રાત-દિવસ મનપા તંત્ર સતત એલર્ટ: મેયર અને મ્યુનિસિપલ કમિશનર સતત અધિકારીઓના સંપર્કમાં
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં ‘બિપરજોય’ વાવાઝોડાની અસર આજે બપોર બાદ શરૂ થવાની ભીતિ છે. ત્યારે સાવચેતીનાં ભાગરૂપે ગઈકાલથી જ મનપાની તમામ 18 વોર્ડ ઓફિસ અને ત્રણેય ઝોન ઓફિસ 24 કલાક કાર્યરત રાખવાનો નિર્ણય કરાયો છે. ગતરાત્રે પણ મનપાની તમામ ઓફિસ રાતભર ખૂલ્લી રહી હતી અને આજે રાત્રે પણ મનપાની તમામ ઓફિસો રાતભર ખૂલ્લી રાખવામાં આવનાર છે. આ સાથે જ ઉચ્ચ અધિકારીઓ સતત ફિલ્ડમાં રહીને જરૂરી કામગીરી કરી રહ્યા છે. આ કામગીરી ઉપર મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે.
- Advertisement -
આ મામલે ઇન્ચાર્જ કમિશ્નર ડો. અનિલ ધામેલીયાએ જણાવ્યું હતું કે, હાલ લોકોનું સ્થળાંતર જરૂરીયાત મુજબ ચાલુ રાખવામાં આવ્યું છે. નદીકાંઠા નજીકના વિસ્તારમાં લોકોને માઇકથી માહિતી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત પવનની ગતિ વધે તો તંત્ર વધુ એલર્ટ રહેવાનું છે. ગઈકાલે રાત બાદ આજે પણ રાતભર તમામ 18 વોર્ડ ઓફિસ, ત્રણે ઝોન ઓફિસ સહિતની કચેરીઓ લોકોની મદદ માટે ખૂલ્લી રહેશે. મહાપાલિકા દ્વારા કંટ્રોલ રૂમ, ફાયર સ્ટેશન, ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટરના નંબરો લોકો માટે જાહેર કરવામાં આવ્યા છે. જ્યાંથી લોકોને 24 કલાક મદદ મળી રહેશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કોઇપણ ફરિયાદ ઓછામાં ઓછા સમયમાં નિકાલ થાય તેવી વ્યવસ્થા કરાઇ છે. કોઇ વિસ્તારમાં વરસાદ, વૃક્ષ પડવા પાણી ભરાવા જેવી સ્થિતિ ઉભી થાય તો ફોન નંબર ઉપરાંત રૂબરૂ પણ વોર્ડ ઓફિસેથી લોકોને મદદ મળશે. આ માટે કર્મચારીઓ અને અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. આ સાથે મનપાની ત્રણે ઝોન ઓફિસ ખાતે કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આમ આવતીકાલ સાંજ સુધી રાત-દિવસ મનપા તંત્ર સતત એલર્ટ રહેશે. ત્યારબાદ પણ જરૂર પડે તો આ એલર્ટનો સમય વધારવા માટે મનપા તૈયાર છે.