એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્ર સામાજિક ઘટનાઓને તપાસવા માટે તેનું અધ્યયન તથા અર્થઘટન કરવા માટે ચોક્કસ ખ્યાલો ધરાવે છે. સમાજશાસ્ત્રમાં સામાજિક સમસ્યાઓને સમાજના પ્રવર્તમાન સામાજિક ધોરણો અને મૂલ્યો સામે પડકારરૂપ પરિસ્થિતિઓ તરીકે ગણવામાં આવે છે અને વૈજ્ઞાનિક પદ્ધતિઓની મદદથી તેનો અભ્યાસ કરવામાં આવે છે. સામાજિક સમસ્યા વર્તનની એવી એક રીત છે જેને સમાજ વ્યવસ્થાનો મોટો ભાગ સામાન્ય રીતે સ્વીકૃત એવા એક કે વધુ ધોરણના ભંગરૂપ ગણે છે. સામાજિક સમસ્યા એ સમાજના લોકોને નોંધપાત્ર સંખ્યાને અસર કરતી પરિસ્થિતિ છે.
ડો. પંકજકુમાર મુછડીયા જણાવે છે કે આત્મહત્યા વ્યક્તિગત ઘટના છે પરંતુ તેના કારણો સામાજિક છે. આત્મહત્યા એ સાંપ્રત સમયમાં સમાજશાસ્ત્રીઓ માટે પડકારરૂપ સમસ્યા છે. આજે આ સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. આજના યુગમાં ભૌતિક સુખની પાછળ દોડધામ કરનાર માનવી સમસ્યાઓથી ઘેરાઈ ગયો છે તો સમાધાન ન મળતાં રઘવાયો થઈ જાય છે અને આ બધી સમસ્યાઓથી છુટકારો મેળવવા આત્મહત્યાનો માર્ગ સ્વીકારે છે. આત્મહત્યા કરનારાઓ સામાજિક આર્થિક શારીરિક અને માનસિક રોગના કારણોસર આત્મહત્યા કરી લેતા હોય છે તેવું સામાન્ય રીતે જોવા મળે છે. શિક્ષિત યુવાવર્ગમાં આત્મહત્યાનું પ્રમાણ વધુ જોવા મળે છે. દુર્ખિમ જણાવે છે કે વ્યક્તિ સભાનતાપૂર્વક આયોજિત રીતે ચોક્કસ કારણોસર પોતાના જીવનનો અસ્વાભાવિક રીતે અંત આણે તે આત્મહત્યા છે. આત્મહત્યા માટે સામાજિક પરિબળો જવાબદાર છે જે વ્યક્તિ આત્મહત્યા કરે છે તેની આગળ પાછળનું સામાજિક વાતાવરણ વ્યક્તિને આત્મહત્યા કરવા પ્રેરે છે. જે વ્યક્તિ સમૂહમાં ઓતપ્રોત થઈ શકતી નથી તે વ્યક્તિ આત્મહત્યા કરે છે આધુનિક સમાજમાં પ્રવર્તમાન સામાજિક સ્થિતિની વ્યક્તિઓ પર અસર થાય છે. સામાજિક જીવન પર રિવાજની પકડ ઢીલી પડી છે વ્યક્તિ વ્યક્તિ વચ્ચે હરીફાઈ ખૂબ વધી છે જીવનમાં અપેક્ષાઓ અને આકાંક્ષાઓનું પ્રમાણ વધ્યું છે. આને લીધે આકાંક્ષાઓ અને સંતોષ વચ્ચેનું પ્રમાણ જળવાતું નથી જેથી વ્યક્તિને સતત ડર લાગ્યા કરે છે અજંપા અને સંતાપનું તથા અસંતોષનું આવું વાતાવરણ વ્યક્તિને આત્મહત્યા કરવા તરફ પ્રેરે છે. સામાજિક પ્રવાહો વાસ્તવિક છે અને આત્મહત્યાનું નિર્ણાયક પરિબળ પણ એ જ છે. ડો. પંકજ કુમાર મુછડીયા જણાવે છે કે વર્તમાન સમાજમાં જે ઝડપી પરિવર્તન આવી રહ્યું છે તેને કારણે માનવી વધુ ભોગવિલાસી સ્વાર્થી મહત્વાકાંક્ષી અને આત્મકેન્દ્રી બની ગયો છે વધુ આકાંક્ષા રાખતા થઇ ગયો છે તેની આકાંક્ષા કે ધ્યેયની પૂરતી ન થતાં તે આત્મહત્યા કરવા માટે પ્રેરાય છે.


