ખાસ-ખબર સંવાદદાતા
હળવદ તાલુકાના મેરુપર ગામની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં આવેલ હોસ્ટેલમાં રહેતી અને ત્યાં અભ્યાસ કરતી 17 જેટલી વિદ્યાર્થીનીઓને રવિવારે સાંજના સમયે અચાનક હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી જે બાદ શિક્ષણ વિભાગ દોડતું થઈ ગયું હતું. વિધાર્થીનીઓએ આક્ષેપ કર્યો હતો કે, શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષકો દ્વારા અભ્યાસ કરાવ્યા વિના સીધી ટેસ્ટનું આયોજન કરી દેવામાં આવ્યું હતું. વિધાર્થીનીઓએ તેમની તૈયારી ન હોય અને તેમણે અભ્યાસ પણ કરાવ્યો ન હોય જેથી પહેલા અભ્યાસ કરાવી તેમણે તૈયારીનો સમય આપવામાં આવે તેવી માંગણી કરી હતી જોકે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીનીઓને ધમકાવવામાં આવી હતી અને જ્યાં સુધી તેઓ ટેસ્ટ નહીં આપે ત્યાં સુધી રૂમમાંથી બહાર જવા ન દેતા 17 વિધાર્થીનીઓની તબિયત લથડી હોવાનું સામે આવ્યું હતું. હળવદ તાલુકાના મેરૂપર ગામે કેન્દ્ર સરકારની યોજના અન્વયે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અને હોસ્ટેલ કાર્યરત છે જેમાં આજુબાજુના ગામની 50 જેટલી વિદ્યાર્થીનીઓ હોસ્ટેલમાં રહી ભણે છે. આ શાળામાં છેલ્લા કેટલાક સમયથી મોટા ધોરણમાં ભણતી બાળકીઓને વિદ્યાલયની કેટલીક શિક્ષિકાઓ દ્વારા પોતાના અંગત કામ વિદ્યાર્થીનીઓ પાસે કરાવવાની સાથે ફૂટપટ્ટીથી મારઝૂડ કરવામાં આવતી હોય હોસ્ટેલની ધોરણ 8 માં ભણતી 17 જેટલી વિદ્યાર્થીનીઓ ગઈકાલે હોસ્ટેલ છોડીને નીકળી જતા ત્રાસ ગુજારનાર શિક્ષિકાઓના પગતળે રેલો આવ્યો હતો અને સમગ્ર બનાવ અંગેની જાણ ઇન્ચાર્જ અધિકારીને કરાતા તેઓ પણ દોડી આવ્યા હતા જો કે આ અધિકારીએ પણ ત્રાસ ગુજારનાર શિક્ષિકાઓનો પક્ષ લઈ હોસ્ટેલ છોડી જનાર દીકરીઓને દમદાટી મારતા આ દીકરીઓની તબિયત લથળી હતી અને હાલ આ તમામ દીકરીઓ ડિપ્રેશનમાં આવી જતા સારવાર માટે હળવદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.