અખાદ્ય વસ્તુઓનું વેંચાણ અટકાવવા પાલનપુર, હિંમતનગરથી ફૂડ સેફટી ઑફિસરની ટીમ ફરજ બજાવશે
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.16
- Advertisement -
પોરબંદર નજીક આવેલ માધવપુર ઘેડ ખાતે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે આગામી તા. 17 એપ્રિલથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ભગવાન કૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ પ્રસંગે લોકમેળાનો ભવ્ય શુભારંભ થનાર છે. લોકમેળામાં માત્ર પોરબંદર જિલ્લામાંથી જ નહિ પરંતુ અન્ય જિલ્લાઓ માંથી પણ માનવ મેહેરામણ ઉમટી પડશે. ભગવાન મધવરાયજીના દર્શને અને લોકમેળાની મોજ માણવા આવતા માનવ મહેરામણના આરોગ્યની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવશે. જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણીના માર્ગદર્શન હેઠળ અખાદ્ય વસ્તુઓનું વેચાણ ન થાય તેના માટે ફૂડ સેફટી ઓફિસરોની ટીમ તૈનાત રાખવામાં આવશે.મેળો માણવા આવતા લોકોના આરોગ્યની તકેદારી રાખવા 12 ફૂડ સેફટી ઓફિસર ફરજ પર રહેશે. અખાદ્ય વસ્તુઓનું વેચાણ અટકાવવા જુનાગઢની બે, અમરેલીની એક, ભાવનગરથી ત્રણ, પાલનપુરથી બે, હિંમતનગર બે ફૂડ સેફટી ઓફિસરની ટીમ ફરજ બજાવશે. બે લાયઝનિંગ અધિકારીના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફટી વાન પણ આવશે.
આ મેળામાં ફૂડ સ્ટોલની ચકાસણી સહિતની વિવિધ કામગીરી કરવામાં આવશે.ખાણી પીણીના સ્ટોલની સતત ચકાસણી કરવા ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમો ફરજ બજાવશે. મેળા દરમિયાન ખાણીપીણીના સ્ટોલનું સતત ચેકિંગ કરી વાસી ખોરાકનો નાશ કરવાની કામગીરી કરવામાં આવશે.
જુનાગઢ ખાતેથી ફુડ સેફટી વાન તેમજ તેની ટીમને બોલાવી સમગ્ર મેળા દરમિયાન દાઝીયા તેલ, દૂધની બનાવટો વગેરેનું ચેકીંગ થશે. ઉપરાંત ફૂડ સેફ્ટી ઓફિસરની એક ટીમ રિઝર્વ રાખવામાં આવશે. લોકેશનમાં ફેરફારની પરિસ્થિતિમાં રિઝર્વ ટીમ ત્યાં પહોંચી જઇ ફૂટ સેફ્ટી અંગેની કામગીરી કરશે.