કેસ ડીસ્પોઝ કરવામાં ઉતાવળ કેમ? દુષ્યંત દવેની ટીપ્પણીથી જસ્ટીસ શાહની ટકોર-‘કેરીયરનાં અંતિમ દિવસોમાં બોલવા મજબુર ન કરો’
ખાસ-ખબર સંવાદદાતા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સજા સંભળાવનારા સહીત ગુજરાતના 68 ન્યાયાધીશોને પ્રમોશનને કાનુની લગતા કાનુની જંગની સુનાવણી દરમ્યાન સુપ્રિમ કોર્ટનાં જસ્ટીસ એમ.આર.શાહ તથા સીનીયર એડવોકેટ દુષ્યંત દવે વચ્ચે ટપાટપી થઈ હતી.
ગુજરાતના ડ્રીસ્ટ્રીકટ જજોના પ્રમોશન તથા બદલી મામલે થયેલી અરજીની સુનાવણી સુપ્રિમ કોર્ટમાં જસ્ટીસ એમ.આર.શાહ તથા જસ્ટીસ એમ.આર.શાહ તથા જસ્ટીસ સી.ટી રવિકુમારની બેંચ સમક્ષ હતી. આ તકે ખાનગી પક્ષકાર તરફથી પેશ થયેલા સીનીયર એડવોકેટ દુષ્યંત દવેએ એમ કહ્યુ હતું કે આ પ્રકારનો એક કેસ ચીફ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચુડ સમક્ષ પેન્ડીંગ છે. ત્યારે આ કેસ ડીસ્પોઝ કરવાની ઉતાવળ કેમ કરવામાં આવે છે.
એડવોકેટની આ ટીપ્પણીથી જસ્ટીસ શાહ નારાજ થઈ ગયા હતા અને એવી ટકોર કરી હતી કે કેરીયરનાં અંતિમ દિવસોમાં મને કાંઈ કહેવા મજબુર ન કરો, માત્ર મેરીટ પર દલીલ કરો.
જસ્ટીસની ટકોર સામે દુષ્યંત દવેએ તુર્ત એવો જવાબ આપ્યો કે ‘મીલોર્ડ’ મને ધમકી ન આપો….હું મારી વાત-દલીલ રજુ કરી રહ્યો છું. અત્રે ઉલ્લેખનીય ચે કે ગુજરાત જયુડીશ્યલ સર્વીસીઝનાં કેટલાંક અધિકારીઓએ સીનીયોરીટી કમ મેરીટનાં ધોરણે અમુક ન્યાયાધીશોને બઢતીને પડકારી છે.
અરજદારોની એવી દલીલ છે કે ઘણા ઓછા માર્કસ ધરાવતાં અમુક જજને પણ પ્રમોશન આપી દેવામાં આવ્યા છે. જયારે વધુ માર્કસ ધરાવતાં ન્યાયાધીશોને પ્રમોશનથી વંચીત રાખવામાં આવ્યા છે. પ્રમોશનનો નિર્ણય સીનીયોરીટી કમ મેરીટના ધોરણે થવો જોઈએ.અત્રે નોંધનીય છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાનીકેસમાં સજા ફટકારનાર જજ હરીશ વર્માને પણ આ 65 ટકા પ્રમોશન કવોટા અંતર્ગત ડીસ્ટ્રીકટ જજ કેડરમાં બઢતી આપવામાં આવી છે. અરજદારોએ વર્મા સહીત 68 જજના પ્રમોશનને પડકાર ફેંકયો છે.