જૂનાગઢ મનપા એક પછી એક વિકાસ કામોની મંજૂરીઓ તો આપે છે પણ હકીકત જુદી
મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ. 31.21 કરોડના વિકાસકાર્યોને મંજૂરી આપી
- Advertisement -
ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ માટે વોટર હાર્વેસ્ટિંગ કીટનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં વિકાસ કામોની એક પછી એક સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવો તો કરવામાં આવે છે. પણ વાસ્તવિકતા કંઈક જુદી છે. જૂનાગઢ શહેરમાં આવેલ ઉપલા દાતારની ટેકરીઓ વચ્ચે આવેલ નયનરમ્ય વિલિંગ્ડન ડેમને બાગ બગીચા સાથે બાળકો માટેના રમત ગમતના સાધનો સાથે હરિયાળો બનવવા અનેક વખત જોગવાઈ કરી છે. પણ હજુ સુધી કઈ થયું નથી એક રીતે બહાઉદ્દીન કોલેજ રોડ પર સાઈકલિંગ ટ્રેક બનાવ્યો હતો અને પણ આજે કોઈ ઠેકાણા નથી આવી અનેક વિકાસ કામોને મજૂરી મળે છે પણ સ્થળ ઉપર કંઈક અલગ જોવા મળે છે.
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્રમાં એક મહત્વપૂર્ણ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠક શહેરના વિકાસ અને નાગરિકોની સુવિધા માટે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરના અધ્યક્ષપદે મળેલી આ બેઠકમાં શહેરના વિવિધ વિકાસકામો અંગે ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકનું મુખ્ય આકર્ષણ શહેરના નરસિંહ મહેતા સરોવરના આધુનિકીકરણ અને તેના વ્યાપારી તેમજ શૈક્ષણિક ઉપયોગ માટેના નિર્ણયો રહ્યા હતા. બેઠકમાં કુલ 11 મહત્વના મુદ્દાઓ પર સર્વાનુમતે મંજૂરીની મહોર મારવામાં આવી છે, જેના માટે અંદાજે રૂ. 31 કરોડ 21 લાખની માતબર રકમ ફાળવવામાં આવી છે.
કોર્પોરેશન દ્વારા શહેરની બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને 11 જેટલા અલગ-અલગ વિકાસલક્ષી પ્રસ્તાવો તૈયાર કરવામાં આવ્યા હતા. આ પ્રસ્તાવો અંગે અધિકારીઓ અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો વચ્ચે વિસ્તૃત ચર્ચા થઈ હતી. જેનો હેતુ શહેરીજનોની સુખાકારીમાં વધારો કરવાનો અને શહેરની પાયાની જરૂરિયાતોને આધુનિક પદ્ધતિથી પૂરી કરવાનો હતો. આ 11 મુદ્દાઓમાં માળખાગત સુવિધાઓ, પર્યાવરણ જાળવણી, અને મનોરંજનના સ્થળોના ઉપયોગ જેવા મહત્વના વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
જૂનાગઢનું નરસિંહ મહેતા સરોવર એ શહેરની શાન છે. હવે આ સરોવરના સૌંદર્યનો ઉપયોગ પ્રવાસન અને મનોરંજન માટે કરવાના ઉમદા હેતુ સાથે સ્ટેન્ડિંગ કમિટીએ એક મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી નરસિંહ મહેતા સરોવર અને તેમાં આવેલા એમપી એમપી થિયેટર ખાતે પ્રી-વેડિંગ શૂટિંગ અને કાર્યક્રમો યોજવા માટેના નિયમો અને દર નક્કી કરવામાં આવ્યા છે. જેમાં કોઈ સંસ્થા કે સંગઠન એમપી થિયેટરનો ઉપયોગ કરવા માંગતા હોય, તો તેમના માટે ત્રણ કલાકના રૂ. 4,000નો દર નક્કી કરવામાં આવ્યો છે. જયારે લગ્નપૂર્વેના ફોટોશૂટ (પ્રી-વેડિંગ શૂટિંગ) કરાવવા ઈચ્છતા લોકો માટે ત્રણ કલાકના રૂ. 5,000નો ચાર્જ વસૂલવામાં આવશે. જો સમય વધે, તો વધારાની દરેક કલાક માટે રૂ. 1,000નો દર ચૂકવવાનો રહેશે. આ નિર્ણયથી શહેરના લોકોને શૂટિંગ માટે અન્યત્ર દૂર જવું નહીં પડે અને કોર્પોરેશનને પણ આવકનો એક નવો સ્ત્રોત પ્રાપ્ત થશે.
નરસિંહ મહેતા સરોવરના પરિસરમાં હવે વાંચનપ્રેમીઓ માટે ’સ્ટેન્ડિંગ લાઈબ્રેરી’ની પણ શરૂઆત કરવામાં આવશે. આ લાઈબ્રેરીનો ઉદ્દેશ્ય સવારે અને દિવસ દરમિયાન સરોવરની મુલાકાતે આવતા લોકો પોતાના વાંચનનો શોખ પૂરો કરી શકે તેવો છે. આ માટેના એમ.ઓ.યુ કરવાની પણ સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે. આગામી સમયમાં જ્યારે આ લાઈબ્રેરી શરૂ થશે, ત્યારે તે જૂનાગઢના સાહિત્યિક વાતાવરણમાં એક નવું ઉમેરણ સાબિત થશે.
આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને જૂનાગઢ મનપા દ્વારા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા નિવારવા માટે અત્યાધુનિક આયોજન કરવામાં આવ્યું છે. બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે, જે વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે, ત્યાં ’અન-બ્રેકેબલ વોટર હાર્વેસિ્ંટગ કીટ’ ફિટ કરવામાં આવશે. આ ટેકનોલોજી દ્વારા ભરાયેલું પાણી સીધું જમીનમાં ઉતારી ભૂગર્ભ જળ રિચાર્જ કરી શકાશે. આ નિર્ણય માત્ર પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ જ નહીં, પરંતુ ભૂગર્ભ જળસ્તરને ઊંચું લાવવા માટેનું પણ એક પ્રશંસનીય પગલું છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યાને ઘટાડવા માટે હોકર્સ ઝોનના નિયમોને પણ આ બેઠકમાં આખરી ઓપ આપવામાં આવ્યો છે. પથારીવાળાઓ અને લારી-ગલ્લાવાળાઓને વ્યવસ્થિત જગ્યા મળે અને શહેરીજનોને ટ્રાફિકની મુશ્કેલી ન પડે તે માટે મનપા હવે હોકર્સ ઝોન અંગેના નિયમોનું કડક પાલન કરાવશે.
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની આ બેઠક માત્ર નાણાકીય મંજૂરીઓ સુધી સીમિત ન રહેતા, શહેરી સુવિધાઓના આધુનિકીકરણ તરફનું મોટું પગલું બની રહી છે. રૂ. 31.21 કરોડના આ વિવિધ વિકાસકામો જ્યારે અમલમાં આવશે, ત્યારે જૂનાગઢ શહેરની સુંદરતામાં વધારો થવાની સાથે નાગરિકોને પણ વધુ સારી સુવિધાઓ પ્રાપ્ત થશે. પલ્લવીબેન ઠાકરના અધ્યક્ષસ્થાને લેવાયેલા આ નિર્ણયો જૂનાગઢને એક ’સ્માર્ટ અને સુંદર શહેર’ બનાવવાની દિશામાં એક પ્રયાસ છે. આગામી દિવસોમાં આ તમામ નિર્ણયોનો અમલ શરૂ થતા જ તેનું હકારાત્મક પરિણામ નાગરિકો જોઈ શકશે.



