ખાસ-ખબર સંવાદદાતા
હવે દેશભરમાં વ્યૂહાત્મક મહત્વ અને ભૌગોલિક જરૂરિયાતો અનુસાર નેશનલ હાઈવેને રનવે તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. આ માટે કેન્દ્ર સરકાર દેશભરમાં નેશનલ હાઈવે પર 35 એરસ્ટ્રીપ્સ બનાવવામાં આવી રહી છે જેથી ઈમરજન્સી દરમિયાન ફાઈટર જેટ લેન્ડ થઈ શકે. ખાસ કરીને દેશના સરહદી રાજમાર્ગો પર એરસ્ટ્રીપ બનાવવા પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે કટોકટીની સ્થિતિમાં હાઈવે પર ટ્રાફિકની અવરજવર બંધ કરી દેવામાં આવશે અને હાઈવે પર બનેલી એરસ્ટ્રીપનો ઉપયોગ ફાઈટર જેટ માટે કરવામાં આવશે.
કેન્દ્ર સરકારે આ માટે દેશભરમાં હાઈવે પર 35 એરસ્ટ્રીપ્સ બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે જેમાં જમ્મુ-કાશ્મીરથી લઈને દેશના અનેક રાજ્યોમાં યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. જેમાંથી 15 જેટલા કામો પૂર્ણ થયા છે જ્યારે હજુ કેટલીક એરસ્ટ્રીપ્સ છે જેના માટે એરફોર્સ પાસેથી મંજૂરી લેવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે તેમણે આ માટે વડાપ્રધાન મોદીને પણ વિનંતી કરી છે. જેથી એરસ્ટ્રીપ બનાવવામાં કોઈ અડચણ ન આવે નહીં.
- Advertisement -
ખાસ હશે એરસ્ટ્રીપની ડિઝાઇન
કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે આ એરસ્ટ્રીપનો ઉપયોગ એ જ રીતે કરવામાં આવશે જે રીતે ટ્રેન આવે ત્યારે રેલવે ફાટક બંધ કરવામાં આવે છે તેમજ ટ્રેન જતી રહ્યા બાદ જ તેને ખોલવામાં આવે છે અને ટ્રાફિક શરૂ થાય છે. હાઈવે પરની એરસ્ટ્રીપ એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે ઈમરજન્સીની સ્થિતિમાં ટ્રાફિકને રોકીને વિમાનનું લેન્ડિંગ અને ટેક-ઓફ થઈ શકે. રાજસ્થાનમાં વર્ષ 2021માં નેશનલ હાઈવે પર પ્રથમ ઈમરજન્સી એરસ્ટ્રીપ શરૂ કરવામાં આવી હતી જેનું ઉદ્ઘાટન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ એરફોર્સના ઈ-130ઉં સુપર હર્ક્યુલસથી ઉતરાણ કરીને કર્યું હતું.
ગુજરાત સહિત અન્ય રાજ્યોના હાઈવે પર એરસ્ટ્રીપ્સ બનાવાશે?
જમ્મુ અને કાશ્મીરમાં બિજબેહારા-ચિનાર બાગ હાઈવે, દિલ્હીમાં દિલ્હી-મુરાદાબાદ હાઈવે, ઉત્તરાખંડમાં રામપુર-કાઠગોદામ હાઈવે, ઉત્તર પ્રદેશમાં લખનઉ-વારાણસી હાઈવે, બિહારમાં કિશનગંજ-ઈસ્લામપુર હાઈવે, ઝારખંડમાં જમશેદપુર-બાલાસોર હાઈવે, પશ્ચિમ બંગાળમાં ખડગપુર-કિયોંઝર હાઇવે, આસામમાં મોહનબારી-તિનસુકિયા હાઇવે, ઓડિશામાં છતરપુર-દિઘા હાઇવે, રાજસ્થાનમાં ફલોદી-જેસલમેર હાઇવે, ગુજરાતમાં દ્વારકા-માળિયા હાઇવે, આંધ્રપ્રદેશમાં વિજયવાડા-રાજમુન્દ્રી હાઇવે અને તમિલનાડુમાં ચેન્નઇ-પુડુચેરી હાઇવે પર એરસ્ટ્રીપ્સ બનાવવામાં આવી રહી છે.
13 રાજ્યના હાઈવે પર એરસ્ટ્રીપ્સ બનાવશે
- Advertisement -
કેન્દ્ર સરકારે દેશભરમાં હાઈવે પર 35 એરસ્ટ્રીપ્સ બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે જેમા જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ગુજરાત, હરિયાણા અને પંજાબમાં ઇમરજન્સી લેન્ડિંગ માટે આવી એરસ્ટ્રીપ્સ તૈયાર કરવામાં આવી રહી છે.