વોર્ડ નં. 14માં ડેન્ગ્યુ-મેલેરિયા સામે મનપાના આરોગ્ય શાખાની ૧૨૩ ટીમ દ્વારા સઘન કામગીરી
412 બિનરહેણાંક એકમોની તપાસ કરાઇ જેમાં 113 એકમને નોટિસ ફટકારી
- Advertisement -
ચોમાસાની ઋતુ દરમિયાન ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોના કેસોમાં વધારો ન થાય અને મચ્છરોની ઉત્પતિ પર નિયંત્રણ લાવી શકાય તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા
વન-ડે-વન-વોર્ડ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. તા. 4 ઓગસ્ટ, 2026થી શરૂ કરાયેલી આ ઝુંબેશ અંતર્ગત તા. 20 ઓગસ્ટના રોજ વોર્ડ નં. 14માં મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી
હતી. મનપાની આ ઝુંબેશ હેઠળ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત ફિલ્ડવર્કર, MPHW તથા અર્બન ASHA દ્વારા ઘરે-ઘરે જઈને મચ્છરની ઉત્પતિના સ્થળોની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ
નાગરિકોને મચ્છરજન્ય રોગોથી બચવા માટે જરૂરી સાવચેતી અંગે આરોગ્ય શિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે.
વોર્ડ નં. 14માં હાથ ધરાયેલી કામગીરી દરમિયાન આરોગ્ય વિભાગની ટીમોએ કુલ 12,480 ઘરોની તપાસ કરી હતી અને ઘરોમાં રહેલા પાણીના 52,830 પાત્રોની ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 481 ઘરોમાં
મચ્છરના પોરા મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. ઘરોમાં પીવાના તથા વપરાશના પાણીના પાત્રો, ટાંકા-ટાંકી, છોડના કુંડા, પક્ષીકુંજ સહિત પાણી ભરાઈ શકે તેવી જગ્યાઓની તપાસ કરવામાં આવી હતી. જ્યાં
જરૂરી જણાયું ત્યાં દવાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાથે જ પાણીના પાત્રોમાં લાંબા સમય સુધી પાણી સંગ્રહિત ન રહે તે માટે લોકોને સમજ આપવામાં આવી હતી. માત્ર રહેણાંક વિસ્તારો પૂરતી કામગીરી મર્યાદિત ન
રાખતા વોર્ડની શાળાઓ, હોસ્પિટલો, બાંધકામ સાઇટો, સેલર, હોટલ સહિતના કોમર્શિયલ અને જાહેર સ્થળોની પણ તપાસ કરવામાં આવી હતી. વોર્ડ નં. 14માં કુલ 412 બિનરહેણાંક એકમોની તપાસ હાથ ધરવામાં આવી હતી.
મચ્છરની ઉત્પતિની હાજરી મળતા 113 આસામીને નોટિસ આપવામાં આવી હતી. નાના-મોટા ખાડા-ખાબોચિયામાં પાણી ભરાઈ મચ્છરોની ઉત્પતિ ન થાય તે માટે મોસ્કિટો લાર્વીસિડલ ઓઇલ (MLO) તથા જરૂરી દવાનો છંટકાવ
કરવામાં આવ્યો હતો.
ફિવર સર્વે દરમિયાન 48 લોકોના લોહીના નમૂના લેવાયા
ઝુંબેશના ભાગરૂપે ફિવર સર્વે પણ હાથ ધરવામાં આવ્યો હતો. સર્વે દરમિયાન તાવ અથવા શંકાસ્પદ લક્ષણો ધરાવતા 48 વ્યક્તિના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા અંગે નાગરિકોને
માહિતી આપતી પત્રિકાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મચ્છરની ઉત્પતિ કેવી રીતે થાય છે, તેને અટકાવવા માટે ઘરગથ્થુ સ્તરે કયા પગલાં લેવા જોઈએ અને મચ્છરજન્ય રોગોથી કેવી રીતે બચી શકાય તે
અંગે લોકોને વ્યક્તિગત સમજ આપવામાં આવી હતી.
- Advertisement -
તાવ આવે તો તાત્કાલિક લોહીની તપાસ કરાવવાની અપીલ
મચ્છરના કરડવાથી બચવા માટે મચ્છરદાની, મોસ્કિટો રિપેલન્ટ અને મચ્છર અગરબત્તીનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. તાવ આવે ત્યારે તેને સામાન્ય તાવ ગણીને બેદરકારી ન દાખવતા નજીકના આરોગ્ય
કેન્દ્રમાં તાત્કાલિક લોહીની તપાસ કરાવવાની અપીલ કરવામાં આવી છે. શહેરના આરોગ્ય કેન્દ્રોમાં લોહીનું નિદાન અને જરૂરી સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ છે.




