પીએમ મોદીએ રામ મંદિરથી લઇ વિકસિત ભારત મુદ્દે વિપક્ષની ઝાટકણી કાઢી : 2047નો વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરાશે
આગામી સરકારના આકરા નિર્ણયોથી કોઇએ ગભરાવાની જરૂર નથી : ચૂંટણી બોન્ડ પર પ્રતિબંધ મૂકનારા બધા જ પસ્તાશે, દેશને કાળાનાણાં તરફ ધકેલાયો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.16
સરકાર દ્વારા જેલ મોકલવામાં આવવાના વિપક્ષના આરોપોને ફગાવી દેતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે ઇડી દ્વારા નોંધવામાં આવેલા મોટાભાગના કેસ તે વ્યક્તિઓ અને સંસ્થાઓ સામે છે જેને રાજકારણ સાથે કશું લાગતુંવળગતું નથી. પ્રામાણિકે ડરવાની કોઈ જરૂર નથી, પરંતુ ભ્રષ્ટાચારમાં સામેલ લોકોને ડર રહે છે. તેની સાથે તેમણે ત્રીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસના પ્લાનની પણ વાત કરી હતી.
પીએમ મોદીના ભાષણોમાં 2024 નહીં પરંતુ 2047 સુધીનું લક્ષ્ય છે. તે અંગે તેમણે જણાવ્યું હતું કે બંને જુદી-જુદી બાબત છે. દેશ આ સમયે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે. આ સિવાય સો વર્ષ પૂરા થશે ત્યારે આ પ્રકારે 75 વર્ષ અને 100 વર્ષ એવા સીમાચિન્હો હોય છે જે એક પ્રકારનો નવો ઉત્સાહ ભરે છે. નવા સંકલ્પ માટે વ્યક્તિને જોશથી ભરી દે છે.
તેમણે આ ઉપરાંત ઇલેક્ટોરલ બોન્ડ્સ અંગે જણાવ્યું હતું કે ચૂંટણીમાં કાળા નાણાનો ઉપયોગ ડામવા માટે ઇલેક્ટરોલ બોન્ડની સ્કીમ લાવવામાં આવી હતી. હવે આ રદ થતાં દરેક જણને અફસોસ થશે કે કેમ આ સ્કીમ રદ કરાઈ. તેમણે જણાવ્યું હતું કે હવે ઇલેક્ટોરલ બોન્ડ જ નહીં હોય તો તમને કઈ સિસ્ટમથી નાણા આવ્યા અને કઈ સિસ્ટમથી જશે તેની ખબર જ ક્યાંથી પડશે.
- Advertisement -
હવે આઝાદીના સો વર્ષ આપણે પૂરા કરીશું તેના સંદર્ભમાં આ 25 વર્ષનો સૌથી વધુ ઉપયોગ આપણે કેવી રીતે કરીશું. દરેક પોતાનું લક્ષ્ય બનાવે. કોઈ ગ્રામ પ્રધાન લક્ષ્ય બનાવે કે તે તેના ગામમાં શું-શું કરશે. તેમણે હજી લોકસભા ચૂંટણી 2024નું પરિણામ આવ્યા પહેલા ત્રીજા કાર્યકાળની તૈયારી પણ કરી લીધી છે. તેમણે પોતાના 100 દિવસના આયોજન અંગે પણ જણાવ્યું. તેમણે જણાવ્યું હતું કે હું નથી માનતો કે મેં બધુ કરી લીધું છે. મારે હજી ઘણું બધું કરવાનું છે. હું જોઉં છું કે દેશમાં હજી પણ ઘણી જરુરિયાતો છે. દરેક કુટુંબનું સ્વપ્ન કેવી રીતે પૂરું થશે તે વાત મારા દિલમાં છે. તેથી જ હું કહું છું કે અત્યાર સુધી જે થયું હતું તે તો ટ્રેલર છે. તેથી મેં ચૂંટણી પહેલા જ આયોજન કરવાનો પ્રારંભ કર્યો હતો. છેલ્લા બે વર્ષથી હું 2047ને ધ્યાનમાં રાખીને કામ કરી રહ્યો છું.
આ માટે મેં દેશના 15 લાખ લોકોના સૂચનો લીધા છે કે તેઓ આગામી 25 વર્ષોમાં દેશને કેવો જોવા માંગે છે. 15થી 20 લાખ લોકોએ સૂચનો આપ્યા છે. એઆઇની મદદથી આ સૂચનોને વિષય દીઠ તૈયાર કરવામાં આવ્યા છે. આગામી 25 વર્ષના વિઝન માટે અધિકારીઓની સમર્પિત ટીમ બનાવી. આમ મારો જે આગામી 25 વર્ષનો વિઝન ડોક્યુમેન્ટ બનશે તે 15થી 20 લાખ લોકોના વિચારોથી બનશે. તેના પછી હું ઇચ્છીશ કે દરેક રાજ્ય તેના પર કામ કરે. દરેક રાજ્યોને તેના પર શું લાગે છે, શું થઈ શકે છે, તે બધા રાજ્યોને મોકલાશે. પછી નીતિ આયોગની બેઠક બોલાવીને વ્યાપક ચર્ચા કરવામાં આવશે. તેના પછી અંતિમ આઉટપુટ નીકળશે.
તેમણે જણાવ્યું હતું કે 2019માં પણ આ જ રીતે 100 દિવસનું કામ આપીને જ ચૂંટણીના મેદાનમાં ઉતર્યો હતો. સત્તા પર આવવાની સાથે જ કલમ 370 નાબૂદી, ત્રિપલ તલાકમાંથી મુસ્લિમ બહેનોને મુક્તિ, યુએપીએ બિલ, બેન્કોનું મર્જર પહેલા 100 દિવસમાં કર્યુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વિપક્ષના તે આરોપને નકાર્યો હતો કે ઇડી અને સીબીઆઇ જેવી કેન્દ્રીય સંસ્થાઓનો ઉપયોગ ભાજપ ઇલેક્ટોરલ બોન્ડના સ્વરુપમાં રાજકીય દાન મેળવવા માટે કરે છે અને તેની સાથે વિપક્ષ પર જૂઠાણા ફેલાવવાનો આરોપ મૂક્યો હતો. લગભગ ત્રણ હજાર કંપનીઓએ ઇલેક્ટોરલ બોન્ડ્સ દ્વારા રાજકીય ડોનેશન આપ્યું છે. આમાથી 26 કંપનીઓ પર જ ઇડી અને સીબીઆઇના દરોડા પડયા છે. આ 26માંથી 16 કંપનીઓએ જ તેમના પર દરોડા પડયા ત્યારે રાજકીય ડોનેશન આપ્યું હતું, એમ પીએમ મોદીએ જણાવ્યું હતું. વડાપ્રધાને જણાવ્યું હતું કે હું તે વાત સાથે સંમત છું કે આ બાબત રાજકીય ડોનેશનને દરોડા સાથે જોડી શકે છે. ભાજપને આ 16 ફર્મ્સે 37 ટકા નાણા આપ્યા હતા અને બાકીના 63 ટકા નાણા વિપક્ષને મળ્યા હતા. હવે તમે શું એમ કહેશો કે ઇડીએ વિપક્ષને ડોનેશન મળે તે માટે દરોડા પાડયા. અહીં જ વિપક્ષના શાસક પક્ષ પરના આરોપો આધારવિહીન સાબિત થાય છે.
રોકાણ કોઇ પણ કરે પણ ઉત્પાદનમાં પરશેવો ભારતીય હોવો જોઇએ : મોદી
ઇલોન મસ્ક પહેલા પણ કહી ચૂક્યા છે કે તેઓ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રશંસક છે. પીએમ મોદીએ 2015ની એક વાતને યાદ કરતા જણાવ્યું હતું કે તેઓ તે સમયે અમેરિકાના પ્રવાસમાં ટેસ્લાના કારખાનાને જોવા ગયા હતા. તે સમયે મસ્કે તેમને મળવા માટે તેમની અગાઉની નક્કી થયેલી બધી બેઠક રદ કરી હતી. મસ્કે મને પૂરી ફેક્ટરી બતાવી અને હું તેમના વિઝનને સમજ્યો. તેના પછી હું તેમને 2023ના વર્ષમાં મળ્યો અને હવે તે ભારત આવી રહ્યા છે. જો કે મસ્ક તેમના ફેન હોવાની વાતને તેમણે નકારી કાઢી હતી. મસ્ક આ મહિને પીએમ મોદીને મળવા માટે ભારત આવશે. મસ્કે પોતે જ આ જાણકારી આપી છે. આ દરમિયાન મસ્ક ભારતમાં લઈને કોઈ મોટા રોકાણની જાહેરાત કરી શકે છે. મસ્ક ભારતમાં ટેસ્લાની એન્ટ્રીને લઈને ઘણા ઉત્સુક છે. તે ઘણી વખત તેને લગતી ઇચ્છા પણ જાહેર કરી ચૂક્યા છે. તેમણે જણાવ્યું હતું કે ભારત વિશ્વની સૌથી વધુ વસ્તીવાળો દેશ છે. તેથી દરેક દેશમાં હોય તેવી ઇલેક્ટ્રિક કારો ભારતમાં હોવી જરુરી છે.