ટ્રાફિક વ્યવસ્થામાં કરોડરજ્જુ સમાન ગણાતા સાંઢિયા પુલનું કામ પૂર્ણતાના આરે
છેલ્લાં લાંબા સમયથી ટ્રાફિકની સમસ્યાથી ઝઝૂમતા એક લાખથી વધુ વાહનચાલકોને મોટી રાહત મળશે
- Advertisement -
સાંઢિયા પુલ પર ટ્રકો ઊભા રાખી લોડ ટેસ્ટિંગ કરાયું: રેતી ભરેલા અનેક ડમ્પર અને ટ્રકોને ઊભા રાખીને નિરીક્ષણ કરવામાં આવ્યું
નાગેશ્ર્વર, એઈમ્સ હૉસ્પિટલ તરફ જતા લોકો, શીતલ પાર્ક, માધાપર અને પોપટપરાના રહીશોને ટ્રાફિક જામનો સામનો નહીં કરવો પડે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના જામનગર રોડને જોડતા નવનિર્મિત સાંઢિયા પુલનું કામ હવે પૂર્ણતાના આરે છે, ત્યારે સુરક્ષાના ભાગરૂપે મનપાના એન્જિનિયરો દ્વારા બ્રિજ પર ‘લોડ ટેસ્ટિંગ’ (ભાર વહન ક્ષમતાની ચકાસણી) કરવામાં આવ્યું હતું. બ્રિજ પર મોટી સંખ્યામાં ભારેખમ ટ્રકો ઊભા રાખીને તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેથી ભવિષ્યમાં ભારે વાહનોની અવરજવર સમયે પુલની સ્થિરતા અને મજબૂતીની ખાતરી કરી શકાય. કોઈપણ મેજર બ્રિજને જનતા માટે ખુલ્લો મૂકતા પહેલા તેની ક્ષમતા માપવી અનિવાર્ય હોય છે. સાંઢિયા પુલ પર રેતી ભરેલા અનેક ડમ્પર અને ટ્રકોને ચોક્કસ અંતરે ઊભા રાખીને વિવિધ પોઈન્ટ્સ પર દબાણ અને તેની અસરનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ટેકનિકલ ટીમ મુજબ, આ ટેસ્ટિંગમાં પુલ સંપૂર્ણ રીતે સફળ રહ્યો છે.
મનપાના સેન્ટ્રલ ઝોનના સિટી ઇજનેર અતુલ રાવલના જણાવ્યા મુજબ, રૂ. 74.25 કરોડના ખર્ચે બનેલા આ 600 મીટર લાંબા બ્રિજની મુખ્ય સિવિલ કામગીરી અને લોડ ટેસ્ટિંગ જેવા મહત્વના તબક્કા પૂરા થઈ ગયા છે. હવે માત્ર જમણી બાજુના એપ્રોચ રોડ પર ડામરકામ અને પેઇન્ટિંગ જેવી ફિનિશિંગની કામગીરી બાકી છે, જે આગામી 20 દિવસમાં આટોપી લેવાશે.
આગામી 20 મે આસપાસ જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે આવવાના છે, ત્યારે આ ફોરલેન બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. આ બ્રિજ શરૂ થવાથી જામનગર રોડ, પશ્ચિમ રાજકોટ અને સેન્ટ્રલ ઝોનના 1 લાખથી વધુ વાહનચાલકોને ટ્રાફિકની જંજટમાંથી મુક્તિ મળશે. લોડ ટેસ્ટિંગ પ્રક્રિયા સફળ રહેતા હવે માત્ર વહીવટી મંજૂરી અને અંતિમ ઓપ આપવાનું જ કામ બાકી રહ્યું છે.
આ બ્રિજ શરૂ થવાથી રાજકોટના વોર્ડ નં. 1, 2 અને 3ના રહેવાસીઓ સહિત અંદાજે 1,00,000થી વધુ વાહનચાલકોને મોટી રાહત મળશે. ખાસ કરી નાગેશ્વર, ઘંટેશ્વર, એઇમ્સ હોસ્પિટલ તરફ જતા લોકો, શીતલ પાર્ક, માધાપર, રેલનગર અને પોપટપરા વિસ્તારના રહીશોને હવે ટ્રાફિક જામનો સામનો નહીં કરવો પડે. અત્યાર સુધી પુલ બંધ હોવાને કારણે એસ.ટી. બસો અને અન્ય ભારે વાહનોને શહેરના મુખ્ય માર્ગો જેવા કે યાજ્ઞિક રોડ, રૈયા રોડ અને રૈયા ચોકડી થઈને 150 ફૂટ રિંગ રોડ પર ડાયવર્ટ કરવામાં આવતા હતા. આના કારણે શહેરના આંતરિક માર્ગો પર ટ્રાફિકનું ભારણ અસહ્ય વધી ગયું હતું.
જોકે ચાલુ મહિનાના અંત સુધીમાં આ બ્રિજ ખુલ્લો મૂકી દેવામાં આવશે. જેના કારણે હવે આ તમામ ભારે વાહનો પણ સીધા સાંઢિયા પુલ પરથી પસાર થશે, જેના કારણે શહેરના મધ્ય ભાગમાં ટ્રાફિકની ગીચતામાં મોટો ઘટાડો થશે અને વાહનચાલકોના સમય તેમજ ઇંધણની બચત થશે. આ સિવાય જામનગર રોડનાં વિવિધ વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને રોજ અવરજવર માટે ડાયવર્ઝનનો ઉપયોગ કરવામાંથી મુક્તિ મળશે. જેના કારણે લોકોને ટ્રાફિક સમસ્યામાંથી છુટકારો મળશે. આ માટે સંબંધિત એજન્સીને બાકીનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા કડક સૂચના આપી હોવાનું પણ તેમણે જણાવ્યું છે.



