પંથકના 45 ગામના 21 હજાર કુપન ધારકોને ઘઉં, ચોખા, બાજરો વિગેરે ખાદ્ય પુરવઠાનું વિતરણ બંધ કર્યું
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલા પંથકના 45 ગામના ગરીબ કુપન ધારકોને ખાદ્ય પુરવઠાનું વિતરણ કરતા સરકાર માન્ય વેપારીઓની પડતર યોગ્ય માંગણી નું સરકાર દ્વારા સમયસર નિવારણ લાવી સરકાર માન્ય દુકાનદારોને યોગ્ય ન્યાય આપવા સરકાર આળસ રાખતી હોય ગુજરાત રાજ્ય ફેર પ્રાઇઝ શોપ્સ એસોસિએશનના આદેશ પ્રમાણે નવેમ્બર માસથી તાલાલા પંથકમાં વિતરણ કામગીરી બંધ કરી છે.
- Advertisement -
તાલાલા મામલતદારને આપેલ આવેદનપત્રમાં સરકાર માન્ય દુકાનદારોએ જણાવ્યું છે કે વર્તમાન મોંઘવારી ધ્યાને લઈ રાશન ડીલરોને આપવામાં આવતું કમિશન પ્રતિ કિલો રૂ.ત્રણ કરવા તથા મિનિમમ ગેરેન્ટેડ કમિશનની રકમમાં વધારો કરવા તથા અનિયમિત મળતું કમીશન સમયસર મળે તેવી વ્યવસ્થા કરવા,ગુણવત્તાસભર પૂરતા વજન પ્રમાણે અનાજનો જથ્થો ફાળવવા ઉપરાંત સરકાર માન્ય દુકાનદારોને વહીવટી પ્રક્રિયામાં અવરોધરૂપ બનતી સમસ્યાનું સુખરૂપ નિવારણ લાવવા સરકાર તથા સંબંધીત અધિકારીઓ સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં પણ યોગ્ય માંગણી નું સમયસર નિવારણ આવતું નથી માટે ન્યાય મેળવવા નવેમ્બર માસના ખાદ્ય પુરવઠો મેળવવા ચલણ ભરવાનું તથા કુપન ઉપર આપવામાં આવતા ખાઘ પુરવઠા નું વિતરણ બંધ કરવામાં આવેલ છે અને ગુજરાત રાજ્ય ફેર પ્રાઈઝ શોપ્સ મંડળની સાચી લડતને સમર્થન આપીએ છીએ.જ્યાં સુધી અમારી યોગ્ય માંગણી નું સુખરૂપ નિવારણ આવશે નહીં ત્યાં સુધી રાજ્યભરની દુકાનદારોની જેમ તાલાલા પંથકમાં પણ અનાજ વિતરણ કામગીરી બંધ રાખવાનું આવેદનપત્રમાં જણાવ્યું છે.તાલાલા પંથકમાં કુપન ઉપર મળતો ખાદ્ય પુરવઠો બંધ થતાં 45 ગામના 21 હજાર ગરીબ કુપન ધારકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.



