વર્ષ ૨૦૨૪માં ૧૫૫૮૮ અકસ્માત, ૭૭૧૭ના મોત થયાનો ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીનો રિપોર્ટ
ઓવરસ્પીડને લીધે નિર્દોષ નાગરિકો કાળનો કોળિયો બન્યા
- Advertisement -
ખાસ ખબર ન્યૂઝ ગાંધીનગર
ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના એનાલિટીકલ સ્ટડી ઓફ રોડ એક્સિડન્ટસ ઈન ગુજરાત-૨૦૨૪ના અહેવાલમાં જાહેર કરાયો છે જેમાં અકસ્માતના પ્રમાણને લઈને ચિંતાજનક ચિત્ર રજૂ કરાયુ છે. રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૨૪માં સમગ્ર ગુજરા
તમાં કુલ ૧૫,૫૮૮ માર્ગ અકસ્માત થયા હતાં જેમાં ૭,૭૧૭ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ સિવાય કુલ ૧૪ હજારથી વધુ લોકો ઘાયલ થયા હતાં જે પૈકી ૯૩૦૧ લોકો તો ઈજાગ્રસ્ત થતાં અપંગતાનો ભોગ બન્યા હતાં. આ રિપોર્ટ પરથી એવા તારણ બહાર આવ્યાં છે કે, ગુજરાતમાં રોજ સરેરાશ ૨૦ લોકો માર્ગ અકસ્માતમાં મોતને ભેટે છે. vહેવાલના ચોંકાવનારા વિશ્લેષણ મુજબ, ગુજરાતના માર્ગો પર રોજ સરેરાશ ૪૦ અકસ્માત સર્જાય છે અને રોજ ૨૦ લોકો મૃત્યુ પામે છે. અકસ્માતો પાછળનું સૌથી મુખ્ય અને મોટું કારણ વાહનોની ઓવર સ્પીડ હોવાનું સામે આવ્યું છે. નિયત ગતિ મર્યાદા કરતાં વધુ ઝડપે વાહન ચલાવવાની લ્હાયમાં નિદીષ નાગરિકો કાળનો કોળિયો બની રહ્યા છે.
સમય આધારિત વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે સાંજે ૬ થી રાત્રે ૮ વાગ્યા સુધીનો સમય અકસ્માતો માટે સૌથી વધુ સંવેદનશીલ છે. આ પીક અવર્સ દરમિયાન ટ્રાફિકનું ભારણ અને ઉતાવળ અકસ્માતનું કારણ બને છે. વધુમાં, આ અકસ્માતોમાં જીવ ગુમાવનારાઓમાં ૨૫થી ૩૫ વર્ષની વયજૂથના યુવાનોની સંખ્યા સૌથી વધુ છે, જે પરિવાર માટે આર્થિક અને સામાજિક ખોટ છે.
- Advertisement -
રિપોર્ટમાં એક આશ્ચર્યજનક તથ્ય એ સામે આવ્યું છે કે વણાંક વાળા રસ્તાઓ કરતાં સીધા રોડ પર અકસ્માતનું પ્રમાણ ઘણું વધારે છે. સીધા રસ્તા મળતાં જ ચાલકો ગતિ વધારી દે છે, જે અકસ્માત નોતરે છે. આ ઉપરાંત, શાંત રહેણાક વિસ્તારો કરતાં ભીડભાડ વાળા માર્કેટ વિસ્તારોમાં વધુ અકસ્માતો નોંધાયા છે. માર્ગો પર ચાલતા રાહદારીઓ આ અકસ્માતોમાં સૌથી વધુ ભોગ બન્યા છે અને તેમના મોતના આંકડા ચિંતાજનક છે. રાજ્યના ભૌગોલિક વિસ્તારોની વાત કરીએ તો, પંચમહાલ, સાબરકાંઠા, અમદાવાદ ગ્રામ્ય અને ખેડા જિલ્લામાં અકસ્માતો અને ગંભીર ઈજાઓનું પ્રમાણ અગાઉની સરખામણીએ નોંધપાત્ર રીતે વધ્યું છે. આ વિસ્તારોમાં બ્લેક સ્પોટ આઈડેન્ટીફાઈ કરીને તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવાની જરૂરિયાત ઊભી થઈ છે. જ્યારે અમદાવાદ શહેર, ગાંધીનગર, અરવલ્લી, ભાવનગર, રાજકોટ શહેર-ગ્રામ્ય, જામનગર અને મોરબીમાં અકસ્માતનુ પ્રમાણ ઘટ્યું છે. આ રિપોર્ટ બાદ હવે વહીવટી તંત્ર અને આર.ટી.ઓ દ્વારા કડક સ્પીડ ગન સાથે નાઈટ પેટ્રોલિંગ અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવે તે અનિવાર્ય બન્યું છે.
અકસ્માતમાં કોના મૃત્યુ ?
રાહદારી : ૧૭૪૭
ટુ વ્હિલર: ૩૭૨૨
કાર-ટેક્સી : ૯૬૧
ટ્રક: ૫૭૧
કેવા માર્ગો પર અકસ્માત ?
સીધા રોડ : ૧૨૩૯૦
વણાંકમાં: ૧૫૫૪
બ્રિજ પર : ૭૦૨
કયા વિસ્તારોમાં અકસ્માત ?
રહેણાંક : ૩૮૧૮ અકસ્માત
શૈક્ષણિક : ૧૧૪૨ અકસ્માત
માર્કેટ-મોલ : ૮૨૪૬ અકસ્માત
હાઇવે પર કેટલા અકસ્માત?
એક્સપ્રેસ હાઈવેઃ ૮૧
નેશનલ હાઈવે : ૩૪૮૮
સ્ટેટ હાઈવે : ૩૯૨૬
અકસ્માતનો સમય
સાંજે ૬થી ૮ : ૪૧૫ અકસ્માત
રાત્રે ૯થી ૧૨ : ૩૩૩ અસ્માત
સવારે ૯થી ૧૨ : ૩૨૨ અકસ્માત
અકસ્માતનું કારણ શું ?
ઓવરસ્પીડ : ૧૪૩૯૦
દારૂ પીવાથી : ૯૪
રોંગસાઈડ: ૬૦૯
મોબાઈલ ફોન : ૩૬
વયજૂથ પ્રમાણે અકસ્માતમાં મોત
૨૫-૩૫ વયના : ૨૧૧૯
૩૫-૪૫ વયના : ૧૮૦૦
૪૫-૬૦ વયના : ૧૨૧૩




