વર્ષ 1981માં મનપાની ચૂંટણી વખતે કોર્પોરેટરે પક્ષપલટો કર્યો હતો ત્યારે ચીમનભાઈ શુક્લએ 21 દિવસના ઉપવાસ કર્યા હતા
ત્યારે પક્ષપલટુ હારતો હતો, આજે પક્ષપલટો જીતવાની ચાવી બની ગઈ છે
- Advertisement -
એ સમયે પક્ષપલટો કરનાર કોંગ્રેસના ઉમેદવાર હાર્યા હતા અને ભાજપના ઉમેદવાર જીત્યા હતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
આગામી 28મી તારીખે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા પક્ષપલટાનો પવન ફૂંકાયો છે, ત્યારે રાજકોટના રાજકીય ઇતિહાસમાં 45 વર્ષ પૂર્વે બનેલી એક ઐતિહાસિક ઘટના આજે ફરી તાજી થઈ છે. આજે જ્યારે નેતાઓ સેંકડો બેઠકો બિનહરીફ થવા પર હરખાય છે, ત્યારે વર્ષ 1981માં રાજકોટમાં લોકશાહીના મૂલ્યો બચાવવા માટે સ્વ. ચીમનભાઈ શુક્લએ (ચીમનકાકા) પક્ષપલટા સામે 21 દિવસના આકરા ઉપવાસ કર્યા હતા.
ઘટનાની વિગતો મુજબ, ઈ.સ. 1981માં રાજકોટ મહાપાલિકામાં ભાજપ પાસે 26 અને કોંગ્રેસ પાસે 25 બેઠકો હતી. માત્ર એક બેઠકની સરસાઈથી ભાજપ સત્તા પર હતું. તે સમયે વોર્ડ નં. 8 (તત્કાલીન ભક્તિનગર સર્કલ વિસ્તાર)ના ભાજપના કોર્પોરેટર મગનભાઈ સોનપાલે પક્ષપલટો કરતા ભાજપના હાથમાંથી સત્તા સરકીને કોંગ્રેસ પાસે ગઈ હતી. લોકશાહીના આ અપમાન સામે જનસંઘના સ્તંભ ગણાતા ચીમનકાકાએ કેશુભાઈ પટેલ અને અરવિંદ મણિયાર જેવા દિગ્ગજો સાથે મળીને આંદોલનનું બ્યુગલ ફૂંક્યું હતું.
રાજકોટના ત્રિકોણબાગ ખાતે ‘તપોભૂમિ’ નામે ઉપવાસી છાવણી નાખવામાં આવી હતી. ચીમનકાકાના 21 દિવસના ઉપવાસે દિલ્હી સુધી ધ્રુજારી લાવી દીધી હતી. લાલકૃષ્ણ અડવાણી સહિતના રાષ્ટ્રીય નેતાઓ રાજકોટ દોડી આવ્યા હતા. આ જનરેલાનો વ્યાપ જોઈને અંતે શાસક કોંગ્રેસે નમતું જોખવું પડ્યું અને સમાધાનના ભાગરૂપે પક્ષપલટો કરનાર સહિતના ત્રણ કોર્પોરેટરોએ રાજીનામા આપ્યા હતા.
આ ઘટનાની સૌથી મોટી વિશેષતા એ હતી કે જ્યારે આ બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ, ત્યારે રાજકોટની જનતાએ પક્ષપલટાને સખત શબ્દોમાં નકારી દીધો હતો. પક્ષપલટો કરનારા ઉમેદવારોની કારમી હાર થઈ હતી અને ભાજપની સત્તા ફરી સન્માનભેર પરત ફરી હતી. આ અહેવાલ આજના રાજકારણની કરુણતા પણ છતી કરે છે. તે સમયે મનોહરસિંહજી જાડેજા અને ચીમનકાકા જેવા પરસ્પર વિરોધી નેતાઓ વચ્ચે પણ અદભૂત આદરભાવ હતો. આજે સ્થિતિ એવી છે કે પક્ષપલટો કરનારાઓ જ વિજેતા બને છે અને જે પક્ષપલટાનો ભાજપ વિરોધ કરતું હતું, આજે તે જ પદ્ધતિને ’રાજકીય કૌશલ્ય’ ગણાવવામાં આવે છે. પક્ષપલટા વિરોધી કાયદો હોવા છતાં, તેમાંથી છટકબારી શોધીને લોકશાહીના ચીરેચીરા ઉડાડવામાં આવી રહ્યા છે તેવો સૂર આ અહેવાલમાંથી વ્યક્ત થાય છે.



