શું સૂર્ય પર બનતી ઘટનાઓ માનવીને પ્રભાવિત કરે છે?
- જગદીશ આચાર્ય
“શનિ વક્રી થઈ રહ્યો છે,રાહુ હાહાકાર મચાવવા ઉતાવળો થયો છે,મંગળ ફલાણી ફલાણી રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે અને પરિણામે પૃથ્વી ઉપર યુધ્ધો તોળાઈ રહ્યા છે..”આવું આવું આપણે અખબારોમાં વાંચીએ છીએ.દુનિયામાં 80 ટકા કરતા વધારે લોકો એક યા બીજી રીતે જ્યોતિષશાસ્ત્રને માને છે.લાખો માઇલ દૂર બેઠેલા ગ્રહો આપણને અસર કરે છે એવું માનનારાઓમાં માત્ર સામાન્ય વર્ગના લોકો જ નથી.અમિતાભ બચ્ચન અને અંબાણી પરિવાર જેવા ધનપતિઓ અને સફળ ઉદ્યોગપતિઓથી માંડી ને ઉચ્ચ સતાસ્થાને બેઠેલા રાજકારણીઓ પણ જ્યોતિષોનો સહારો લે છે.બીજી તરફ ખગોળ વિજ્ઞાનીઓ અને સુધારાવાદીઓ આ બધી માન્યતાઓને હંબગ ગણાવે છે,માણસના મનની નબળાઈ ગણાવે છે.લાખો માઇલ દૂર બેઠેલા નિર્જીવ ગ્રહો આપણને અસર કરે એ વિચાર પણ નરી મૂર્ખામી છે એવો વ્યંગ આ પક્ષ કરે છે.
આ વિવાદ આજકાલનો નથી.આદિ માનવથી માંડીને આજના આધુનિક માનવ સુધીના દરેક યુગમાં અંતહીન,અસીમ આકાશમાં દરરોજ રાત્રે ઉઘડતી લાખો કરોડો તારલિયાઓની આ અજાયબ સૃષ્ટિ માણસ માત્રને અચંબિત અને મુગ્ધ કરતી રહી છે.દરરોજ સૂર્ય નારાયણ ક્ષિતિજમાં સમાઈ જાય તે પછી દૂર ઊંચે આકાશમાં ચમકતા અને ઝબકતા આ તારાઓ,ગ્રહો અને નક્ષત્રોના ભેદ ઉકેલવા કાળા માથાનો માનવી સદીઓથી મથામણ કરતો રહ્યો છે.
જ્યોતિષશાસ્ત્ર ગ્રહો અને નક્ષત્રોની અસરો ઉપર જ આધારિત છે.ઈસુના છ હજાર વર્ષ પહેલાં સુમેરિયન લોકોએ ગ્રહો અને નક્ષત્રોના અધ્યયન માટે સાતસો ફૂટ ઊંચા મીનારાઓ બાંધ્યા હતા.તેમની
પેઢીઓની પેઢી એ અધ્યયન કરતી રહી.અને પછી તેમણે જાહેર કર્યું કે પૃથ્વી ઉપર જે મહામારી થાય છે તેને ગ્રહો અને નક્ષત્રો સાથે સબંધ છે.
રહસ્યમય માયા સંસ્કૃતિના લોકો દ્વારા નિર્મિત અદભુત ઇમારતો માત્ર અને માત્ર ખગોળ અભ્યાસ હેતુથી જ બનાવવામાં આવી હતી.સૂર્યને પૂજતા અને પંચમહાભૂતના સિદ્ધાંતને માનતા અમેરિકાની ઇન્કા સંસ્કૃતિના લોકો હજારો ફૂટ ઊંચા ગિરિશીખરો ઉપરથી ગ્રહો અને નક્ષત્રોની ગતિવિધિઓ પર એકધારી નજર રાખતા.ઋગ્વેદમાં 55 હજાર વર્ષ પૂર્વેની ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિનો ઉલ્લેખ છે.તેના ઉપરથી લોકમાન્ય તિલકે જાહેર કર્યું હતું કે જ્યોતિષશાસ્ત્ર કમ સે કમ એટલું જૂનું તો છે જ.
આપણા ઋષિઓ અને મનીષીઓએ આધ્યાત્મિક શક્તિ, ગણિત અને નિરંતર નિરીક્ષણના આધારે ગ્રહો,નક્ષત્રો,આકાશગંગાઓ અને બ્રહ્માંડ વિશે જે તારણો આપ્યા તેની ચકાસણી હવે આધુનિક વિજ્ઞાનના સહારે થઈ રહી છે.
અહં બ્રહ્માસ્મિ એટલે કે હું જ બ્રહ્મ છું ની ભારતીય ધારણા ને સમર્થન મળે એવું સંશોધન સાત દાયકા પહેલાં થયું.1950માં આધુનિક વિજ્ઞાનના છાંયડામાં કોસ્મિક કેમેસ્ટ્રી એટલે કે બ્રહ્મ રસાયણ નામના નવા વિજ્ઞાનનો ઉદય થયો.આ કોસ્મિક કેમેસ્ટ્રીનો પાયો એ છે કે આખું બ્રહ્માડ એક શરીર છે.શરીરમાં એક સ્થળે રોગ થાય અને આખું શરીર પ્રભાવિત થાય એમ બ્રહ્માંડમાં ઘટતી કોઈ પણ ઘટનાથી પૃથ્વી અને પૃથ્વી ઉપર વસતા જીવો પ્રભાવિત થાય છે.
1920માં ચીજોબ્સકી નામના રશિયન વૈજ્ઞાનિકે એવું મહત્વપૂર્ણ સંશોધન કર્યું કે સૂર્ય ઉપર દર 11 વર્ષે પ્રચંડ ઉર્જા ધરાવતાં અણુ વિસ્ફોટો થાય છે અને ત્યારે પૃથ્વી ઉપર યુદ્ધ અને ક્રાંતિની ઘટનાઓ બને છે.પોતાના આ દવાના સમર્થનમાં તેણે સાતસો વર્ષની ઘટનાઓનો ઘટનાક્રમ રજૂ કર્યો અને સાબિત કર્યું કે પ્રુથ્વી ઉપર બનતી ઘટનાઓને સૂર્ય સાથે સીધો સંબંધ છે.
વૃક્ષો દર વર્ષે થડની છાલમાં એક રિંગ એટલે કે વર્તુળ બનાવે છે.આ વર્તુળો ઉપર સંશોધન કરતી અમેરિકાની ટ્રી રિંગ રિસર્ચ સેન્ટર નામની સંસ્થાના ડાયરેકટર પ્રો.ડગલસે શોધી કાઢ્યું હતું કે દર 11 વર્ષે સૂર્ય ઉપર ઉથલપાથલ થાય છે ત્યારે તેની રેડિયો એક્ટિવિટીથી બચવા માટે દુનિયાભરના વૃક્ષો હરહંમેશ કરતાં અનેક ગણા મોટા વર્તુળો બનાવે છે.
વૃક્ષો ઉપર સૂર્યની અસર થતી હોય તો માણસ ઉપર પણ થવી જોઈએ.માણસ ઉપર પણ અસર થાય છે જ એવો દાવો જાપાનના તોમાતો નામના એક ચિકિતસકે કર્યો.આ તબીબ માણસના રક્ત ઉપર સંશોધન કરતા હતા.સામાન્ય રીતે ગર્ભાવસ્થા અને માસિક ધર્મ દરમિયાન સ્ત્રીઓનું લોહી પાતળું પડતું હોય છે પણ તેઓ એ નિહાળીને દંગ થઈ ગયા કે સૂર્ય ઉપર ઉથલપાથલ થાય છે ત્યારે દર 11 વર્ષે પુરૂષોનું લોહી પણ પાતળું બની જાય છે.
ઇજિપ્તવાસીઓ સૂર્ય પૂજક હતા.તેઓ માનતા કે સૂર્ય અને નદીઓને ગાઢ સંબંધ છે.ચાર હજાર વર્ષ પહેલાં ફેરોહ સમ્રાટે નાઇલ નદીના પાણીની સપાટી તથા વહેણની ગતિ વિશે રોજબરોજની નોંધ રાખવાની પ્રણાલિકા શરૂ કરાવી હતી.નાઇલ નદીનો ચાર હજાર વર્ષનો રેકોર્ડ પ્રાપ્ય છે.ઇજિપ્તના તસમાન નામના વિદ્વાને નાઈલની કથા લખી છે.આંકડાઓ એવું દર્શાવે છે કે 45 વર્ષ સુધી નાઈલની સપાટી વધતી રહેતી.ત્યારબાદ 45 વર્ષ સુધી ઘટતી રહેતી.અને નેવુંમાં વર્ષે સપાટી એકદમ ઘટી જતી.નાઇલનું વહેણ એકદમ મંદ પડી જતું.નાઈલની સપાટીની વધઘટને સૂર્ય સાથે ગાઢ સંબંધ છે એવું તારણ નીકળ્યું હતું.
હવે મજા એ છે કે સૂર્યની એક નેવું વર્ષની પણ સાયકલ છે એવું વિજ્ઞાનીઓ પણ માની રહ્યા છે.થિયરી એવી છે કે નેવું વર્ષના આ વર્તુળમાં પ્રથમ 45 વર્ષમાં સૂર્ય યૌવનથી છલકાતો અને ખૂબ શક્તિશાળી હોય છે.ઉતરાર્ધન 45 વર્ષ દરમિયાન સૂર્યની ગતિ વૃદ્ધાવસ્થા તરફની હોય છે.નેવુંમાં વર્ષે સૂર્ય એકદમ અશક્ત બની જાય છે અને એ વર્ષે પૃથ્વી ઉપર ધરતીકંપ થવાની ઘટનાઓમાં મોટો વધારો થાય છે.
બ્રહ્માડના ભેદ અકળ છે.આપણા ઋષિઓ એ ભેદને પામી શક્યા હતા.આજે આધુનિક સ્પેસ્ક્રાફ્ટ અને વૈજ્ઞાનીક ઉપકરણો દ્વારા એ ભેદ ઉકેલવા ભગીરથ પ્રયાસો થઈ રહ્યા છે અને સમયાંતરે નવા રહસ્યો ખુલતા રહે છે.
સોલાર વિન્ડ ના સંશોધન માટે “કોયોટો પ્રાઈઝ” નામનો પ્રતિષ્ઠાભર્યો આંતરરાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કરનારા શિકાગો યુની. ના એક સમયના ફિઝિક્સ,એસ્ટ્રોનોમી અને એસ્ટ્રો ફિઝિકસના વિદ્વાન પ્રો.પાર્કરે એ સાબિત કર્યું હતું કે સૂર્યમાંથી દર સેક્ધડે બસ્સોથી છસ્સો માઈલની ગતિ સાથે પ્રચંડ હવા ફૂંકાતી રહે છે. આ હવા સૂર્યમંડળ બહારના દૂર દૂરના ગ્રહો અને તારાઓ વચ્ચેની જગ્યાને અયોનાઇઝડ ગેસથી ભર્યે રાખે છે.આ સંશોધનને કારણે તારમંડળ વચ્ચેની જગ્યા વાયુરહિત છે એવી પ્રચલિત માન્યતાનો છેદ ઉડી ગયો હતો.નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સીના વૈજ્ઞાનીક પ્રો.બેરેકે માન્યું હતું કે આ શોધ સૂર્યના પ્રચંડ વવાઝોડાઓ,પૃથ્વીના ચુંબકીય મોજાઓ,ધ્રુવ પ્રદેશ પર દેખાતા તેજ વર્તુળો તથા અન્ય ગ્રહો પરના જીવન અંગેના સંશોધનમાં અતિ ઉપયોગી સાબિત થઈ શકે છે.તેમણે એવો મત વ્યક્ત કર્યો હતો કે આ સંશોધનને કારણે પૃથ્વી અને પૃથ્વી પરની જીવસૃષ્ટિ ઉપર સૂર્યની અસરો અંગેની શોધખોળમાં એક નવો અધ્યાય શરૂ થઈ શકે છે.
નાસા દ્વારા તારામંડળોમાંથી સૂર્યમંડળમાં પ્રવેશતી ધૂળ અંગે પણ અભ્યાસ ચાલુ છે.આ ધૂળમાં કાર્બન,મેગ્નેશિયમ, લોહતત્વ અને કેલ્શિયમનું મોટું પ્રમાણ છે.વૈજ્ઞાનીકોનું માનવું છે કે સૂર્યની બીજી એક “સોલર મેક્સિસ” નામની બાવીસ વર્ષની સાયકલ પણ છે.તે સાયકલના અંતે સૂર્યની ચુંબકીય શક્તિ નબળી પડે છે અને ત્યારે આ ધૂળ મોટી માત્રામાં સૂર્યમંડળમાં પ્રવેશ મેળવી લે છે અને પૃથ્વી પર એનો જબરો પ્રભાવ પડે છે.
બ્રહ્માડમાં બધું એક બીજા સાથે સંકળાયેલું છે.સૂર્ય અને અન્ય ગ્રહો અને તારાઓ એક બીજાને સતત પ્રભાવિત કર્યે રાખે છે.જ્યોતિષશાસ્ત્ર એ સિદ્ધાંત ઉપર જ તો બન્યું છે.
હિંદુઓએ તો સૂર્યને પિતા માન્યા છે.આપણે તો સૂર્યની પૂજા કરીએ છીએ. તેની વિધિઓ અને મંત્રો છે.સૂર્યમાંથી પૃથ્વી છૂટી પડી.એટલે પૃથ્વીમાં સૂર્યનો અંશ છે.પૃથ્વીમાંથી જીવ સૃષ્ટિ પાંગરી.ધરતીને એટલે જ માતાનું બિરુદ આપવામાં આવ્યું છે.પુત્રના અણુ અણુ માં પિતાનો અંશ હોય,તેના જીન હોય તેમ આપણા બધાના અણુ અણુમાં સૂર્યનો અંશ છે.આપણે બધા તેના જ વંશજ છીએ.સૂર્ય સાથે આપણે એવા મજબૂત તાંતણે બંધાયેલા છીએ કે ત્યાં બનતી ઘટના આપણને ઓછે વધતે અંશે પ્રભાવિત કરે છે.આપણે તો બસ એ જ પ્રાર્થના કરવાની કે ’કરોડો કી જિંદગી કે લિયે,જગતભરકી રોશની કે લિયે સૂરજ રે જલતે રહેના..”