આજે માનવને મોજમાં રહેવાના સોનેરી સૂત્રો સાથે માનવ ઉત્કર્ષ મહોત્સવની પૂર્ણાહુતિ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
- Advertisement -
બી.એ.પી.એસ. (ઇઅઙજ) સ્વામિનારાયણ મંદિર દ્વારા રેસકોર્સ મેદાનમાં આયોજિત ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’ પાંચમા દિવસે દિવ્યતાના શિખરે પહોંચ્યો હતો. આ પ્રસંગે ગાંધીનગર અક્ષરધામના મહંત પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામીની વિશેષ ઉપસ્થિતિમાં વૈદિક પરંપરા મુજબ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. તેમની નિશ્રામાં યોજાયેલી પ્રેરક પ્રશ્નોત્તરી અને પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીના ગૂઢ ચિંતનસભર પ્રવચને શ્રોતાઓના હૃદય જીતી લીધા હતા. પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામીએ યુવાવૃંદ સાથેની પ્રશ્નોત્તરીમાં જણાવ્યું હતું કે, આ મહોત્સવ માનવીના શરીર, મન, આત્મા અને હૃદયના સર્વાંગી ઉત્કર્ષ માટે છે. સુખ અને દુ:ખની સમજ આપતા તેમણે ઉમેર્યું કે, જ્યારે જીવનમાં ગુરુહરિના આશીર્વાદથી સાચું સુખ મળે છે, ત્યારે સાંસારિક સુખો નગણ્ય લાગે છે. તેમણે આ મહોત્સવના આયોજન બદલ તમામ સંતો અને હરિભક્તોને બિરદાવ્યા હતા અને આ પ્રેરણા જીવનભર ટકી રહે તેવી પ્રાર્થના કરી હતી. મહોત્સવના મુખ્ય વક્તા પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ આજના જટિલ વિષય પરમાત્મા છે તો પ્રશ્નો કેમ? પર પ્રકાશ પાડતા કહ્યું કે, જીવનમાં આવતા સંઘર્ષો કોઈ દંડ નથી, પરંતુ તે આપણને વધુ મજબૂત અને શુદ્ધ બનાવવા માટેની ઘડતર પ્રક્રિયા છે. તેમણે સોનાના તાપ અને પતંગિયાના કોશેટામાંથી બહાર આવવાના સંઘર્ષની ઉપમા આપીને સમજાવ્યું કે, જેવી રીતે બાળક પડતા-પડતા ચાલતા શીખે છે, તેવી જ રીતે જીવનના પ્રશ્નો આપણને જાગૃત અને જીવનમૂલ્યોમાં દૃઢ બનાવે છે. મહોત્સવના સમાપન પૂર્વે રેસકોર્સ મેદાન આધ્યાત્મિક ઉર્જાથી તરબતર બન્યું છે. આવતીકાલે મહોત્સવના અંતિમ દિવસે પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી જીવનમાં મોજમાં કેવી રીતે રહેવું? તેના સોનેરી સૂત્રો આપી મહોત્સવની પૂર્ણાહુતિ કરાવશે.
રાજકોટના રેસકોર્સમાં BAPS દ્વારા પૌરાણિક યજ્ઞશાળા: બિલોરી કાચથી સૂર્યકિરણો દ્વારા અગ્નિ પ્રગટાવાયો
વર્લ્ડ રેકોર્ડ ધરાવતા 400 બાળ વિદ્વાનોના મુખે ગુંજ્યા સંસ્કૃત શ્ર્લોકો: 48 યજ્ઞકુંડોમાં પરિવારોએ આપી આહુતિ
- Advertisement -
બી.એ.પી.એસ. (BAPS) સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજિત ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’ અંતર્ગત રેસકોર્સ મેદાનમાં તૈયાર કરવામાં આવેલી ‘પારિવારિક શાંતિ યજ્ઞશાળા’ આજે આધુનિક યુગમાં પ્રાચીન ઋષિ સંસ્કૃતિનું જીવંત દર્શન કરાવી રહી છે. આ યજ્ઞશાળાની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં યજ્ઞકુંડમાં અગ્નિ પ્રગટાવવા માટે કોઈ માચીસ કે લાઈટરનો નહીં, પરંતુ વૈદિક પરંપરા મુજબ બિલોરી કાચ દ્વારા સૂર્યના કિરણોનો ઉપયોગ કરવામાં આવે છે.
આ યજ્ઞમાં રાજકોટવાસીઓને મંત્રમુગ્ધ કરી દે તેવું દ્રશ્ય 3 થી 13 વર્ષના 400 બાળકો દ્વારા રજૂ કરવામાં આવે છે. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવનાર આ બાળ વિદ્વાનો અને બાલિકા વિદુષીઓએ મહંતસ્વામી મહારાજ રચિત ‘સત્સંગ દીક્ષા’ ગ્રંથના 315 શ્લોકો મુખપાઠ કર્યા છે. યજ્ઞ દરમિયાન જ્યારે આ બાળકો શુદ્ધ ઉચ્ચારો સાથે સંસ્કૃત શ્લોકોનું ગાન કરે છે ત્યારે સમગ્ર વાતાવરણ દિવ્ય બની જાય છે. દરરોજ અંદાજે 200 પરિવારો આ 48 યજ્ઞકુંડોમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે આહુતિ આપે છે.
યજ્ઞના અંતિમ ચરણમાં એક અત્યંત ભાવુક વિધિ યોજાય છે, જેમાં પરિવારના સભ્યો શાંત ચિત્તે બેસીને એકબીજામાં રહેલા સદગુણોનું ચિંતન કરી તેને કાગળ પર ઉતારે છે. આ લેખન બાદ જ્યારે સભ્યો એકબીજાને આ ગુણો સંભળાવે છે, ત્યારે અનેક પરિવારોની આંખોમાં પ્રેમ અને આદરના આંસુ છલકાઈ આવે છે. પરિવારોએ આ પ્રસંગે સાત પવિત્ર સંકલ્પો લીધા હતા, જેમાં પોતાની ભૂલ જોવી, સકારાત્મકતા કેળવવી, પરિવાર સાથે સમૂહ ભોજન અને ઘરસભા કરવા જેવા નિયમોનો સમાવેશ થાય છે.
સાંજે 5:30 થી 7:30 દરમિયાન યોજાતા આ યજ્ઞમાં 160 થી વધુ બાળ કાર્યકરો વ્યવસ્થા સંભાળી રહ્યા છે. યજ્ઞમાં જોડાયેલા પરિવારોના મતે, આજના વ્યસ્ત જીવનમાં પરિવાર સાથે બેસીને એકબીજાના આત્માને ઓળખવાની આ વિધિએ ઘરને મંદિર બનાવવાની નવી દિશા ચીંધી છે.



