વાયદા અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર
મ્યુનિસિપલ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ કરી 10 દિવસમાં રોડ બનાવવાની ખાતરી આપી હતી
- Advertisement -
23 ફેબ્રુઆરીએ અંદાજે 1500 ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવાયું હતુ: રોડ બનાવવાની વાત તો દૂર રહી, તંત્ર કાટમાળ હટાવવામાં પણ નિષ્ફળ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલું ઐતિહાસિક ડિમોલિશન અત્યારે તંત્રની ઉદાસીનતાને કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. એક મહિના પહેલા 23 ફેબ્રુઆરીના રોજ અભૂતપૂર્વ આયોજન સાથે આજી નદીના પટમાં અને ટી.પી. રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ કામગીરી અંતર્ગત વર્ષો જૂના 1500 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. તંત્રએ તે સમયે એવો દાવો કર્યો હતો કે, 10 જ દિવસમાં જ આ વિસ્તારમાં રસ્તાઓ પહોળા કરવામાં આવશે અને નદીના પટમાં વિકાસકાર્યો હાથ ધરીને વિસ્તારનો કાયાકલ્પ કરવામાં આવશે. જોકે, આ ઘટનાને આજે 75 દિવસ એટલે કે અઢી મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં, સ્થિતિ જૈસે-થે જોવા મળી રહી છે. 10 દિવસમાં રોડ બનાવી દેવાશે તેવો દાવો મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ કર્યો હતો પરંતુ હજુ સુધી બન્યો નથી.
સૌથી ગંભીર બાબત આગામી ચોમાસું છે. આજી નદીના પટમાં પડેલો કાટમાળ અને પથ્થરો નદીના કુદરતી પ્રવાહને અવરોધી શકે છે. જો જૂન મહિના પહેલા આ કાટમાળ યુદ્ધના ધોરણે હટાવવામાં નહીં આવે, તો જંગલેશ્વર અને આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની ગંભીર સ્થિતિ સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે. જે પૂરના ભયને ટાંકતા કમિશનરે દબાણો દૂર કરાવ્યા હતા, તે જ જોખમ અત્યારે કાટમાળને કારણે વધી ગયું છે.
વોર્ડ નં. 16ની પ્રજાએ તાજેતરની મહાનગરપાલિકાની ચૂંટણીમાં શાસક પક્ષ ભાજપ વિરુદ્ધ જે જનાદેશ આપ્યો છે, તેની પાછળ ડિમોલિશન બાદની તંત્રની ઘોર બેદરકારી મુખ્ય કારણ હોવાનું મનાય છે. લોકોમાં ભારે રોષ છે કે તંત્રએ રહેણાંક મકાનો તોડી તો પાડ્યા, પરંતુ ત્યારબાદ પાયાની સુવિધાઓ આપવામાં ઉદાસીનતા દાખવી છે. આચારસંહિતા લાગુ થાય તે પહેલા પૂરતો સમય હોવા છતાં, 15 મીટરના રોડનું ડિમાર્કેશન કે લેવલિંગ કરવામાં આવ્યું નથી, જેના કારણે સ્થાનિકો આજે ધૂળ અને પથ્થરો વચ્ચે જીવવા મજબૂર બન્યા છે.
સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું છે કે કાટમાળ હટાવવાની પ્રક્રિયા બે ભાગમાં વહેંચાઈ છે. રોડના વિસ્તારમાં કોર્પોરેશનની મશીનરીથી કામ શરૂ કરાયું છે, જ્યારે નદીના પટમાં રહેલા મલબાના નિકાલ માટે પ્રાઈવેટ એજન્સીને ટેન્ડરથી કામ સોંપવાની પ્રક્રિયા ચાલુ છે. તેમણે દાવો કર્યો છે કે મે મહિનાથી જૂન મધ્ય સુધીમાં મોન્સૂન પ્લાનિંગ હેઠળ આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં વોર્ડ નં. 16માં ભાજપની આખી પેનલનો પરાજય અને કોંગ્રેસનો વિજય એ તંત્ર અને શાસકો માટે લાલબત્તી સમાન છે. મતદારોનું માનવું છે કે માત્ર ઘર તોડવાથી વ્યવસ્થા સુધરતી નથી, તોડ્યા પછી નવી વ્યવસ્થા ઊભી કરવાની જવાબદારી પણ તંત્રની જ હોય છે. 15 મીટરના રોડની આશાએ બેઠેલા લોકો હવે છેતરાયા હોવાની લાગણી અનુભવી રહ્યા છે. અધિકારીઓની ઉદાસીનતાને કારણે શાસક પક્ષે રાજકીય કિંમત ચૂકવવી પડી છે. આગામી દિવસોમાં આ મામલે નક્કર કામગીરી નહીં થાય, તો પરિસ્થિતિ વધુ સ્ફોટક બની શકે છે.



