નહેરુ વિરુદ્ધ પણ અલ્હાબાદમાં પોસ્ટરો લાગ્યા હતા, ઢેબરભાઈને હરાવવા હત્યાકાંડ “કરાવાયો” હતો
જગદીશ આચાર્ય
અસ્તિત્વનો જંગ લડી રહેલી કોંગ્રેસમાં જામી પડી છે. પક્ષનું સાવ નામું જ નાખી દેવા બધા ઉતાવળા થયા છે.23 નેતાઓએ કાયમી પક્ષ પ્રમુખની માંગણી કરી તે પછી કોઈએ ઇરાદાપૂર્વક જ એ બધાને ભાજપ સાથે સાંઠ ગાંઠ ધરાવનારા કહી દીધા.તે પછી સીબ્બલ ટ્વીટ ઉપર ટ્વીટ કરવા લાગ્યા.ગુલામ નબી આઝાદ પણ જાહેરમાં મેદાનમાં આવી ગયા.કેરાલાના એક કોંગી નેતાએ શશી થરૂરને ગેસ્ટ આર્ટિસ્ટ કહી દીધા.આ બયાનબાજી ચાલુ જ છે.ચાલુ જ રહેવાની છે.
- Advertisement -
કોંગ્રેસનું આ જ તો આગવું કલચર છે.એમ.પી.માં સિંધિયા અને કમલ નાથ વચ્ચે લડાઈ હતી.રાજસ્થાનમાં ગેહલોત અને પાઇલોટ બાખડયા. સતા જતી હોય તો ભલે જાય, પક્ષ નબળો પડતો હોય તો ભલે પડે.હું તો મરું પણ તને પણ રાંડ કરું એ જ કોંગ્રેસનો મૂળ મંત્ર રહયો છે.
પણ આ આજકાલનું નથી.આદિકાળથી કોંગ્રેસ આ પરંપરાનું પૂર્ણ નિષ્ઠા સાથે જતન કરતી આવી છે.ગાંધીજી હતા ત્યારે પણ આ જ સ્થિતી હતી.નેહરુને પણ એનો લ્હાવો મળ્યો હતો.આઝાદીની લડત ચાલુ હતી ત્યારે કોંગ્રેસના જ કેટલાંક તત્વોએ ફિરોઝ ગાંધી અને નેહરુના પત્ની કમલા નેહરુના કહેવાતા “સબંધો”અંગે અલ્હાબાદમાં હીન સ્તરના પોસ્ટરો લગાડ્યા હતા.આ ત્યાર નું ચાલ્યું આવે છે.
1905માં મધ્યમમાર્ગી ગોખલે અને અંતિમવાદી વિચાર ધરાવતા ચળવળકારો વચ્ચે ગંભીર મતભેદો હતા.બાળ ગંગાધર તિલક હિન્દુવાદી વિચારસરણીના સમર્થક હતા.કોંગ્રેસ માં પણ લેફ્ટ અને રાઈટ વિંગ હતી.અનેક વિચારધારાઓ સામસામી ટકરાતી રહેતી હતી.1923માં ચૌરી ચૌરા હત્યાકાંડ અને હિંસાના વિરોધમાં ગાંધીજીએ આંદોલન બંધ રાખ્યું ત્યારે તેના વિરોધમાં એની બેસન્ટ,ચિતરંજન દાસ,મોતીલાલ નહેરુ વગેરેએ કોંગ્રેસમાંથી રાજીનામા આપી સ્વરાજ્ય પક્ષ સ્થાપ્યો હતો.
- Advertisement -
આઝાદી પછી સતા મળતાની સાથે જ કોંગ્રેસમાં ગાંધી મૂલ્યો ઘસાવાનું શરૂ થઈ ગયું હતું.બધાની મહત્વાકાંક્ષા ઉછળવા લાગી હતી.નહેરુ હતાં ત્યાં સુધી બધું મર્યાદામાં રહ્યું પણ ત્યારબાદ કોંગ્રેસના વિવિધ જૂથો એક બીજાને કાપવા ઝનૂને ચડવા લાગ્યા.નેહરુના મૃત્યુ બાદ તુરત જ કોંગ્રેસ તૂટવા લાગી.કોંગ્રેસ માંથી છુટા પડીને કેરાલા કોંગ્રેસ, ભારતીય ક્રાંતિ દળ, ઊતકલ કોંગ્રેસ, ઓરિસ્સા જન કોંગ્રેસ જેવા નવા રાજકીય પક્ષ બન્યા.
એ પછી ઈન્દિરાજીના કાળમાં આંતરકલહ ચરમ સીમાએ પહોંચ્યો.કોંગ્રેસ (ઓ) અને કોંગ્રેસ (આર) એવા ઉઘાડા ફાંટા પડ્યા.1977માં કોંગ્રેસ (આર) ના પણ ફાડીયા થયા.ઈન્દિરાએ પોતાની કોંગ્રેસ બનાવી જે કોંગ્રેસ આઈ તરીકે ઓળખાઈ
ઈન્દિરાજીની એ કોંગ્રેસને જ અંતે મૂળ કોંગ્રેસ તરીકેની માન્યતા મળી.
કોંગ્રેસમાં આંતરકલહનો ઝળહળતો ઇતિહાસ છે. અત્યારે જેમ ગેહલોત અને તેમના નાયબ મુખ્યમંત્રી પાઇલોટ એકબીજાના દુશમન થઈને ઉભા રહ્યા તેમ ઇન્દિરા અને મોરારજી વચ્ચે પણ જગજાણીતિ દુશમની હતી.હદ તો ત્યારે થઈ હતી જ્યારે તત્કાલીન કોંગ્રેસ પ્રમુખ નિજલિંગપ્પાએ ઈન્દિરાને જ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.
કોઈ વડાપ્રધાનને એમના જ પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા હોય તેવો એક માત્ર પક્ષ કોંગ્રેસ છે.
ઈન્દિરાજી પણ ઓછી માયા નહોતા
તેમણે રાષ્ટ્તપતિ પદ માટેના પક્ષના સતાવાર ઉમેદવાર નીલમ સંજીવ રેડી સામે આત્માના અવાજના નામે મતદાન કરવાનો અનુરોધ કરી અપક્ષ ઉમેદવાર વી.વી.ગીરી ને વિજયી બનાવ્યા હતા
એક વડાપ્રધાન પોતે જ પોતાના પક્ષના મેન્ડેટને ઊંધો વાળે તેવું માત્ર કોંગ્રેસ માં જ બન્યું છે.
માત્ર કેન્દ્ર જ નહીં દરેક રાજ્યોમાં પણ વિવિધ નેતાઓ એકબીજાના ટાંટિયા ખેંચમાં રચ્યાં પચ્યાં રહેતા હતા.ગુજરાતમાં ઘનશ્યામભાઈ ઓઝાની સરકારને ચીમનભાઈ પટેલે ઉથલાવી હતી.પ્રણવ મુખરજીએ રાજીવના સમયમાં પોતાનો અલગ પક્ષ રચ્યો હતો.પવાર અને મમતાએ કોંગ્રેસને અલવિદા કરી પોતાના પક્ષ બનાવ્યા.તેલંગણમાં વાય.એસ.આર. કોંગ્રેસ બની..આવા ઉદાહરણોનો કોઈ અંત નથી.
પણ આપણે વાત કરવી છે સૌરાષ્ટ્રની.કોંગ્રેસનું અસ્સલ કલચર સમજવા માટે સૌરાષ્ટ્રનું રાજકારણ સમજવું જરૂરી છે કારણ કે એ સમય હતો 1948 થી 1956 સુધીનો.એટલે કે હજુ તો આઝાદી મળી જ હતી.અને ત્યારે તૂર્ત જ કોંગ્રેસમાં વાદ વિખવાદ અને કલહ શરૂ થઈ ગયો હતો. ગાંધી ઝડપભેર ભૂલાવા લાગ્યા હતા અને યાદવાસથલી રચાઈ ગઈ હતી.
આઝાદી પછી સૌરાષ્ટ્રના 222 રજવાડાને ભેગાં કરીને કાઠિયાવાડનું સંયુક્ત રાજ્ય બનાવવામાં આવ્યું.15 ફેબ્રુઆરી 1948ના રોજ જામનગરમાં સરદાર પટેલે સૌરાષ્ટ્ર રાજ્યની ઘોષણા કરી.ભારતીય બંધારણ સભાના પ્રતિનિધી ચૂંટવાના મતદાર મંડળ દ્વારા ઢેબરભાઈની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી.બળવંતભાઈ મહેતા નાયબ મુખ્યમંત્રી બન્યા.નાનાભાઈ ભટ્ટ, જગુભાઈ પરીખ,રસિકભાઈ પરીખ અને મનુભાઈ શાહનો પ્રધાન મંડળમાં સમાવેશ કરાયો.
222 રજવાડામાંથી બનેલા સૌરાષ્ટ્રનું શાસન કરવું સહેલું નહોતી.અનેક પડકારો હતા.એ બધા વચ્ચે ઢેબરભાઈએ ખૂબ પ્રેમ અને મુતસ્દીપૂર્વક ગિરસદારી નાબુદી અને ઘરખેડનો કાયદો પસાર કર્યો.આ એક અભૂતપૂર્વ સામાજિક ક્રાંતિ હતી.સૌરાષ્ટ્રમાં ગિરસદારો પાસે 37 લાખ એકર જમીન હતી.તેમાંથી 30 લાખ એકર જમીનના ખેડૂતો માલિક બન્યા.આજે ખેડૂતો જે જાહોજલાલી ભોગવે છે તેના મૂળમાં ઢેબરભાઈ છે.
આ ઢેબરભાઈને રાજકીય રીતે ખતમ કરી દેવા કોંગ્રેસના જ આગેવાનો મેદાને પડયા હતા.ખટપટો શરૂ થઈ ગઈ હતી.1949માં નાનાભાઈ ભટ્ટ અને જગુભાઈ પરીખે પ્રધાનપદે થી રાજીનામા આપ્યા. તેમના સ્થાને સામળદાસ ગાંધી અને ઈશ્વરભાઈ દવેનો સમાવેશ કરાયો.સામળદાસ ગાંધીને ગૃહખાતું જોતું હતું.પણ તે ન મળ્યું.તેમને મહેસુલ ખાતું અપાયું.તેમનો અહમ ઘવાયો.1951 માં તેમણે કોંગ્રેસ છોડી.એ સમયે ભૂપતના આતંકથી સૌરાષ્ટ્ર થરથરતું હતું.સરકાર કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષફળ ગઈ છે એવો પ્રચાર અસંતુષ્ટ કોંગ્રેસીઓએ જ જોરશોરથી શરૂ કરી દીધો.તે બધાના ઇશારે સરકાર વિરુદ્ધ મુંબઈના અખબારોએ લેખો લખ્યા.
દરમિયાન 1952માં પ્રથમ ચૂંટણી યોજાઈ.સામળદાસે ખેડૂત પક્ષના નામે ઢેબરભાઈ વિરુદ્ધ ઝંપલાવ્યું. ઢેબરભાઈને ઉપલેટાની બેઠક ઉપરથી હરાવવા તેમણે તમામ મર્યાદાઓ ઓળંગી.ચૂંટણી પહેલાં ભૂપતે ખારચિયામાં 11 ખેડૂતો ની હત્યા કરી તેની પાછળ ઢેબરભાઈ ના આ વિરોધીઓનો દોરી સંચાર હતો એવું બધા માનતા હતા.આજે આપણે દરેક ચૂંટણી સમયે આતંકવાદી ઘટના બનતી હોવાનો તર્ક લડાવીએ છીએ.પણ એવું તો 1952 માં પણ બન્યું હતું.
એ ચૂંટણીમાં સામળદાસ જ વિજયી બનશે એવું લાગતા કોંગ્રેસના અનેક નેતાઓ તેમની સાથે જોડાઈ ગયા.જો કે કોંગ્રેસને 60 માંથી 55 બેઠકો મળી.સામળદાસ પોતે બંન્ને બેઠક પરથી હારી ગયા.
એ અગાઉ પણ વેચાણવેરા આંદોલન,ખેડૂત આંદોલન અને હાઈસ્કૂલના ફી વધારાના આંદોલનો પાછળ કોંગ્રેસ ના જ નેતાઓ હતા.ફી વધારા આંદોલન દરમિયાન બળવંતભાઈ મહેતાના ઘર પર પથ્થરમારો થયો હતો.તેમણે રાજીનામુ આપી દીધાના ખોટા સમાચાર કોંગ્રેસના નેતાઓએ અખબારોમાં છપાવ્યા. અંતે કંટાળીને બળવંતભાઈએ રાજીનામુ આપ્યું.તત્કાલીન ગૃહમંત્રી રસિકભાઈ પરીખ વિરુદ્ધ કોંગ્રેસના જ નેતાઓએ “કોણ ચડે? રસિક કે ભુપત” એ નામે પુસ્તિકા છપાવી હતી.
ઢેબરભાઈ જેવા સંત રાજપુરુષ વિરૂદ્ધ અત્યંત હીન કક્ષાના કાવાદાવા થયા અને અંતે 1954માં તેમણે સૌરાષ્ટ્રના રાજકારણ ને અલવિદા કરવું પડ્યું.આ બધું આઝાદી મળ્યાના બે વર્ષમાં શરૂ થઈ ગયું હતું.આજે ગુજરાતમાં આવડી અમથી રહી ગયેલી કોંગ્રેસમાં ગામે ગામ કાર્યકરોની સંખ્યા કરતા જૂથોની સંખ્યા વધારે છે.બધા એકબીજાને ખત્મ કરવાનું એકમાત્ર કામ કરે છે.કોંગ્રેસની ગળથુથીમાં જ આંતર કલહ પડેલો છે.આજે સીબ્બલ અને આઝાદ તો એ ઉજ્જવળ પરંપરાને આગળ ધપાવી રહ્યા છે એટલું જ…
નબળી નેતાગીરી અને ડૂબતું જહાજ
દરેક પક્ષમાં મતભેદો અને મનભેદો હોય છે.ઈર્ષ્યા, સ્વાર્થ,મહત્વાકાંક્ષા,અહમ એ માનવીય પ્રકૃતી નો ભાગ છે. કોઈ એમાંથી બચી શકતું નથી.પણ જ્યાં સુધી સતા હોય અને કરડાકીભરી સશક્ત નેતાગીરી હોય ત્યાં સુધી કોઈ ઊં કે ચા ન કરે.સરદાર પટેલ જીવતા હતા ત્યાં સુધી સૌરાષ્ટ્રમાં બધા ડાહ્યા ડમરા થઈને રહેતાં હતાં.પણ સરદારની વિદાય સાથે જ કલહ સપાટી પર આવવા લાગ્યો.નહેરુ હતા ત્યાં સુધી કોંગ્રેસ અકબંધ રહી. ઈન્દિરાજીએ જ્યારે સતા અને સંગઠન બન્નેનો કબ્જો લીધો એ પછી એકા’દ ચીમનભાઈ પટેલને બાદ કરતાં બીજા કોઈએ માથું ઊંચકવાની હિંમત નહોતી કરી.કોંગ્રેસ પાસે સતા હતી.બળવો કરે તો સતાથી દૂર ફેંકાઈ જવાનું જોખમ હતું.એટલે બધા ન છૂટકે શિસ્તમાં રહેતાં હતાં. આ સિદ્ધાંત માત્ર કોંગ્રેસ પૂરતો જ નથી. ગુજરાત ભાજપમાં પણ ખજૂરીયા હજુરીયા થયું હતો.પક્ષ તૂટ્યો હતો.વાઘેલાએ આર.જે.પી.ની સ્થાપના કરી હતી.કેશુભાઈને ઘરભેગા કરી દેવાયા હતા.બાદમાં જી.પી.પી.ની રચના થઈ.કેશુબાપાનો ઢુંઢીયો રાક્ષસ શબ્દ ખૂબ પ્રચલીત થયો હતો.રાષ્ટ્રીય સ્તરે કલ્યાણસિંહે જુદો પક્ષ રચ્યો હતો.ઉમા ભારતીએ જાહેરમાં પક્ષની અબરૂના ધજાગરા કર્યા હતા.સંજય જોશીની ફેક સી.ડી.નું વિતરણ થયું હતું.અરુણ શોરી,યશવંત સિંહા,શત્રુઘ્નસિંહા,કીર્તિ આઝાદ વગેરે જેવા નેતાઓએ પક્ષ સામે બળવો પોકાર્યો હતો.
પણ આજે ભાજપમાં ઉપર મોદી અને શાહ બેઠા છે.એક સમયે નેહરુ અને ઈન્દિરાના નામે પૂતળાં પણ ચૂંટાઈ જતા તેમ આજે મોદીના નામે પથ્થરા તરી જાય છે.મોદીને કોઈની જરૂર નથી.બધાને મોદીની જરૂર છે.મોદીને કારણે પક્ષમાં શિસ્ત છે.સતા બધાને વ્હાલી છે.કોંગ્રેસ ડૂબતું જહાજ છે.હવે જાજું કાંઈ મળે તેમ નથી અને ગુમાવવા જેવી કાંઈ વધ્યું નથી.સતા વગરની નેતાગીરી દાંત વગરના વાઘ જેવી છે.કોંગ્રેસ અત્યારે એ જ દૌરમાંથી પસાર થઈ રહી છે