રોજિંદા જીવનમાં આપણે પરમતત્ત્વ, અગોચર શક્તિ, અકળ તત્ત્વ ઇત્યાદિ શબ્દો સાંભળતા રહીએ છીએ. વાસ્તવમાં આ શું છે? સિદ્ધ મહાત્માઓ કહી ગયા છે કે આપણને જે જગત દેખાય છે તેના કરતાં જે નથી દેખાતું તે વિશ્વ અનેકગણું વિશાળ છે. આટલી વિરાટ વ્યવસ્થાનું સંચાલન કરવા માટે કોઈ પરમતત્ત્વ હોવું જ જોઈએ. મને આ વિધાનમાં પૂરેપૂરી શ્રદ્ધા છે.
સારામાં સારો ફોટોગ્રાફર પણ માત્ર વરસાદનો જ ફોટો પાડી શકે છે. વરસાદની ભીનાશને કેમેરામાં કેદ કરવાની શક્તિ કે આવડત તેની પાસે હોતી નથી. ઈશ્ર્વરના વિષયમાં આનાથી સાવ ઊલટું છે. આપણે પામર મનુષ્યો ઈશ્ર્વરને જોઈ શકતા નથી, પરંતુ તેની કૃપા અને તેના આશીર્વાદને ક્ષણે ક્ષણે પામી શકીએ છીએ અને જાણી શકીએ છીએ.
- Advertisement -
આકાશમાં તારાઓ દરેક સમયે હોય જ છે, પરંતુ દિવસ દરમિયાન આપણે તેને જોઈ શકતા નથી, રાત્રે જ તારાઓ દેખાય છે. એવું જ ઈશ્ર્વરનું પણ કહી શકાય. આપણાં મનમાં જ્યાં સુધી માયારૂપી અજ્ઞાન વ્યાપ્ત છે ત્યાં સુધી આપણને ઈશ્વર દેખાતો નથી. જ્યારે એ અજ્ઞાન દૂર થાય છે ત્યારે જ આપણને ઈશ્વરના અસ્તિત્ત્વની અનુભૂતિ થાય છે.
અનાજનાં ગોદામોમાં જ્યારે ઉંદરોનો ત્રાસ વધી જાય ત્યારે એને પકડવા માટે પાંજરું મૂકવામાં આવે છે. પાંજરાની અંદર ઉંદરને લલચાવવા માટે એકાદ વાનગીનો નાનો ટુકડો મૂકવામાં આવે છે. એ ટુકડાની લાલચમાં ખેંચાઈને ઉંદર પાંજરામાં પુરાઈ જાય છે.
આપણું મનુષ્યોનું પણ આ ઉંદર જેવું જ હોય છે. પરમાત્માનું સામ્રાજ્ય અફાટપણે વિસ્તરેલું હોય છે, પરંતુ આપણે નાનાં નાનાં ભૌતિક આકર્ષણોમાં ખેંચાઈને માયાના પાંજરામાં પુરાઈ જઈએ છીએ અને પછી ઝડપભેર મૃત્યુ ભણી ખેંચાતા જઈએ છીએ. આપણને એ વાતનું જ્ઞાન નથી હોતું કે આપણે ક્ષણિક સુખોના બદલામાં કેટલું મોટું ઐશ્વર્ય ગુમાવી દીધું છે!