભાઈ લામકા, ખોડાભાઈ ખસિયા, જેશદાદા, તાલુકા વિકાસ અધિકારી પારસ વાંદા, તલાટી કે.એમ.જાદવ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


