મોરબી પોલીસે પણ રાજકોટ પોલીસમાંથી પ્રેરણા લીધી…
SP ઑફિસમાં જ નિર્દોષને માર મારી સાટાખત રદ્દ કરાવ્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
નિર્દોષ લોકોને ઉઠાવી લઈ, તેની પાસેથી બળજબરીપૂર્વક જમીનો લખાવી લેવી, સાટાખત રદ કરાવવાની રાજકોટ પોલીસની ભવ્ય પરંપરાને રાજકોટ એસ.ઓ.જી.ના એક સમયનાં ઙજઈં અસ્લમ અંસારીએ મોરબીમાં પોસ્ટિંગ મળ્યા પછી પણ જાળવી રાખી છે. ગુજરાતમાં જમીનનું બાનુ લઈ કે સાટાખત કરી આપી બાદમાં દસ્તાવેજ ન કરી આપવાના અને દસ્તાવેજ કરી આપવાના નામે પૈસા પડાવવાનો મોટો ખેલ ખેલાઈ રહ્યો છે જેમાં પોલીસ કર્મચારીઓ પણ ભૂંડી ભૂમિકા ભજવતાં જોવા મળે છે. આવો જ એક બનાવ રાજકોટના મોહિત આગરીયા સાથે બન્યો છે.
ઘટનાની વિગત અનુસાર રાજકોટના મોહિત આગરીયાએ આજથી એકાદ વર્ષ પૂર્વે મોરબીના શનાળા રોડ પર એક જમીન ખરીદવાનું નક્કી કર્યું હતું. આ જમીન ખરીદવા માટે તેઓએ સંજય, મનીષ અને જગદીશ અધારા સાથે સાટાખત કરી મસમોટી રકમ પણ ચૂકવી હતી પરંતુ ત્યારબાદ જમીન માલિકોએ દસ્તાવેજ કરી આપ્યો નહતો અને મોહિત આગરીયા વિરુદ્ધ મોરબીના પોલીસને હવાલો આપ્યો હતો. ત્યારબાદ મોરબી પોલીસના પીએસઆઈ અંસારી સહિતનાઓએ મોહિત આગરીયા વિરુદ્ધ સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી સાટાખત રદ્દ કરાવ્યો હતો.
- Advertisement -
જમીન માલિકો અને મોરબી પોલીસની આ બળજબરી બાદ મોહિત આગરીયાએ મોરબી પોલીસ અધિક્ષકને સંજય અઘારા, મનીષ અઘારા, જગદીશ અઘારા, મોરબી પોલીસ સ્ટેશનના પી.આઈ. પંડ્યા, પીએસઆઈ અંસારી, દાનભાઈ અને અજાણ્યા પોલીસવાળા વિરુદ્ધ કરવામાં આવેલી અરજીમાં જણાવાયું છે કે, ગત તા. 16-5-24ના રોજ મોરબી તાલુકાના રવાપર ગામના રે.સ.નં. 18/3ના ખાતા નં. 468 જેના નોંધ નં. 7064ની ‘તળાવીયું’ તરીકે જીરાયત પ્રકારની જૂની શરતની જમીન જીરાયત પ્રકારની બીનપિયત ખેડવાણ જમીન એ. 4-20 ગુંઠા જેના હે.આરે.ચો.મી. આ. 1-82-11ની કબ્જા રહિત ભાયુભાગે આવતી ખેતીની જમીન સંજયભાઈ ધરમશીભાઈ અઘારા પાસેથી ખરીદ કરેલ હતી, જે અંગેનો કબ્જા રહિતનો સાટાખતનો કરાર પણ કરેલો હતો. અને સદરહુ જમીન બાબતે મોરબીના નામદાર પ્રિન્સી. સિવિલ જજસાહેબની અદાલતમાં રે.દી.કે.નં. 168/24થી સાટાખતનું પાલન કરવા અંગેનો તથા વેચાણ દસ્તાવેજ કરી આપવા તથા વિજ્ઞાપન અને કાયમી મનાઈ હુકમ મળવા અંગેનો દાવો દાખલ કરેલ હતો અને જે જમીન બાબતની સિવિલ તકરાર હાલ નામદાર મોરબીની અદાલતમાં પેન્ડીંગ છે.
ગત તા. 1-5-24ના રોજ અમોને કલાક 2-24 વાગ્યે ફોન આવેલો અને કહેલું કે મોરબી રીડર શાખામાંથી પી.એસ.આઈ. અંસારીસાહેબ બોલું છું અને તમો મોરબીમાં કોઈ જગ્યા રાખેલ છે જેથી અમોએ તેને જાણ કરેલ કે હા રાખેલ છે જેથી તેઓએ અમોને કહેલ કે આ જગ્યામાં વ્યાજની ફરિયાદ થયેલી છે તમો રૂબરૂ આવીને મળી જાવ અને તે બાબતે તમારી સાથે વાતચીત કરવાની છે જેથી ઝડપથી આવી જાવ, જેથી અમોએ તેઓને કહેલું કે અમો એક કામમાં રોકાયેલું છે હું તમોને ફ્રી થઈને ફોન કરીશ જેથી તેઓએ કહેલું કે ભાઈ અમારો ફોન આવે એટલે તમોએ આવી જ જવાનું હોય નહીંતર મજા નહીં આવે.
આ ફોન આવતાં અમોના ફઈના દીકરા ભરતભાઈ ગરૈયા તથા દીપકભાઈ મીયાત્રાને ફોન કરેલો અને કહેલું કે મોરબીથી પોલીસવાળાનો ફોન આવેલો છે અને આપણે ત્યાં જવાનું છે જેથી તેઓએ અમોને કહેલું કે અમો ત્યાં આવીએ છીએ અને આપણે સાથે મોરબી જવા નીકળશું ત્યારબાદ તેઓ આવતા અમો 4-30 વાગ્યાની આસપાસ મોરબી જવા નીકળેલા અને આ દરમિયાન અંસારીસાહેબના બેથી ત્રણ ફોન આવી ગયેલા ત્યારબાદ અમોને જે જગ્યાએ જવાનું હોય તે મળતી ન હોય જેથી અમોએ આ અંસારીસાહેબને ફોન કરેલો જેથી તેઓએ અમોને જે જગ્યાએ જવાનું છે ત્યાંનું લોકેશન મોકલેલું અને અમો ત્યાં 7-00 વાગ્યાની આસપાસ પહોંચેલા હતા.
અમો જ્યારે પહોંચીને અંદર ગયેલા ત્યારે તે જગ્યા એસ.પી.ઓફીસ રીડર શાખા અને એસ.આઈ.ટી.નું બોર્ડ મારેલું હતું જ્યાં એની અંદર ગયેલા ત્યારે આ અંસારીસાહેબએ અમોને જણાવેલું કે અમો અહીં નવરા નથી તમોને 2-30 વાગ્યા કીધું એટલે એકાદ કલાકમાં આવી જ જવાનું હોય નહીંતર પછી અમોને કેમ બોલાવવા તે બધુ અમોને આવડે છે જેથી અમોએ તેઓને કહેલ કે હું કામમાં હતો અને આવતો જ હતો.
ત્યારબાદ આ અંસારી સાહેબએ અમોને કહેલું કે તમો જે જગ્યા લીધેલી છે તેમાં તમારા વિરુદ્ધ વ્યાજની અરજી આવેલી છે અને હવે આ જગ્યા અમોએ તથા પી.આઈ. પંડ્યાસાહેબએ લઈ લીધેલી છે અને તારે આ જગ્યા અમોને આપી દેવાની છે તેમ કહી અમોને ધમકાવેલ અને ત્યારબાદ આ અંસારીસાહેબ ઉપર પી.આઈ. પંડ્યાસાહેબ પાસે લઈ ગયેલા અને પંડ્યાસાહેબએ અમોને કહેલું કે આ જગ્યા હવે અમોએ લઈ લીધેલ છે તારે આ જગ્યા અમોને આપી દેવાની છે તેમ કહી અમોને કહેલું કે તારુ જે સાટાખત છે તે રદ કરી નાંખ નહીંતર આરોપી નં. 1થી 3 એટલે કે સંજયભાઈ તથા તેના ઘરના સભ્યોને દવા પીવડાવી તે અંગેના ખોટા ગુન્હામાં તને ફીટ કરી દઈશ જેથી અમોએ તેઓને કહેલું કે અમો કાયદેસરની અવેજ ચૂકવીને સદરહુ જમીન લીધેલ છે અને તે અંગેનો દાવો પણ અમોએ કોર્ટમાં દાખલ કરેલ છે જેથી પંડ્યાસાહેબએ આ અંસારીસાહેબને કહેલું કે આ સરળતાથી માનીને સાટાખત રદ કરી નહીં આપે આને નીચે લઈ જઈને મારો જેથી અંસારીસાહેબ મને નીચે લઈ આવેલ અને દાનભાઈ પોલીસવાળાને કહેલ કે ધોકા લેતો આવ જેથી આ દાનભાઈ રબ્બરનો પાઈપ લઈ આવેલ અને તે દરમિયાન આ પી.આઈ. પંડ્યાસાહેબ નીચે આવેલા અને કહેલું કે આને મારીને પાડી દયો જ્યાં સુધી સાટાખત કરવાની હા ન પાડે ત્યાં આને મારો તેમ કહી પી.એસ.આઈ. અંસારીસાહેબ અને બીજા પોલીસવાળા અમોને સદરહુ રબ્બરના પાઈપથી માર મારવા લાગેલા હતા ત્યારબાદ પી.આઈ. પંડ્યાસાહેબએ પણ અમોને તે રબ્બરના પાઈપ લઈ બેથી ત્રણ વખત માર મારેલ હતો જે અંગે અમોએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર પણ લીધેલ હતી અને જ્યાં પણ અમોએ અમોના બનાવની હકીકત જણાવેલ હતી.
તેઓના મારથી હું બી ગયેલો અને કહેલું કે તમો જ્યાં કહો ત્યાં હું સહી કરી આપીશ અને મને જવા દયો જેથી તેઓએ કહેલું કે અમો આરોપી નં. 1, 2, 3 એટલે કે જમીન માલીકો સંજયભાઈ, મનીષભાઈ અને જગદીશભાઈને બોલાવી લઈએ છીએ અને તું સહી કરી દે તો જ તને જવા દઈશું નહીંતર તને ખોટા ગુન્હામાં ફીટ કરી દઈશ અને આ જમીન માલીકો સંજયભાઈ, મનીષભાઈ અને જગદીશભાઈ એસ.પી. ઓફીસે દવાની બોટલ લઈને જ ઉભા છે અમો ફોન કરીશું એટલે તેઓ ત્યાં દવા પીવાના નાટક કરી અને તારા વિરુદ્ધ ખોટી ફરિયાદ ઉભી કરીશું.
તેઓની ધમકીથી હું ડરી ગયેલો જેથી તેઓએ આ કામના ઉપરોક્ત આરોપીઓ જમીન માલીકો સંજયભાઈ, મનીષભાઈ અને જગદીશભાઈને ફોન કરીને બોલાવેલ અને તેઓ સાથે એક નોટરી પણ લઈ આવેલા અને સદરહુ પોલીસવાળાઓએ ત્યાં બે કાગળોમાં હાથેથી લખાણ તૈયાર કરેલુ અને તે લખાણમાં અમોની બળજબરીથી સહીઓ કરાવી લીધેલી, તેમાં શું લખેલું તેની અમોને ખબર ન હતી પરંતુ અમોની ફઈના દીકરા ભરતભાઈએ તે લખાણના ફોટા પાડી દીધેલા ત્યારબાદ અમો પાસે અમોના પાસપોર્ટ સાઈઝના ફોટાઓ હાજર ન હોય જેથી આ કામના આરોપીઓ સાથે આવેલા વ્યક્તિએ ત્યાં અમોના ફોટાઓ પાડેલ જે અંગેનો વીડિયો પણ અમોના ફઈના દીકરા દીપક મીયાત્રાએ ઉતારેલ હતો અને ત્યારે અમોને જાણવા મળેલ કે તેઓએ અમોનું સાટાખત જે કરેલું હતું તે અંગેના સમજુતી કરારમાં સહીઓ કરાવી લીધેલી છે અને તે લોકોનું કાવતરું તે રીતનું હતું કે જે નોટરી આવે તે સ્ટેમ્પ પણ સાથે લઈને આવેલા હતા અને તેઓએ આ લખાણ કરાવ્યા બાદ અમોને બળજબરીથી એક ચેક પણ આપેલ તેમજ ત્યાં પોલીસ સ્ટેશનમાં તેઓ દ્વારા લખાણ કરવામાં આવેલ તેમાં શું લખેલ તે અમોને ખબર નથી અને તે લખાણમાં પણ અમોને બળજબરીથી સહીઓ કરાવી લેવામાં આવેલી હતી.
આમ આ કામના આરોપીઓએ અગાઉથી કાવતરુ ઘડી અમોને મોરબી બોલાવી અને પહેલેથી જ તેઓનો ઈરાદો અમોનું સાટાખત રદ કરાવી નાંખવાનો હોય જેથી તેઓએ સૌ પ્રથમ અમારા વિરુદ્ધ ખોટી અરજી ઉપજાવી કાઢી અમોને બોલાવી અમોને ડરાવી ધમકાવી ગોંધી રાખી બેફામ માર મારી અને અમોનો સાટાખત અંગેનો દાવો પણ કોર્ટમાં પેન્ડીંગ હોવા છતાં ગેરકાયદે રીતે બળજબરીથી અમો પાસે એક સમજુતી કરારમાં સહીઓ કરાવી લીધેલી હોય જેથી તેઓ વિરુદ્ધ હાલની આ ફરિયાદ કરવાની ફરજ પડેલી છે. એવું અરજદાર મોહિત આગરીયા દ્વારા કરેલી અરજીમાં જણાવેલું હતું.
ભૂતકાળમાં પણ અન્સારી આવા પ્રકરણોમાં સંડોવાઈ ચૂક્યાં છે, રાજકોટમાં તેમની વિરુદ્ધ અગણિત આક્ષેપો થયાં હતાં
ફરિયાદમાં ચોંકાવનારા આક્ષેપો: અન્સારીએ ફરિયાદીને માર માર્યો, સામેની પાર્ટીને ઝેરની બોટલ સાથે હાજર રાખીને સાટાખત રદ કરાવ્યું!
DGના આદેશ વિરૂદ્ધ સિવિલ મેટર હોવા છતાં પોલીસે અરજી લઈ અરજદારને માર્યો, ધમકાવ્યો અને સાટાખત રદ્દ કરાવ્યું
રાજકોટ પોલીસ દ્વારા ભૂતકાળમાં સિવિલ મેટર ચાલતી હોવા છતાં અરજી લઈ ઓનેઓન હવાલાઓ લઈ સેટલમેન્ટ કરી આપવાની એક પ્રથા શરૂ થઈ હતી. આ પ્રથા એ સમયના પીએસઆઈ અસ્લમ અંસારી પોતાની સાથે મોરબી લઈ ગયા હોય એવું જાણવા મળે છે. કેમ કે, જમીન માલિક અઘાર પાસેથી જમીનનો સાટાખત રદ્દ કરાવવાનો હવાલો પીએસઆઈ અંસારીએ લઈ મોહિત આગરીયા નામના શખ્સને બેફામ માર્યો હતો, ધમકાવ્યો હતો અને બાદમાં સાટાખત રદ્દ કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ આખી ઘટના અગાઉથી સિવિલ મેટર હોવા છતાં પીઆઈ, પીએસઆઈ દ્વારા માત્ર અરજીને આધારે કાર્યવાહી કરવામાં આવી હતી અને હવે જ્યારે ભોગ બનનાર મોહિત આગરીયાએ સમગ્ર મામલે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે ત્યારે મોરબી પોલીસ દ્વારા મોહિત આગરીયા પર તાત્કાલિક ગુનાઓ નોંધવામાં આવ્યા છે.
હાઈકોર્ટથી બચવા અન્સારીએ મોહિત આહીર સામે બોગસ FIR નોંધી!
પોલીસે- અન્સારીએ આ મામલે એક વર્ષ પછી ગુનો દાખલ કર્યો છે- એ વાત જ તેમની નિયતની ચાડી ખાય છે. આટઆટલાં વખત સુધી શું પોલીસ ઉંઘતી હતી. મૂળે મોહિતભાઈને હાઈકોર્ટમાં જતા રોકવા તેમણે બોગસ ફરિયાદ ઉભી કરી છે અને આ ફરિયાદ બાદ અન્સારીની મુશ્કેલી વધશે તેવું કાયદાનાં નિષ્ણાતો કહે છે. જોકે આ અરજી બાદ મોરબી એસપી દ્વારા કોઈ પગલાં ભરવામાં ન આવતા અરજદાર મોહિત અગરીયા દ્વારા હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવેલી છે પિટિશન બાદ અરજદાર મોહિત અગરીયા બાદ ગતરોજ મોરબી એ ડિવિઝનમાં અપહરણ, જાનથી મારી નાખવાની ધમકી અને વ્યાજ સહિતના ખોટા ગુના દાખલ કરી દેવામાં આવ્યા છે.