સિદ્ધાર્થ રાઠોડ : પરિપ્રેક્ષ્ય
“મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોર કદાચ હોય શકે,” ડોકટર દેસાઈએ કહ્યું. પરસોત્તમ હજી પોતાનું રડવું રોકી શકતો ન હતો. હીબકા ભરતા તેણે પોતાના સાહેબને કોલ કર્યો. સામે ફોન ઉપડ્યો અને તેણે તેમને આખી બીના કહી.
- Advertisement -
“હરામખોર, તારાથી એક માણસ ના સચવાય! તું ત્યારે ક્યાં છોલાવતો હતો?” તેના સાહેબે તેને ઝાટકી નાખ્યો. “ઈ જાતે જ પોતાનું ઇન્જેક્શન લઈ લેતા પણ કાલે શું થયું ખબર નહીં. રાતે લેતા ભૂલી ગયા હશે ને સવારે ઈમને ઉઠાડવા ગયા પણ નો ઊઠા. પછી સાહેબને બોલાવ્યા ને ઈમણે કીધું કે બાપુજી ગયા.”
“સારું, સાહેબને ફોન આપ.”
આજુબાજુવાળા નીચા સ્વરે પંચાત કરતા રહ્યા ને પરસોત્તમ રડતો રડતો એક ખૂણામાં બેસી રહ્યો. પછી તેના સાહેબે ફોનમાં કીધું કે તેઓ બને તેટલા વહેલા આવી જશે. તેમના ઘરવાળાને ધૂળ-માટીની એલર્જી હોવાથી નતા આવવાના.
દશરથસિંહ મંદિરના ચબૂતરા પાસે બેઠા હતા. મંદમંદ પવન વાતો હતો ને તેમની નજર સામે તેમનું બાળપણ જીવતું થતું હતું. આ જ મંદિરના ઓટલે બેસીને તેઓ દાદા પાસેથી વાર્તા સાંભળતા.
એકવાર દાદાજીએ પૂછ્યું, “તને ખબર છે દશુ કે આપણું રાષ્ટ્રગીત કોણે લખ્યું?”
“ના.”
“ટાગોર – રવીન્દ્રનાથ ટાગોર. આજે તને એમની એક ફેમસ વાર્તા ‘કાબુલીવાલા’ કહું, ચલ.”
ને પછી એમ ટાગોરના સાહિત્ય સાથે ઓળખાણ થઈ અને તેમનું સાહિત્ય પોતાને આજીવન મંત્રમુગ્ધ કરતું રહ્યું. તેમના દાદા ઓલ ઈન્ડિયા રેડિયોમાં કામ કરતા એટલે આવી બધી વાતો તો તેમની જીભે હંમેશાં રમતી જ હોય ને તેમના નરખરજવાળા કંઠે તે બધું સાંભળવાની બહુ મજા પડતી.
- Advertisement -
શું જીવન હતું ત્યારે! અસલી લોકો, અસલી ખોરાક ને અસલી હવાપાણી.
ત્યાં એક અવાજે સહસા તેમને વિચારોના ગગન પરથી નીચે ઉતારી દીધા.
દીકરાનો ફોન હતો.
“જલદી આવજો, ધ્યાન રાખજો ને આચરકૂચર ખાતા નહીં ને. ફિક્સ ડિપોઝિટ પરમદિવસે પાકી જશે તો કાલે સાંજની ટ્રેનમાં ઘરે આવતા રહેજો.”
દશરથસિંહની આંખોમાં આંસુ આવી ગયા. આ તેમના બાપદાદાનું ઘર હતું. હજી માંડમાંડ તો પેન્શનના પૈસામાંથી પોતાના માટે જેમતેમ કરીને રાખેલી બચત વાપરીને, હઠ કરીને પરસોત્તમ સાથે તેઓ પોતાના ગામડે આવેલા. હજી તો તેઓ માંડ જૂનું મંદિર ફર્યા હતા ને પોતાના નાનપણના ભાઈબંધ સુરેશને મળ્યા હતા.
હાથમાં ચોપડી પકડીને તેઓ પાછા પોતાના ઘરે આવ્યા ને પાછળના આંગણામાં બેઠા. માવજતના અભાવે ત્યાં ઘાસ ઊગી ગયેલું હતું, પણ દશરથસિંહને તે જગ્યા બહુ જ ગમતી.
ખાટલા પર બેઠા બેઠા તેઓને આવતીકાલના વિચાર આવવા માંડ્યા – વળી પાછી એ જ બધી લપ. દીકરાની કચકચ, વહુના મહેણાટોણા ને પૌત્રની મસ્તી. એક સમયે આ બધું નિર્દોષ ગણીને તેઓ મન મનાવતા, પણ એક દિવસ દીકરાને વૃદ્ધાશ્રમ વિશે વાત કરતો સાંભળીને તેમને લાગી આવ્યું.
વિચારવાયુમાંથી રાહત મેળવવા તેઓ ચોપડી વાંચવા લાગ્યા અને કંઈક વાંચીને તેમણે નિર્ણય લઈ લીધો.
મંદમંદ પવન તેમના રૂપેરી વાળને સહેલાવતો હતો.
“જો દુનિયામાં ક્યાંય સ્વર્ગ છે તો અહીં જ છે. ના, નથી જવું પાછું.”
તેમણે ચોપડી ખાટલા પર મૂકી અને હાથ ફેલાવીને ત્યાં ઊભા રહી ગયા. એવી રીતે જાણે ઠંડો પવન કેમ તેમને આલિંગન આપવા આવી ન રહ્યો હોય!
ખુલ્લી ચોપડીના મથાળે નામ લખ્યું હતું ‘ગીતાંજલિ’ ને તેના પાને ટાગોરની પંક્તિઓ વંચાતી હતી:
“ઓ મૃત્યુ, તારી આંખોની છેલ્લી નજર અને મારું જીવન સદાય માટે તારું બની જશે.
ફૂલો ગૂંથાઈ ગયા છે ને માળા વરરાજાની રાહ જુએ છે. લગ્ન પછી પરિણીતા પોતાના પતિ સાથે રાતના એકલવાયા અંધકારમાં પોતાનું ઘર છોડીને ચાલી જશે.”




