કચ્છનું ખાવડા ગ્રુપ, રિયલ એસ્ટેટ બિઝનેસ સાથે સંકળાયેલા ગ્રુપનાં ભુજ, અંજાર, ગાંધીધામ, રાજકોટ સહિત 32 સ્થળે 150થી વધુ અધિકારી દ્વારા તપાસનો ધમધમાટ
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે રાજકોટ અને ભુજમાં આવકવેરા વિભાગે મોટું સર્ચ-ઓપરેશન હાથ ધર્યું છે. જાણીતા ગ્રુપ પર આવકવેરા વિભાગે દરોડા પડ્યા છે. આ ગ્રુપ ફાઇનાન્સ, પ્રોપર્ટી અને ચેવડા-મિઠાઈ સહિતના અનેક વ્યવસાયમાં સંકળાયેલું છે. જેને પગલે રાજકોટ, ગાંધીધામ, અંજાર અને ભુજ ખાતે આવેલા ભાગીદારોના રહેઠાણ અને ઓફિસ ઉપર તપાસ દરોડા પાડીને ઈંઝએ તપાસ શરૂ કરી છે. આ મેગા સર્ચ-ઓપરેશનમાં 200 અધિકારીઓ જોડાયા છે. અને દરોડાની તપાસની કાર્યવાહીના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી શક્યતા સેવાઈ રહી છે.
- Advertisement -
જાણવા મળતી વિગતો મુજબ 2022-23ના નાણાકીય વર્ષમાં રાજકોટ અને અમદાવાદની આવકવેરા વિભાગની ઇન્વેસ્ટીગેશન વીંગ દ્વારા પ્રથમ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આવકવેરા વિભાગના ડીડીઆઇ મીના અને આશિષ લાલના માર્ગદર્શન તળે કચ્છના ખૂબ જાણીતા ખાવડા ગ્રુપ ઉપર આવકવેરા વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. મીઠાઇ, રીયલ એસ્ટેટ અને ફાઇનાન્સ સાથે સંકળાયેલા ખાવડા ગ્રુપના ભુજ, ગાંધીધામ, અંજાર સહિતના 32 સ્થળોથી વધુ આવકવેરા વિભાગે આજે સવારે કાર્યવાહી હાથ ધરી છે.
આ આઇટી દરોડાના લીધે સમગ્ર રિયલ એસ્ટેટના વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે આ સાથે ફાઇનાન્સના બ્રોકરોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ આઇટી દરોડામાં ભારે બેનામી સંપત્તિ મળી આવવાના અંધાણ છે. હાલ 30થી વધુ સ્થળો પર આઇટીના દરોડા ચાલી રહ્યા છે.
200 જેટલાં અધિકારી જોડાયા
રાજકોટ, ગાંધીધામ, અંજાર અને ભુજમાં ખાવડા ગ્રુપ સહિતનાંને ત્યાં વહેલી સવારથી આવકવેરાનાં દરોડા પાડવામાં આવ્યા છે. આ ગ્રુપ મુખ્યત્વે મીઠાઈના વ્યવસાય સાથે જોડાયેલ છે. મળતી માહિતી પ્રમાણે, હાલ કુલ 200 જેટલા અધિકારીઓ આ દરોડાની કામગીરીમાં સામેલ છે.
- Advertisement -
ચૂંટણી ટાણે આવકવેરાનાં દરોડા
ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને અનેક સરકારી સંસ્થાઓને દરેક ઉમેદવાર પર નજર રાખવા જણાવ્યું છે. જેમાં આવકવેરા વિભાગ, રાજ્ય પોલીસ, રિઝર્વ પોલીસ ફોર્સ,સહિત ઘણી એજન્સીઓ સામેલ છે. ત્યારે ચૂંટણી નજીક છે એવા સમયે ITના દરોડા પડતા અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. આવકવેરા વિભાગની આ કાર્યવાહીમાં કેટલી કરચોરી થઈ છે તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી.
પરંતુ જણાવવામાં આવી રહ્યું છે કે, રાજકોટ, ભુજ અને ગાંધીધામ એમ ત્રણેય જગ્યાએ આવકવેરા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં દરોડા પાડી રહ્યા છે.