સાચી દિશામાં બારી ગોઠવી શુભ ઊર્જાને આવકારો
થોડાં દિવસ પહેલાં એક જ્વેલરીની ફેકટરી માટે અમોએ સાઈટ વિઝિટ પ્લાન કરી હતી. જગ્યા વાસ્તુ અને કલાયન્ટ માટે અનુરૂપ હતી તેથી અમોએ ડીઝાઈન દરમિયાન વાસ્તુ મુજબની ગોઠવણી કેવી રીતે કરવી તે વિશે ચર્ચા કરી રહ્યા હતા. જ્વેલરી શોપ ફેકટરીમાં સૌથી મોટો પ્રશ્ર્ન સિક્યુરિટી એટલે કે સલામતીનો હોય છે અને આજકાલ મોટાભાગની જ્વેલરી ફેકટરીઓમાં આરસીસી દિવાલથી બાંધકામ થતું જોવા મળે છે. ક્લાયન્ટની મુખ્ય સમસ્યા હવાની અવર-જવર રહે અને ગુંગળામણ ન થાય તે માટે વાસ્તુ પ્રમાણે કેટલી સંખ્યામાં અને કઈ કઈ જગ્યાએ બારીઓ રાખી શકાય જેવી વેન્ટિલેશન જળવાઈ રહે તે પ્રમાણે ડીઝાઈન કરવાની હતી. વાત સાચી પણ છે. બારી આપણને સૂર્યપ્રકાશ મેળવવા તથા હવાની અવરજવર માટે આપણા બાંધકામની અંદરની સૌથી અગત્યની રચના છે. સ્પેસ, લેન્ડ એન્ડ સેલ્ફની લેખમાળાનો આજનો આપણો વિષય વાસ્તુમાં બારીનું મહત્ત્વ છે. વાતાવરણમાં રહેલી સારી ઊર્જાને મેળવવા અને તેને ઘરની અંદર ટકાવી રાખવા માટે બારી ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. વાસ્તુ મુજબ જો ઘરમાં સાચી દિશામાં બારીઓની ગોઠવણી કરવામાં આવે તો શુભ ઊર્જાને સમગ્ર ઘરમાં પ્રસરાવવા તે મદદરૂપ બને છે. આપણા ઘરના પૂર્વ કે ઈશાન ખૂણામાં રહેલી બારીઓ સવારનો કૂણો સૂર્યપ્રકાશ ઘરમાં ફેલાવીને ઘરના વાતાવરણને તાજગી બક્ષે છે. એનર્જીના સંદર્ભમાં વિસ્તારથી સમજીએ તો ઊર્જા એ બહુ સરળતાથી બારી અને દરવાજામાંથી પસાર થઈ શકે છે, તેથી જો બારી અને દરવાજા વાસ્તુ પ્રમાણે યોગ્ય સ્થાન ગોઠવાયેલા હોય તો તે આપણને ખૂબ જ લાભદાયી રહે છે. આગળના લેખોમાં આપણે ચર્ચા કર્યા મુજબ આપણી શરીર રચના અને આપણું ઘર એકબીજા સાથે સંવેદના અનુભવે છે, અને બારીના માધ્યમથી આપણે ઘરની બહારની સ્થિતિ નિહાળી શકીએ છીએ. ઘણી વખત અમોએ જોયું છે કે ઘરમાં બારીઓની સારસંભાળ બરાબર રાખવામાં ન આવેલી હોય તો તે ખુલતી કે બંધ કરતી વખતે અવાજ આવતો હોય કે પછી બારીઓના ગ્લાસ તૂટેલા હોય છે જે યોગ્ય નથી.
- Advertisement -
ઘરના પૂર્વ કે ઈશાન ખૂણામાં રહેલી બારીઓ સવારનો કૂણો સૂર્યપ્રકાશ ઘરમાં ફેલાવીને વાતાવરણને તાજગી બક્ષે છે
વાસ્તુ પ્રમાણે શક્ય હોય ત્યાં સુધી બધી જ બારીઓ એકસરખા કે સપ્રમાણ માપની હોય તો તે સૌથી ઉત્તમ છે.
વાસ્તુ પ્રમાણે મહત્તમ બારી પૂર્વ દિશા, ઉત્તર દિશા અને ઈશાન ખૂણામાં રાખવી જોઈએ.
પશ્ર્ચિમ દિશામાં પણ બારીઓ રાખી શકાય પરંતુ પશ્ર્ચિમ દિશાનો અને પશ્ર્ચિમ અને દક્ષિણ વચ્ચેનો ખૂણો એટલે કે નૈઋત્ય ખૂણામાં બારીઓ રાખવી નહીં.
તેવી જ રીતે દક્ષિણ દિશામાં પણ અગ્નિ ખૂણા બાજુ બારીઓની ગોઠવણી કરવી જોઈએ તથા દક્ષિણ-પશ્ર્ચિમ એટલે કે નૈઋત્ય ખૂણામાં બારી ન હોતા મજબૂત દિવાલ હશે તે વધારે સારૂં રહેશે.
બારીઓ બનાવતી વખતે કુદરતી મટિરિયલ એટલે કે જો લાકડાની બારીઓ બનાવીશું તો તે સૌથી વધારે સારૂં રહેશે.
બારીઓ એ ઘરની આંખો છે. ઘણી જગ્યાએ અમોએ નોંધેલ છે કે બારીઓની અંદર કચરો ભરાયેલો હોય છે તેથી તેને ખોલવા કે બંધ કરવાની મુવમેન્ટ સરળતાથી ન થતી હોય તો આ આંખોમાં સમસ્યા આવતી હોય છે, માટે બારીઓની જાવળવણી નિયમિત કરાવતા રહેવી.
પૂર્વ દિશામાં રહેલ ઘરની બારીઓ વહેલી સવારે ખોલી નાખવી જેથી સૂર્યનો સારો પ્રકાશ ઘરમાં પ્રવેશી શકે અને ઘરને શુભ ઊર્જાથી ભરી શકે છે.
જો આપના ઘરમાં નૈઋત્ય દિશામાં બારી હોય તો તે બંધ રાખવી તથા ત્યાં હંમેશા જાડા અને ડાર્ક રંગના પડદા લગાવવા.
ઘરની અંદર દરવાજા સિવાય બારીનો મુખ્ય કામ ક્રોસ વેન્ટિલેશન જાળવી રાખવાનું છે.
ઘરની અંદર પર્યાપ્ત માત્રામાં રહેલી બારીઓ વાયુ તત્ત્વને સંતુલિત રાખે છે.
ઘર ફેકટરી ઓફિસમાં ખાસ ધ્યાન રાખવું કે દરવાજા તથા બારીઓ ક્રોસમાં એટલે કે ત્રાંસી ફીટ કરવી નહીં.
બારીઓ આકારમાં લંબચોરસ હોવા જોઈએ. ફેન્સી આકારના અને અનિયમિત કદની બારીઓ રાખવાનું ટાળો.
આપની બારીઓ ખોલતી વખતે ઘરની અંદરની બાજુ ખુલતી હશે તો તે શુભ રહેશે.
રોજ-બરોજનાં જીવનમાં વાસ્તુ સંબંધી મૂંઝવતા પ્રશ્ર્નો વિશે આપ 77191 11555 પર વ્હોટ્સએપ કરી પ્રશ્ર્ન પૂછી શકો છો. અમે દર શનિવારે શક્ય તેટલાં પ્રશ્ર્નોનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું.
- Advertisement -