મૂળે સાહિત્યરસિક અને સેવાભાવી સ્વાભાવને કારણે તેમને એક અનોખો અને ઉમદા વિચાર આવ્યો કે તેમણે લગભગ પચાસ વરસ સુધી વિવિધ અખબારમાંથી એકઠા કરેલા લેખો, સુવિચારો, વિચાર કણીકાઓ અને સ્વરચિત મુક્તકોનું પુસ્તક બનાવીને લોકો સુધી એ અમૂલ્ય સંગ્રહ પહોંચડીએ તો કેવું! અને શુદ્ધ સેવાભાવે તેમણે તેમના પેંશનની રકમમાંથી સ્વખર્ચે સમાજહિતમાં ઉપયોગમાં લેવાનું વિચાર્યું અને આ વિચારને અમલમાં મુકતાં, 2020માં તેમના ત્રણ પુસ્તકો પ્રકાશિત થયાં.
સોશ્યલ મીડિયા પર પુસ્તકોના ફોટા મૂકીને, મેં આટઆટલાં પુસ્તક વાંચ્યા અને મારી પાસે પુસ્તકોનો અઢળક ખજાનો છે એવાં પ્રદર્શન થકી પોતે સાહિત્યરસિક છે એવો દેખાડો કરતો એક વર્ગ છે તો બીજી બાજુએ ખરા અર્થમાં સાહિત્યની સેવા કરવા વાળા મુકસેવક શ્રી અરવિંદભાઈ નાણાવટી કે જેમણે ખરા અર્થમાં સાહિત્યને વાંચ્યું જ નહીં ઉછેર્યું છે અને તેના ફળ લોકોમાં વહેંચવાનું સરાહનીય કાર્ય તેઓ કરી રહ્યાં છે
અરવિંદભાઈ નાણાવટી, નામ બહુ જાણીતું નથી પણ તેમનું કામ ઉમદા છે. હાલ અમદાવાદ સ્થિત અરવિંદભાઈનો જન્મ 04 નવેમ્બર 1933નાં રોજ જૂનાગઢ ખાતે. બહાઉદ્દીન કોલેજથી સ્નાતક થયા. વ્યવસાયે સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રના કર્મચારી. ત્રણ દીકરીઓને પરણાવવાની જવાબદારી સોંપીને પત્ની સ્વર્ગે સિધાવી ગયાં ત્યારે નાની દીકરી હજુ બારમાં ધોરણમાં! ત્રણે દીકરીને મા-બાપની બેવડી જવાબદારી નિભાવીને પરણાવી. અસલની પેઢી જેવો જ શિસ્તપ્રિય અને સમયપાલનના આગ્રહી અને ફિટનેસ એ તેમનો જીવનમંત્ર! આજે નેવું વર્ષની ઉંમરે પણ બહાર જાય ત્યારે ઘડિયાળના કાંટા જોઈ લે અને આવે ત્યારે પણ! નિવૃત્ત હોવા છતાં રોજિંદા કામો તેના નિયત સમયે જ થવા જોઈએ એવું એમનું માનવું અને આચરણ પણ. ઓલ ઇન્ડિયા લેવલે યોજાતી ‘ફાસ્ટ વોક’ સિક્સટી પ્લસમાં, (ઇમ્ફાલ, મણિપુર) તેઓ બે વખત ભાગ લઈ ચૂક્યા છે. અને હજુ પણ જવા તૈયાર છે, જો કોઈ સાથે રોકાઈ- જઈ શકે તો. પત્નીનાં ગયાં પછી દીકરીઓના ઉછેર અને લગ્ન વળી અન્ય સામાજિક જવાબદારીઓ નિભાવવી, આ બધામાં ઘણો સંઘર્ષ રહ્યો હોય છતાં સ્વાભાવની સકારાત્મકતા તેમણે આજ દિન સુધી જાળવી રાખી છે. કુટુંબના દરેકે દરેક સભ્યોની, અરે ચોથી પેઢીએ દીકરીનાં સંતાનોની વાતોમાં પણ તેમને હજુ સુધી રસ પડે, એ મામલો પછી હરવા ફરવાનો હોય કે મેરેજના શોપિંગનો હોય! નવી નવી વસ્તુઓ, ટેકનોલોજી વિશે જાણવા તેઓ હંમેશા જિજ્ઞાસુ હોય. કરાઓકે કલબમાં ગાવાનો શોખ આજે પણ અકબંધ છે. આ ઉપરાંત હજુ પણ ઘણું ચાલી નાંખે! એક સ્ત્રી તો ,પતિના ગયા પછી દરેક વાતાવરણ કે સંજોગોમાં અનુકૂલન સાધી જીવી શકે પણ એક વિધુર પુરુષ માટે આવું અનુકૂલન સાધવું બહુ મુશ્કેલ પડે છે. પરંતુ અરવિંદ ભાઈ ત્રણેય દીકરીઓમાંથી કોઈપણનાં ઘરે ખૂબ જ સ્વસ્થતા તેમજ આનંદભર્યું જીવી જાણે છે. તેમની હાજરી કુટુંબીજનો માટે બોજ નથી, આશીર્વાદ રુપ લાગે એવું હળવુંફુલ તેમનું વ્યક્તિત્વ છે. વળી, માનવતા એ જ પરમ ધર્મમાં માનનારા અરવિંદ ભાઈનું માનવું છે કે આપણાથી નીચી ઊંચી આર્થિક ક્ષમતાવાળાને શક્ય તેટલી મદદ કરવી જોઈએ. ઈશ્વર અને ધર્મ, તેઓ માનવસેવામાં જુએ છે. તેમણે રચેલા અનેક મુક્તકોમાં તેમની આ ફિલસુફી વ્યક્ત થાય છે. આકાશવાણીના પ્રોગ્રામ‘વય વંદના’માં તેમનો ઈન્ટરવ્યુ પણ આવી ગયો છે.
આ બધી વિશેષતા ઉપરાંત તેમને ડાયરી લખવાનો શોખ જેમાં પોતાની વાતો, સ્વરચિત મુક્તકો ઉપરાંત વિવિધ અખબારોમાંના તેમની દ્રષ્ટિએ ઉપયોગી અથવા રસપ્રદ હોય તેવા આર્ટિકલ અથવા આર્ટિકલના અમુક તમુક પોઇન્ટ્સ, સુવિચારો, વિચાર કણીકાઓ આવું બધું એકઠું કરે અથવા નોટમાં ટપકાવી લે. વાંચવાંનો તેમનો શોખ પોતાના પૂરતો સીમિત ન રાખતાં તેઓ સહકર્મચારીઓ અને બેંકમાં આવતાં ગ્રાહકો કે જેની સાથે ઘરોબો બંધાઈ ગયાં હોય, તે બધામાં વાંચન શોખના બીજ વાવતાં રહ્યાં. પોતાના પુસ્તકો તેઓને વાંચવા આપે પણ સમયસર પાછા મળી જવા જોઈએ એવી શરતે જ! નિયત કરેલી મુદતમાં પુસ્તક પાછું મળી જવું જોઈએ એવા આગ્રહ પાછળ તેમનો શિસ્તપ્રિય સ્વભાવ ભાગ ભજવે!
મૂળે સાહિત્યરસિક અને સેવાભાવી સ્વાભાવને કારણે તેમને એક અનોખો અને ઉમદા વિચાર આવ્યો કે તેમણે લગભગ પચાસ વરસ સુધી વિવિધ અખબારમાંથી એકઠા કરેલા લેખો, સુવિચારો, વિચાર કણીકાઓ અને સ્વરચિત મુક્તકોનું પુસ્તક બનાવીને લોકો સુધી એ અમૂલ્ય સંગ્રહ પહોંચડીએ તો કેવું! અને શુદ્ધ સેવાભાવે તેમણે તેમના પેંશનની રકમમાંથી સ્વખર્ચે સમાજહિતમાં ઉપયોગમાં લેવાનું વિચાર્યું અને આ વિચારને અમલમાં મુકતાં, 2020માં તેમના ત્રણ પુસ્તકો પ્રકાશિત થયાં.
- Advertisement -
1. સુવિચારોની સુવાસ
2. મુક્તકોના મોતી
3. પૂર્તિઓના પ્રાંગણમાં
જેમાં, ‘સુવિચારોની સુવાસ’માં વિવિધ અખબારોમાંથી સંગ્રહ કરેલાં સુવિચારો, સુવાક્યો છે. જે જે વિચારોના લેખકની જાણ હતી તેમને પણ ત્યાં ક્રેડિટ આપવામાં આવી છે.
‘મુક્તકોના મોતી’ ,અરવિંદ ભાઈના સ્વરચિત મુક્તકો છે. ભાઈ સરસ મુક્તકો લખે છે. તેમની કવિતાની મુક ફિલોસોફી પણ માનવસેવા જ રહી છે.
‘પૂર્તિઓના પ્રાંગણમાં’ અહીં અરવિંદભાઈએ, પચાસવર્ષની પોતાની ભાવયાત્રા દરમ્યાન, તેમને જે જે લેખ સારા લાગ્યા એના સંગ્રહમાંથી લીધેલા લેખનો સંગ્રહ છે. અહીં ખૂબી એ છે કે અહીં એવાં જ લેખ લેવામાં આવ્યા છે જે કોઈ પુસ્તકમાં અથવા મેગેઝિનના પ્રકાશિત ન થયાં હોય.
ત્રણ પુસ્તકોના આ સેટની પ્રસ્તાવના ભદ્રાયુ વછરાજની જવલંત છાયા તેમજ વસંતરાય જોશીએ લખી છે જ્યારે હેમંત નાણાવટીએ શુભેચ્છા સંદેશ લખ્યો છે.
ત્રણ પુસ્તકનાં આ સેટની વિશેષતા એ છે કે અરવિંદભાઈએ સંપૂર્ણપણે સ્વખર્ચે પ્રકાશિત કરેલા આ પુસ્તકો સેવાભાવે, નહીં નફો, નહીં ખોટના ધોરણે અથવા પડતર કિંમત કરતા પણ ઓછી કિંમતે, 200 રૂપિયામાં આ પુસ્તકનાં સેટ વહેંચવામાં આવ્યા છે. તેમણે છપાવેલા છસ્સો સેટમાંથી લગભગ ત્રણસોક સેટ વહેંચાઈ ગયાં છે. વળી, આ પુસ્તકોનાં વેચાણમાંથી મળેલી રકમ જરૂરિયાત વાળા વિદ્યાર્થીઓનાં લાભાર્થે વાપરવામાં આવે છે.
આજે ચોથી નવેમ્બરે અરવિંદભાઈનો જન્મદિવસ, એ નિમિતે આજના દિવસે નેવું સેટ વહેંચાય એ જ વડીલની ગિફ્ટ એવું તેઓ તથા તેમના સ્વજનોની હૃદયપૂર્વકની ઈચ્છા છે. તેથી એક નિવૃત્ત વ્યક્તિના જીવનરૂપી કર્મયજ્ઞમાં 90માં જન્મદિવસે આપણી એક નાની શી આહુતિની જરુર છે. વળી, આ પુસ્તકનો સેટ સાહિત્યરસિક, ભાવકે તો ખાસ વસાવવો જોઈએ કારણ કે આ પુસ્તકમાં પાંચ દાયકાના સાહિત્યની રસધાર છે એટલે અભ્યાસુ વાંચક આજથી ત્રણ-ચાર-પાંચ દાયકા પહેલાંના લેખનની તરાહ તેમજ સામાજિક મૂલ્યો વિશે પણ જાણકારી મેળવી શકે. જે કોઈને આ સેટ ખરીદવા ઈચ્છા હોય તેઓ નીચે દર્શાવેલ નંબર પર સંપર્ક કરી શકે છે. (1) 9408665656 (2) 8866286396