મેળા ગ્રાઉન્ડ ખાતે બનાવાયેલા વિશાળ ડોમમાં ખાતે રાત્રે સ્ટેજ કાર્યક્રમ યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.16
- Advertisement -
પોરબંદર નજીક આવેલ માધવપુર ઘેડ ખાતે ભગવાન કૃષ્ણ અને રુકમણીજીના વિવાહ પ્રસંગે તંત્ર દ્વારા મેળા ગ્રાઉન્ડ ખાતે યોજાનાર કાર્યક્રમોની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
લોક કલાકાર ઓસમાણ મીર, કિંજલ દવે, માયાભાઈ આહીર વગેરે કલાકારો માધવપુરના મેળામાં ભગવાન કૃષ્ણ અને રુકમણીજીના વિવાહ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમની રમજટ બોલશે. પ્રવાસન નિગમ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વિભાગ ગાંધીનગર દ્વારા પોરબંદર જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી ભગવાન કૃષ્ણ અને રુક્મણીજીના વિવાહના પ્રસંગે યોજાતા લોકમેળાની ઊજવણી થશે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન કૃષ્ણ અને રુક્મણીના વિવાહનો પ્રસંગ રામ નવમીના પાવન પર્વ નિમિત્તે ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવશે. આગામી તારીખ 17 થી 21 એપ્રિલ દરમિયાન ભવ્ય આયોજન કરાશે.આ મેળાનો શુભારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે કરવામાં આવશે.
મેળાના પ્રથમ દિવસે એટલે કે 17 એપ્રિલના જીતુભાઈ દ્વારકાવાળા, રાજુભાઈ બારોટ, સાગર કાચા તેમજ 18 એપ્રિલે ઓસમાણ મીર, આમીરભાઇ મીર અને 19 એપ્રિલના દિવસે એટલે કે મેળાના ત્રીજા દિવસે કિંજલ દવે લોક ડાયરા ના આનંદ રૂપે લોકસાહિત્ય અને ભક્તિમય ગીતોની પ્રસ્તુતિ કરશે. 20 એપ્રિલના માયાભાઈ આહીર તેમજ 16 થી 21 એપ્રિલ સુધી વિવિધ કલાકારો માધવપુરના આ રાષ્ટ્રીય કક્ષાના મેળામાં લોક ડાયરાની જમાવટ કરશે. સાંસ્કૃતિક કાર્યક્રમો આનંદ અને ઉત્સાહથી માનવ મહેરામણ માણી શકે તે માટે વિશાળ એ.સી.ડોમ પણ તૈયાર કરવામાં આવ્યો છે.