કાર્તિક મહેતા : કાર્તિકોલોજી
વરસાદ આવે એટલે શ્રીમદ્ ભગવદ ગીતાજીનો આ શ્લોક અચૂક યાદ આવે …
- Advertisement -
અન્નાદ્ભવન્તિ ભૂતાનિ
પર્જન્યાદન્નસમ્ભવઃ ।
યજ્ઞાદ્ભવતિ પર્જન્યો
યજ્ઞઃ કર્મસમુદ્ભવઃ ॥
ભાવાર્થ(સરળ અર્થ)
સર્વ જીવ
અન્નથી ઉત્પન્ન થાય છે.
અન્ન વરસાદથી થાય છે.
વરસાદ યજ્ઞથી થાય છે,
અને યજ્ઞ કર્મથી ઉત્પન્ન થાય છે.
- Advertisement -
જીવ અન્નથી ઉત્પન્ન થાય, અન્ન વરસાદ થી ઉત્પન્ન થાય પણ આ વરસાદ યજ્ઞથી થાય તે કેવું ?
વેદોમાં ઇન્દ્રને પર્જન્ય દેવતા માનવામાં આવ્યા છે. પર્જન્ય એટલે વરસાદ.
વજ્ર નામનું ઇન્દ્રનું અસ્ત્ર છે એને વીજળીનું રૂપક ગણાયું છે. ઐરાવત નામક એમનો હાથી વાદળોના ગડગડાટનું , એની વિશાળતા અને ભવ્યતાનું પ્રતિક છે.
વેદોમાં જોવા જઈએ તો ઇન્દ્ર શ્રેષ્ઠ છે.. એનાથી ઉપર કોઈ નથી. ઇન્દ્ર એટલે સર્વોચ્ચ!
આજેપણ પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં પોતાને શુદ્ધ આર્ય માનતી એકદમ ઉજ્જવળ વાન અને લાંબુ આયુષ્ય ધરાવતી પ્રજા ઇન્દ્રની પૂજા અને એના યજ્ઞ કરે છે. તો છેક તિબેટમાં પણ ઇન્દ્ર નૃત્ય થાય છે!! તિબેટની ભાષામાં લિંગ એટલે શહેર/નગર, આથી દાર્જિલિંગ એટલે ઇન્દ્રનું વસાવેલ શહેર એવો અર્થ થાય. દોરજી તિબેટમાં ઇન્દ્રનું બીજું નામ છે .. ત્યાં શાસકોને એટલે દોરજી કહેવાય છે..
ઇન્દ્ર અત્યંત પ્રાચીન દેવતા છે.. ઇન્દુ અને રા એમ બે શબ્દો મળીને ઇન્દ્ર શબ્દ બને છે.. ઇન્દુ એટલે ચંદ્ર અને રા એટલે સુર્ય. (આથી રા એટલે કે સૂર્યનું જ્ઞાન ધરાવતો માણસ એટલે રાજ્ઞા જેનો ખરો ઉચ્ચાર રાજા થાય અને એની પત્ની રાજ્ઞી જેનો ઉચ્ચાર આપણે રાણી કરી નાખ્યો!! ) ઇન્દ્રનો આપણી સંસ્કૃતિ ઉપર આટલો પ્રચંડ પ્રભાવ જોઈને જવાહરલાલ નહેરુએ પોતાની એકની એક પુત્રીનું નામ ઈન્દ્રા રાખેલું ..
વેદોમાં ઇન્દ્ર મહારાજના યજ્ઞોના ઉલ્લેખ છે, એમની સ્તુતિ છે. વેદોમાં મુખ્ય દેવતા તરીકે ઇન્દ્ર ઉભરી આવે છે.. વેદોમાં પણ સ્પષ્ટ રીતે ઇન્દ્રને વરસાદના દેવતા કહેવાયા છે.
પરંતુ વેદો ગૂઢ ગ્રંથો છે. એને ઉકેલવા અઘરા છે. વાયુ અગ્નિ જેવા દેવતાઓ સામે વરસાદના દેવતા ઈન્દ્ર સહુથી શક્તિશાળી કઇ રીતે હોઈ શકે ?
ઇન્દ્ર મનુષ્ય દ્વારા થતા કર્મના પ્રતીક છે. જ્યારે વિચારને કાર્યનું રૂપ આપવામાં આવે, જ્યારે કોઈ યંત્રમાં ઊર્જા આપીને એને કાર્યરત કરવામાં આવે ત્યારે કશુંક કર્મ થાય છે. આ ઇન્દ્ર છે ! ઇન્દ્ર એટલે ઇન્દુ એટલે કે ચંદ્ર એટલે કે મન (વિચાર) અને રા એટલે કે સુર્ય એટલે કે વિચારને કાર્યમાં પરિવર્તિત કરવાની ઊર્જા….. બેય ભેગા થાય એટલે કાર્ય થાય.
તંત્ર માર્ગ દૈવ વાદી છે, એમાં પાંચ મૂળ તત્વોના સંયોજનથી બનેલ આ જગતમાં જે કાઇ થાય છે તે આ પાંચ તત્વોના નિયમોને આધારે થાય છે .. આ પાંચ તત્વોને દેવો કહીએ તો એમાં ઇન્દ્ર ક્યાંય નથી .. કેમકે ઇન્દ્ર માણસના પુરુષાર્થનું પ્રતિક છે. દૈવ એટલે કે ભાગ્યને બદલવાની શક્તિ કેવળ ઇન્દ્ર એટલે કે પુરુષાર્થમાં છે એવી વાતને બહુ ગૂઢ રીતે વેદો કહે છે.
પણ તો ઇન્દ્ર વરસાદના રાજા કેમ?
ઇન્દ્ર વરસાદના રાજા ખરા પણ એ વરસાદ કયો???
યજ્ઞ એટલે કે કઠોર પુરુષાર્થ કરવામાં આવે ત્યારે વરસાદ આવે છે.
આપણે તો જળચક્ર ભણેલા છીએ એમાં તો ક્યાંય નથી કે યજ્ઞ કે પુરુષાર્થ કરો તો વરસાદ આવે!
તો નક્કી આ જે વરસાદ છે તે કોઈ નોર્મલ વરસાદ નહિ હોય .. આ વરસાદ છે માણસને આનંદમાં રાખતાં હોર્મોનનો વરસાદ !
જીવન ઠંડી અને ગરમી જેવી ભીષણ વિષમતાઓ થી ભરેલું છે. ત્યારે માણસને જીવતું કોણ રાખે છે? કોણ એને જીવવા પ્રેરે છે? શું માણસને અનેક દુઃખો, મૃત્યુ, છળ કપટ, અપરાધો અને જીવનની જંગ સામે સતત્ત જીવવાની ઈચ્છાને જીવતી રાખે છે?
આનો જવાબ છે: માણસના શરીરમાં ઉત્પન્ન થયા કરતા આનંદ દાયક હોર્મોન જે માણસને આ દુનિયાની અમુક કડવી વાસ્તવિકતાઓ ભુલાવી દે છે.. એને ભુલાવી દે છે કે એક દિવસ સહુએ મૃત્યુ પામવાનું છે.
આ આનંદ દાયક હોર્મોન માણસ ઇન્દ્રિયોના રસનું શમન કરીને મેળવતો રહે છે. સ્વાદિષ્ટ ખાઈને, એસીમાં રહીને, સુગંધ સૂંઘીને, સુંદર દ્રશ્યો જોઈને અને સેક્સ થી માણસ સતત ઈન્દ્રિયોને તૃપ્ત કરતો રહે છે અને જીવન સાથે બંધાયેલો રહે છે.
જુઓ, આ બધી સેનસિસ પણ ઇન્દ્ર સાથે જોડાયેલી છે !l એમને “ઇન્દ્રિયો” કહેવાય છે!!
પરંતુ આનંદ દાયક હોર્મોન રૂપી વરસાદ એક અન્ય રીતે પણ મેળવી શકાય છે!
એ છે યજ્ઞ કરીને !! એટલે કે શ્રમ કરીને, થાકીને, થોડું દુઃખી થઈ ને!
શરીરને કષ્ટ આપીને મેળવાતો આનંદ દીર્ઘકાલીન અને અત્યંત શ્રેષ્ઠ મનાયો છે , વિજ્ઞાન પણ કહે છે કે સતત મનોરંજન ને બદલે વ્યાયામ અને શ્રમ કરવાથી જે આનંદ દાયક હોર્મોન પેદા થાય એ જ એને પેદા કરવાની સાચી રીત છે !
ઇન્દ્ર દેવોના રાજા છે , દેવરાજ કહેવાય છે. અર્થાત્ જો દેવો ઉપર રાજ કરવું હોય તો ઇન્દ્રના યજ્ઞ કરવા પડે ! ઇન્દ્રને ખુશ રાખવા મન અને શરીરને એક કરીને પુરુષાર્થ આદરવો પડે .. અને એનાથી જે વરસાદ વરસે છે , એની સામે બધા વરસાદ ફિક્કા છે.. જે આ વરસાદમાં ભીંજાયા છે એ જ જાણે કે આ વરસાદ ઇન્દ્ર મહારાજનું ખરું વરદાન છે !
ખરેખર , ઇન્દ્રના યજ્ઞોથી જ વરસાદ વરસે છે !




