માસ્ક-સેનિટાઇઝર હવે જરૂરી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં કોરોનાના કેસમાં ફરી ચિંતાજનક વધારો થયો છે. છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 8 કેસ સામે આવતા તંત્ર સાબદું બન્યું છે. મનપા આરોગ્ય અધિકારી જયેશ વાકાણીએ કહ્યું કે લોકો માસ્ક અને સેનેટાઇઝરનો ઉપયોગ કરે. હાલ સ્થતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. આ મામલે ડરવાની જરૂર નથી. પરંતુ સાવચેતી રાખવી. વાતાવરણના કારણે સામાન્ય રોગોના કેસમાં વધારો થયો છે. હાલ તાવ, શરદી અને ઉધરસના દર્દીઓની સંખ્યા 430થી વધુ છે. તેમજ H3N2ના કેસો પર નજર રાખવામાં આવી રહી છે.
- Advertisement -
રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ વડા ડો. નિલેશ રાઠોડે માહિતી આપતા જણાવ્યું હતું કે H3N2ના નવા વાયરસની ગંભીરતા પારખીને તમામ પીએચસી, સીએચસી, એસડીએચ કેન્દ્રોના 82 જેટલા મેડિકલ ઓફિસરોને જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે તાલીમ આપી હતી અને સ્વાઇન ફ્લુના નવા વેરિઅન્ટ H3N2ના લક્ષણો દેખાય તો શું કરવું અને શું ન કરવું, કઇ રીતે દર્દીની સારવાર કરવી સહિતની તાલીમ આપવામાં આવી છે. નવો વાયરસ ઇન્ફલુએન્ઝા-એનો સબ સ્ટ્રેટસ જ કહેવાય. જેમાં તાવ અને તેમાં પણ ખાસ હાઇગ્રેડ ફીવર, શરદી-ઉધરસ અને થ્રો એટલે કે ગળાના ઇન્ફેકશનની સમસ્યા જોવા મળે છે. જિલ્લા આરોગ્ય તંત્રના સૂત્રોના જણાવ્યાનુસાર નવો વાયરસ ઝડપથી પ્રસરી રહ્યો છે ત્યારે તકેદારીના ભાગરૂપે તમામ પીએચસી, સીએચસી, એસડીએચમાં દવાના સ્ટોક સહિતની ચકાસણી કરી લેવામાં આવી છે.
રાજકોટમાં H3N2નો શૂન્ય કેસ
આરોગ્ય અધિકારીએ કહ્યું: H3N2નો ટેસ્ટ કરતી ખાનગી લેબોરેટરીએ મનપાને રિપોર્ટ આપવો પડશે
- Advertisement -
ગુજરાત સહિત દેશભરમાં કોરોના વધતા કેસની વચ્ચે H3N2ના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ મીડિયાને જણાવ્યું હતું કે, હાલ રાજકોટમાં H3N2નો એક પણ પોઝિટિવ કેસ નથી. હાલ લોકો સિવિલ હોસ્પિટલ અને ખનગી લેબોરેટરીમાં H3N2 વાયરસનો કેસ કરાવી શકે છે. H3N2નો ટેસ્ટ કરતી ખાનગી લેબોરેટરીએ મનપાને રિપોર્ટ આપવો પડશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, H3N2 સામાન્ય ફ્લૂ છે તે કોઈ ગંભીર વાયરસ નથી તેનાથી ડરવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે. હાલ H3N2 વાયરસના કેસમાં સરકારની ગાઈડલાઈન મુજબ ઈ કેટેગરીના દર્દીઓના જ ટેસ્ટ કરવા આદેશ આપવામાં આવ્યો છે. જેથી રાજકોટમાં જે પણ ખાનગી લેબોરેટરી દ્વારા આ પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે. તેણે મનપાને સંપૂર્ણ વિગતો આપવી પડશે. જો કોઈ લેબોરેટરી દ્વારા તેની માહિતી આપવામાં નહીં આવે તો તે અંગે મનપા દ્વારા યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે.