અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ખીરું ખાધા બાદ બે માસૂમ બાળકીઓના શંકાસ્પદ મોતની ઘટનામાં પોલીસ તપાસ તેજ બની છે. આ મામલે આજે પોલીસ પાસે FSL અને બ્લડ સેમ્પલનો રિપોર્ટ પણ આવી ગયો છે. જેની વિગતો સોમવારથી મંગળવાર સુધીમાં જાહેર થશે.
FSL રિપોર્ટ અંગે PI એ આપ્યો જવાબ
- Advertisement -
ચાંદખેડા પોલીસ સ્ટેશનના PIએ જણાવ્યું કે, અત્યારે આ કેસમાં તપાસ ચાલુ છે અને FSL રિપોર્ટ આવી ગયો છે, પણ હજી એ રિપોર્ટ હોસ્પિટલમાં ડોક્ટરોને સોંપવો પડશે. ડોક્ટરોએ જે અમુક ટેસ્ટ કર્યા છે અને PM રિપોર્ટના તારણો છે, એ બધું ધ્યાને લઈને જ તેઓ મૃત્યુનું ચોક્કસ કારણ આપી શકશે. હાલમાં હું ઝેર કે અન્ય કોઈ બાબતે કોઈ સ્પષ્ટતા કરી શકું તેમ નથી. જ્યાં સુધી ડોક્ટરો પીએમમાં લેખિતમાં કારણ ન આપે ત્યાં સુધી ગુનો ડિટેક્ટ થયો છે કે નહીં તે કહી શકાય નહીં. ડોક્ટરો આ બધી બાબતોનો અભ્યાસ કરી રહ્યા છે અને સોમવાર કે મંગળવાર સુધીમાં તેઓ આ અંગે પોતાનો અભિપ્રાય આપશે.
બે કલાક સુધી માતા-પિતાની પૂછપરછ
મહત્ત્વની વાત એ છે કે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે મૃતક બાળકીઓના માતા પિતાની પૂછપરછ કરવામાં આવી હતી. બે કલાક જેટલી ચાલેલી પૂછપરછમાં માતા-પિતા બંને હવે ખીરુ બાદ હવે અલગ થીયરી એટલે કે ખીચડી ખાધી હોવાની અને ચોકલેટ ખાધી હોવાની વાત કરી રહ્યા છે. એટલે કે ટૂંકમાં કહી શકાય કે હવે માતા પિતાના નિવેદનો પણ અલગ અલગ આવી રહ્યા છે.
- Advertisement -
ડાયરીમાં ‘પુત્ર પ્રાપ્તિ’ના લખાણ અંગે ઘટસ્ફોટ
આ ઘટના અંગે ચાંદખેડા પોલીસના જણાવ્યાનુસાર, તપાસ દરમિયાન પોલીસને એક ડાયરી મળી આવી હતી જેમાં પુત્ર પ્રાપ્તિ અંગેની વાતો લખેલી હતી. આ અંગે માતા ભાવનાબેનની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, ‘મને પહેલેથી જ એક દીકરી હતી, તેથી જો બીજું બાળક દીકરો આવે તો પરિવાર પૂર્ણ થાય તેવી દરેક મધ્યમવર્ગીય પરિવાર જેવી એક સામાન્ય ઈચ્છા હતી. આ બાબતને કોઈ અંધશ્રદ્ધા કે અન્ય શંકાસ્પદ એન્ગલ સાથે અત્યારે સાંકળવામાં આવી નથી.’




