ICDSની યોજનાઓ અને કિશોરીઓ માટેની યોજનાઓ નિષ્ફળ!
આરોગ્ય ક્ષેત્રે મોટા પ્રમાણમાં ખાલી જગ્યાઓ ભરવાનો પડકાર
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં કુપોષણ વિશે ચિંતન શિબિરની ચર્ચાની ટૂંકી નોંધ ખુદ સરકારની કામગીરીની જ પોલ ખોલે છે, જે કહે છે કે, નેશનલ હેલ્થ ફેમિલી સર્વેના પાંચમાં રાઉન્ડનો રિપોર્ટ ડિસેમ્બર-2022માં જાહેર થયો, તેમાં દર્શાવ્યા મુજબ રાજ્યમાં કુપોષણનું ચિત્ર 2015 પછી એમનું એમ છે. રાજ્યના પાંચ વર્ષની વય સુધીના બાળકો પૈકી 80 ટકા બાળકો એનિમિયાકને લોહીની ખામીવાળા છે, રાજ્યમાં પાંચ વર્ષની વય સુધીના 39 ટકા બાળકો સ્ટન્ટેડ અર્થાત્ ઉંમરની સરખામણીમાં ઓછી ઊંચાઈવાળા, 25 ટકા બાળકો વેસ્ટેડ એટલે કે ઉંમરની તુલનામાં ઓછા વિકાસવાળા અને 40 ટકા બાળકો ઓછા વજનવાળા છે. એવી જ રીતે એનએચએફએસ-5 પ્રમાણે રાજ્યમાં કિશોર વયની 69 ટકા છોકરીઓ એનિમિક છે અને 18-19 વર્ષની પરિણીત યુવતીઓ પૈકી 77 ટકા યુવતીઓ એનિમિયાથી પીડાય છે. રાજ્યમાં કુપોષણ સ્થિતિ બદલાતી નથી, એનો સીધો અર્થ એ થાય કે, સંકલિત બાળવિકાસ યોજના આઇસીડીએસના તંત્ર દ્વારા 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકો માટે ચાલતી ભોજન,દુધ સંજીવની યોજના, વેક્સિનેશન યોજના તેમજ કિશોરીઓમાં કુપોષણ ઘટાડવા માટેની ’પૂર્ણા’ સહિતની વિવિધ યોજનાઓનો અમલ યોગ્ય રીતે થતો નથી. આ દિશામાં ચિંતન શિબિરમાં પરામર્શ કરી નિર્ણય લેવાશે કે જેથી આવતા પાંચ વર્ષમાં રાજ્યનું વરવું ચિત્ર સુધરે. રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે તબીબો, સુપર સ્પેશિયાલિસ્ટ તબીબો, પેરામેડિકલ સ્ટાફ, ટેકનિકલ સ્ટાફની જગ્યાઓ મોટા પ્રમાણમાં ખાલી હોઈ આ જગ્યાઓ ભરવા ઉપરાંત વધુ પ્રમાણમાં વર્કફોર્સ ઊભો કરવાની દિશામાં પણ ચિંતન શિબિરમાં નિર્ણયો લેવામાં આવશે, તેમ જણાવાઈ રહ્યું છે.