આ વર્ષે નબળા ચોમાસાની આગાહી વચ્ચે નવા સંકેત
પેસિફિક સમુદ્રની સપાટીનું ઉષ્ણતામાન વધ્યું: નૈઋત્યના ચોમાસાના પ્રારંભે જ ઓછો-અનિયમિત વરસાદ શકય
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ભારત માટે 2026નું વર્ષ કસોટીનું પુરવાર થઈ શકે છે. 2025માં ટેરિફ વિવાદ શરૂ થયો તેનો અંત આવ્યો નથી. ઈરાન યુદ્ધે તો ઈંધણ સહિતની સમસ્યા સર્જી છે અને હવે નજીક આવી રહેલા નૈઋત્યના ચોમાસાએ ચિંતા વધારી છે.
જેમાં ખાનગી તથા ભારતીય હવામાન એજન્સીએ નૈઋત્યના ચોમાસા પર અલનીનોનો પ્રભાવ હશે અને તેથી આ ચોમાસુ નબળુ હશે તેવી આગાહી થઈ છે. તેમાં હવે વધુ એક આગાહીએ સ્થિતિ વધુ ખરાબ હશે તે સંકેત આપ્યા છે. વિશ્ર્વ હવામાન સંગઠન (ડબલ્યુએમઓ) એ ગઈકાલે જાહેર કર્યુ છે કે અલનીનોનો પ્રભાવ મે-જૂન માસથી જ શરૂ થઈ જશે જેની અસર વૈશ્વિક ઉષ્ણતામાન અને વરસાદી પેટર્ન પર પડી શકે છે.
ભારતમાં અલનીનોનો પ્રભાવ એટલે ચોમાસુ નબળુ અને ઓછો વરસાદ તેવી સ્થિતિ ગણાય છે અને અગાઉ જ સ્વીકારી લેવાયુ છે કે ચોમાસુ ચિંતા કરાવશે. અત્યાર સુધી તેવી ધારણા હતી કે ભારતીય ચોમાસા પર ઓગષ્ટ માસથી અલનીનોનો પ્રભાવ હશે. ભારતમાં નૈઋત્યનું ચોમાસુ જૂનથી સપ્ટેમ્બરનું ગણાય છે પણ હવે નવી આગાહી મુજબ મે-જૂનથી જ અલનીનોની અસર શરૂ થશે.
પણ અલનીનો ફેકટર માટે પેસીફીક સમુદ્રના ઉષ્ણતામાનની સ્થિતિ મહત્વની હોય છે અને ત્યાં સમુદ્રી પાણીનું તાપમાન અત્યારથી જ અથવા લાગ્યુ છે. જેના કારણે અલનીનોનો પ્રભાવ પહેલો શરૂ થાય તો તે ચોમાસાનો પ્રારંભ જ બગાડી શકે છે. મે-જૂન માં સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય કરતા વધુ હશે જેના કારણે 1 જૂનથી જે નૈઋત્યનું ચોમાસુ શરૂ થાય છે તે સમયે અલનીનોની હાજરી હશે. હવે હવામાન એજન્સીમાં તેના પ્રભાવની પુરા ચોમાસા પર શું અસર થશે તે અભ્યાસ કરી રહ્યા છે.



