ગોંડલ રોડ પરનાં આંબેડકરનગરમાં બનેલો બનાવ: મહિલાએ વિડીયો બનાવી ફેસબૂક સ્ટેટસમાં શેર કર્યો
ગૃહકલેશ કારણભૂત: માલવિયાનગર પોલીસે પતિની ધરપકડ કરી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં આજે એક એવી અજીબ ઘટના સામે આવી છે, જેને સાંભળતાની સાથે સૌ કોઈ લોકો થોડી ક્ષણ માટે સ્તબ્ધ થઇ જાય… રાજકોટના ગોંડલ રોડ પર આવેલ આંબેડકરનગરમાં રહેતી એક મહિલાએ પ્રથમ તેમના બે માસુમ બાળકોની હત્યા કરી અને બાદમાં પોતે વીડિયો બનાવી ફેસબુક સ્ટેટ્સ પર અપલોડ કરી આત્મહત્યા કરી છે. જેમાં મહિલાએ પતિ સાગરના ત્રાસથી પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કરતા હાલ સમગ્ર મામલે માલવીયાનગર પોલીસે પતિ સાગરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના આંબેડકરનગર વિસ્તારમાં રહેતી મહિલા મનીષા પરમારે ગઈકાલે રાત્રિના પોતાના બે માસુમ બાળકો ભાર્ગવ (ઉં.વ.3) અને ઇશિતા (ઉં.વ.6 માસ)ની હત્યા નીપજાવ્યા બાદ પોતે પણ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મનીષાબેન સાગરભાઈ પરમાર (ઉં.વ.27) પતિ સાગરના ત્રાસથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જેમાં બાળકોની હત્યા નીપજાવ્યા બાદ પોતે એક વીડિયો બનાવી પતિ સામે આક્ષેપ કરી પોતે પણ આત્મહત્યા કરતા હોવાનો વીડિયો ફેસબુક સ્ટેટ્સ પર મુક્યો હતો. જો કે, આ સ્ટેટ્સ પાડોશીએ જોતા તેઓ, તુરંત ઘર પર દોડી ગયા હતા. જ્યાં દરવાજો તોડી જોતા મનીષાબેન લટકતી હાલતમાં જોવા મળ્યા હતા.
પોલીસે સાગરની અટકાયત કરી તપાસ હાથ ધરી
બનાવ અંગે માલવીયાનગર પોલીસને જાણ થતા માલવિયાનગર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. બન્ને બાળકો તેમજ મનીષાબેનના મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મનીષાબેને આત્મહત્યા કરતા પહેલા બનાવેલ વીડિયોમાં પતિ સાગરનો ત્રાસ હોવાનું કહેતા પોલીસે સાગરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
- Advertisement -
ગૃહકલેશને કારણે પતિ-પત્ની અલગ રહેતા હતા
માલવિયાનગર પોલીસમાંથી જાણવા મળ્યું હતું કે, દંપતી વચ્ચે છેલ્લા ઘણા સમયથી મનમેળ નહીં આવતા અવારનવાર માથાકૂટ થતી હતી. જેથી પતિ સાગર બાજુના મકાનમાં રહેતો હતો અને પત્ની મનીષા પાસે જતો નહોતો. તેમજ સાગર તેના પરિવાર ઉપરાંત તેના ભાઈ હિરેન સાથે રહેતા હતા. તેનો ભાઈ હિરેન હાલ હત્યાના ગુનામાં જેલમાં હોવાનું જાણવા મળ્યું છે.