ગુજરાત હાઇકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત હાઇકોર્ટે રાજયમાં એટ્રોસીટી એકટ(એસસી-એસટી એકટ શીડયુલ કાસ્ટ અને શીડ્યુલ ટ્રાઇબ(પ્રિવેન્શન ઓફ એટ્રોસીટી) એકટના થઇ રહેલા દૂરપયોગને લઇ ગંભીર ચિંતા અને નારાજગી વ્યકત કરી હતી. ચોટીલા નગરપાલિકાના ભાજપના નેતા વિરૂદ્ધની એટ્રોસીટી એકટ હેઠળ નોંધાયેલી ફરિયાદ રદબાતલ ઠરાવતાં મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જસ્ટિસ સંદીપ એન.ભટ્ટે જણાવ્યું હતું કે, એસસી-એસટી એકટનો આશય શીડયુલ કાસ્ટ અને શીડયુલ ટ્રાઇબના લોકોને અત્યાચાર અને દમનથી રક્ષણ આપવાનો છે પરંતુ સાથે સાથે આ પ્રકારે એટ્રોસીટી એકટના બેફામ દૂરપયોગની મંજૂરી આપી શકાય નહીં. એસસી-એસટી એકટનો હાલ સમાજમાં ભારે દૂરપયોગ થઇ રહ્યો છે ત્યારે તપાસનીશ સત્તાવાળાઓએ આવા ગુનાઓમાં ભારે બારીકાઇથી અને તટસ્થતાપૂર્વક તપાસ કરવા પણ હાઇકોર્ટે જણાવ્યું હતું.
- Advertisement -
હાઇકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, એટ્રોસીટીના ગુનાઓમાં તપાસનીશ અધિકારીની એ બહુ મોટી જવાબદારી બની રહે છે કે, તેમણે આવા ગુનાઓમાં શાણપણથી, ભારે ઝીણવટભરી રીતે અને બિલકુલ નિષ્પક્ષતાથી તપાસ કરે. ભારે દુ:ખ સાથે નોંધવુ પડે છે કે, ઘણી વખત એસસી-એસટી એકટની જોગવાઇઓનો બેફામ દૂરપયોગ થઇ રહ્યો છે જેમાં કેટલીકવાર ફરિયાદી દ્વારા તો કયારેક સંબંધિત સત્તાવાળાઓ દ્વારા જ આવો દૂરપયોગ થતો હોય છે. ચોટીલા નગરપાલિકાના એક નેતાએ તેમના જ પક્ષના બીજા નેતા વિરૂધ્ધ જાતિ વિષયક શબ્દો ઉચ્ચારી તેમને અપમાનિત કર્યા હોવાની એસસી-એસટી એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદ રદબાતલ ઠરાવતાં ચુકાદામાં જસ્ટિસ સંદીપ ભટ્ટે જણાવ્યું કે, સમગ્ર ફરિયાદ રાજકીય પ્રેરિત જણાય છે અને એસસી- એસટી એકટનો કેવી રીતે દૂરપયોગ કરવો તેનું ઉત્તમ ઉદાહરણ છે. પ્રસ્તુત કેસમાં ગુનાનું સ્થળ એ જાહેર જગ્યા એટલે કે, નગરપાલિકાની કચેરી છે. સમગ્ર તપાસ દરમિયાન અરજદાર વિરૂધ્ધ એટ્રોસીટી એકટ લાગુ પડતો હોય તેવા કોઇ તત્વો સામે આવ્યા નથી. પ્રથમદર્શનીય રીતે જ આ સમગ્ર ફરિયાદ રાજકીય ઇરાદાથી પ્રેરિત હોય તેમ જણાય છે.
જસ્ટિસ સંદીપ ભટ્ટે એટ્રોસીટી એકટના દૂરપયોગના આવા કેસોમાં જે પીડિત અથવા તો ભોગ બનનાર હોય છે તેમના પરત્વે ચિંતા વ્યકત કરતાં જણાવ્યું હતું કે, આવી પરિસ્થિતિમાં બિન અનુસૂચિત જાતિ-બિન અનુસૂચિત જનજાતિ સમુદાયના પીડિત કે ભોગ બનનાર વ્યકિતને કાયદાની આવી જોગવાઇથી ભારે નુકસાન થતુ હોય છે.