ભગવાન શિવના પરમ ઉપાસક સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજીએ સમાજને આપેલી એક અણમોલ ભેટની આપને વાત કરવી છે. અત્યંત સાદગીપૂર્ણ જીવન જીવતા સ્વામીજી એમનો પ્રવાસ હંમેશા પગપાળા જ કરતા. આ પ્રવાસ દરમ્યાન એક બાબત એમના ધ્યાન પર આવી કે ગામડામાં રહેતા કેટલાય લોકો આર્થિક મુશ્કેલીને કારણે રોગોની સારવાર કરાવી શકતા નથી અને પારાવાર પીડા સાથે જીવન વિતાવે છે. સ્વામીજીએ લોકોનું આ દુ:ખ જોઈને એમની પીડા દૂર કરવા માટે 2005માં સંકલ્પ કર્યો કે ગરીબ લોકોની સારવાર માટે એક એવી હોસ્પિટલ બનાવવી છે કે જ્યાં કોઈ પ્રકારની ફી લેવામાં ન આવે. સંપૂર્ણ વિનામૂલ્યે સારવાર કરવામાં આવે આવી હોસ્પિટલનું નિર્માણ કરવું દુષ્કર છે પરંતુ સ્વામીજીને ભગવાન પર વિશ્વાસ હતો કે ભગવાન આ કામ પાર પાડવામાં મદદ કરશે. સ્વામીજીએ પોતાનો વિચાર એમના સેવકો પાસે મૂક્યો અને સેવકોએ સ્વામીજીના સંકલ્પને પૂર્ણ કરવા કમર કસી. ભાવનગર જિલ્લાના ટીંબી ગામે વિશાળ જગ્યામાં “સ્વામી નિર્દોષાનંદ સરસ્વતી માનવસેવા હોસ્પિટલ” નો એક જાન્યુઆરી 2011માં શુભારંભ થયો. કોર્પોરેટ હોસ્પિટલને પણ ઝાંખી પાડે એવી સુવિધાઓ આ હોસ્પિટલમાં ઊભી કરવામાં આવી છે. આપને જાણીને આશ્વર્ય થશે કે આ હોસ્પિટલમાં કેશબારી છે જ નહિ, નાત – જાત કે ધર્મના ભેદભાવ વગર તમામ પ્રકારના રોગોની સારવાર આ હોસ્પિટલમાં થાય છે. દરેક વિભાગના ઓપરેશન થિયેટરમાં અતિ આધુનિક મશીનરી છે. દર્દીએ નિદાન માટે, સર્જરી માટે, રીપોર્ટસ માટે, દવા માટે કે ભોજન માટે કશું જ ચૂકવવાનું નથી. દર્દીએ માત્ર દર્દ સાથે આવવાનું અને દર્દ મુક્ત બનીને જવાનું. દર્દીની સાથે એમના સગા વહાલા આવ્યા હોય એમના માટે પણ વિનામૂલ્યે જમવાની વ્યવસ્થા છે. અત્યાર સુધીમાં 38 લાખ કરતાં વધુ લોકોને ભોજન કરાવ્યું છે. આ હોસ્પિટલમાં તમામ વિભાગોમાં નિષ્ણાંત ડોકટરોની નિમણૂક કરવામાં આવી છે. મૂળ ઢસા ગામના વતની અમેરિકા સ્થિત ડો. નટુભાઈ રાજપરા દર વર્ષે 6 મહિના આ હોસ્પિટલમાં સેવા આપવા અમેરિકાથી આવે છે અને કોઈપણ જાતના વેતન વગર સેવા આપે છે. સમગ્ર ગુજરાતમાંથી અને ગુજરાત બહારથી ખૂબ મોટી સંખ્યામાં લોકો આ હોસ્પિટલમાં સારવાર કરાવવા આવે છે. અત્યાર સુધીમાં 29 લાખ કરતા વધુ લોકોનું નિદાન અને 90000 કરતા વધુ લોકોના ઓપરેશન થયા છે. સ્વામીજીએ એમના સેવકોને સૂચના આપી છે કે સારવાર કરાવવા આવતા લોકો પાસેથી એક નૈયો પૈસો પણ લેવાનો નથી એની સાથે હોસ્પિટલમાં ક્યાંય દાનપેટી પણ મૂકવાની નથી. જો દાનપેટી હોય તો દાનપેટી જોઈને કોઈ ગરીબ માણસ શરમને કારણે પણ એમાં કંઈક આપવા માટે મજબૂર બને એટલે દાનપેટી નહિ રાખવાની પણ એના બદલે વ્યસન પેટી રાખવાની જેમાં લોકો એના વ્યસન મૂકીને જાય. છેલ્લા 14 વર્ષ કરતાં પણ વધુ સમયથી લાખો લોકોની સારવાર વિનામૂલ્યે ચાલી રહી છે એ માટે દિલેર દાતાઓ દિલ ખોલીને દાન પણ આપી રહ્યા છે. હોસ્પિટલનું સંચાલન કરતા સેવકોને સ્વામીજીએ બીજી એક સૂચના પણ આપી છે કે સામેથી ક્યારેય દાન માંગવું નહિ, લોકો એની મેળે આપવા આવે તો સ્વીકારવું. માંગ્યા વગર તો દાન કેવી રીતે મળે ? સ્વામીજી એવું કહેતા કે આ કામ ભગવાનનું છે એટલે બધી વ્યવસ્થા પણ એ કરશે. એમને જ્યાં સુધી ચલાવવુ હશે ત્યાં સુધી એ ચલાવશે આપણે તો નિમિત્ત બનીને સેવાયજ્ઞમાં આહુતિ આપવાની છે. સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજીના ભગવાન પરના આ વિશ્વાસને કારણે આ હોસ્પિટલ 14 વર્ષ કરતા વધુ સમયથી વિનામૂલ્યે ચાલી રહી છે અને દિવસે ને દિવસે નવા નવા વિભાગો અને બિલ્ડિંગો ઉમેરતા જાય છે જેથી વધુમાં વધુ રોગોની વધુમાં વધુ લોકો સારવાર લઈ શકે.
ભગવાન શિવના પરમ ઉપાસક સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજીએ સમાજને આપેલી અણમોલ ભેટ

Follow US
Find US on Social Medias