તુવેર, ચણા તથા રાયડાની સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરાશે
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લા ખેતીવાડી કચેરીની માહિતી અનુસાર આ વર્ષે મોરબી જીલ્લામાં 1,39,875 હેકટર વિસ્તારમાં રવિ પાકનું વાવેતર થયું છે જેમાં વાવેલા રવિ પાકની વિગતે વાત કરીએ તો, હળવદમાં 11850, માળીયામાં 1620, મોરબીમાં 5300, ટંકારામાં 4650 અને વાંકાનેરમાં 3532 મળી કુલ 26,952 જેટલા હેકટરમાં જીરું વાવવામાં આવ્યું છે જ્યારે ધાણાની વાત કરીએ તો, હળવદમાં 6715, માળીયામાં 320, મોરબીમાં 60, ટંકારામાં 450 અને વાંકાનેરમાં 150 મળી કુલ 7695 હેકટરમાં ધાણાનું વાવેતર થયું છે તો વરિયાળીનું હળવદમાં 4305, માળીયામાં 60, ટંકારામાં 80, વાંકાનેરમાં 250 મળી કુલ 4695 હેકટરમાં વાવેતર થયું છે.
- Advertisement -
હળવદમાં 5470, માળિયામાં 2450, મોરબીમાં 2110, ટંકારામાં 11500 અને વાંકાનેરમાં 540 મળી કુલ 27,470 હેકટરમાં ચણાનું વાવેતર થયું છે જ્યારે ઘઉંની વાત કરવામાં આવે તો હળવદમાં 16910, માળીયામાં 1455, મોરબીમાં 9250, ટંકારામાં 9210 અને વાંકાનેરમાં 7500 મળીને કુલ 44,325 હેકટરમાં ઘઉંનું વાવેતર થયું છે. આ ઉપરાંત જિલ્લામાં ડુંગળીનું 2140 હેકટર, શાકભાજીનું 1975 હેકટર, ઘાસચારાનું 13,130 હેકટરમાં વાવેતર થયું છે.
સરકાર દ્વારા ખેડૂતોને તેમના પેદાશના પૂરતા ભાવ મળે અને વાવેતર વધે તેવી અનેક ખેડૂત કલ્યાણની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેના અનુસંધાને મોરબી જીલ્લામાં તુવેર, ચણા અને રાયડાનું ટેકાના ભાવે વેચાણ માટે ગઈકાલે 1 લી ફેબ્રુઆરીથી રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. નાફ્રેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં આવશે અને દરેક ગામોમાં વીસીઈ અને મંડળી મારફત ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી શકશે જે અન્વયે રૂ. 1067 ના ભાવે ચણા, રૂ. 1320 ના ભાવે તુવેર અને રૂ. 1090 ના ભાવે રાયડો ટેકાના ભાવે ખરીદવામાં આવશે ત્યારે આગામી તા. 28 ફેબ્રુઆરી સુધી આ રજિસ્ટ્રેશન કરાવી શકાશે તેવું જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણની યાદીમાં જણાવાયું છે.