ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર,
પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં છેલ્લા 9 દિવસમાં 3 સિવિલ સર્જન બદલાયા છે, જેનાથી કર્મચારીઓમાં ભારે નારાજગી ફેલાઈ છે. તાજેતરમાં જ ડો. એ.વી. તિવારીને ફરીથી સિવિલ સર્જન તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ બદલાવ સાથે, આર.એમ.ઓ તરીકે ડો. વિપુલ મોઢાની નિમણૂક પણ કરવામાં આવી છે. આ અચાનક થયેલા ફેરફારોથી હોસ્પિટલમાં કર્મચારીઓમાં આંતરિક નારાજગી જોવા મળી રહી છે. ડો. એ.વી. તિવારીને અગાઉ હટાવીને ડો. દિવ્યા ડાગાને સિવિલ સર્જન તરીકે નિમણૂંક કરાયા હતા. પરંતુ ડો. ડાગા લાંબા સમયની રજાએ જતા, આંખ વિભાગના વડા ડો. વિભૂતિબેન કોરિયાને નિમણુંક કરવામાં આવી હતી.
- Advertisement -
હવે ડો.એ.વી. તિવારીને ફરીથી આ પદ પર પરત લાવવામાં આવ્યા છે. આના પરિણામે, હોસ્પિટલમાં વિવાદો અને ચર્ચાઓ શરૂ થઈ છે. 9 દિવસમાં 3 વખત સિવિલ સર્જન બદલાતા, આ ફેરફારો પાછળના કારણો પર અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.હોસ્પિટલના કર્મચારીઓ આ અચાનક અને સતત બદલાવથી અસંતોષમાં છે, અને હોસ્પિટલના કાર્યમાં સતત થતી વિક્ષેપથી તેઓ પરેશાન છે.