રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર
કુવાડવા મિત્રની રીક્ષા બંધ પડી જતા મદદ કરવા માટે ત્રણ મિત્રો જતા હતા
- Advertisement -
રાજકોટમાં વધુ એક જીવલેણ વાહન અકસ્માતમાં યુવાનનું મૃત્યુ થયું છે ગત રાત્રે કુવાડવા નજીક માલિયાસણ પાસે ડમ્પરની ઠોકરે એકટીવા ચડી જતાં એક્ટીવા ચાલક રાજકોટના ચુનારાવાડના યુવાનનું ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત થયું છે મિત્રની રિક્ષા કુવાડવા પાસે બંધ પડી હોઇ આ યુવાન સહિત ત્રણ મિત્રો અલગ અલગ વાહનમાં કુવાડવા મિત્રને મદદ કરવા જઇ રહ્યા હતાં ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. રાજકોટના ચુનારાવાડમાં રહેતો મહેશભાઇ લક્ષમણભાઇ બોળીયા ઉ.30 નામનો યુવાન ગત રાત્રે એકટીવા લઈને રાજકોટથી કુવાડવા તરફ જતો હતો ત્યારે માલિયાસણ પાસે પહોંચતા એક ડમ્પર નં. જીજે૦૩બીવાય-૭૩૭૦ની ઠોકરે ચડી જતાં ફંગોળાયા બાદ ડમ્પરની વચ્ચે આવી જતાં માથા પર જોટો ફરી વળતાં તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું અકસ્માતના બનાવને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતાં પોલીસને જાણ થતાં કુવાડવા રોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી મૃતકની ઓળખ અન્ય વાહનમાં પાછળ રહેલા તેના મિત્રોએ કરી હતી. મૃત્યુ પામનાર મહેશભાઇ કારખાનામાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તે એક બહેન અને ચાર ભાઇમાં બીજા નંબરનો હતો સંતાનમાં એક દિકરો અને બે દિકરી છે મહેશભાઇના એક મિત્રની રિક્ષા કુવાડવા પાસે બંધ પડી ગઇ હતી. મિત્રનો ફોન આવતાં મહેશભાઇ તેને મદદ કરવા એક્ટીવા લઇ જતા હતા ત્યારે માલિયાસણ પાસે અકસ્માત નળ્યો હતો યુવાનના મોતથી ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે પોલીસે ડમ્પર ચાલક સામે કાર્યવાહી કરી હતી.
અમારો દીકરો કહ્યામાં નથી કહી સસરાએ પરિણીતાને પહેરે કપડે કાઢી મૂકી : રાજકોટમાં જમાદાર પતિ દારૂ ઢીંચી ઘરે આવી પત્ની સાથે ઝઘડો કરી મારકૂટ કરતો
રાજકોટના માધાપર ગામે શ્રીરામ પાર્કમાં માવતરે છેલ્લા ચારેક મહીનાથી રહેતા અંજુબેન સંજયભાઇ બારોટ ઉ.32એ બેડી ચોકડી પાસે શિવધારા પાર્કમાં રહેતા પતિ સંજય ધનાભાઇ બારોટ, સસરા ધનાભાઇ અણદાભાઇ બારોટ, સાસુ વિજયાબેન, રામાપીર ચોકડી પાસે આવાસ ક્વાર્ટરમાં રહેતા જેઠ ભાવેશભાઈ, જેઠાણી ઉર્મિલાબેન અને મુંજકા રહેતા નણંદ તરુણાબેન ધર્મેશભાઈ સોલંકી સામે શારીરિક માનસિક ત્રાસ આપવા અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે મારા લગ્ન 2012માં થયા છે સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે મારા પતિ સંજયભાઈ ધનાભાઇ બારોટ પોલીસ હેડ કૉન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે લગ્ન બાદ છએક મહીના સરખુ ચાલેલ બાદ મારા નાના નણંદ અમારા ઘરની જ બાજુમા રહેતા અને અવારનવાર ઘરે આવી મારા પતિ તથા સાસુ-સસરાને ચઢામણી કરતા જેના કારણે મારા પતિ મારા પર શંકા-કુશંકાઓ કરી કહેતા કે તારે મને પુછ્યા વગર ક્યાંય પણ જવાનુ નહી બાદમા 2013મા મારા નાનાજી મરણ ગયેલ હોય ત્યારે મે મારા માતા સાથે મારા સાસરીમા જે ત્રાસ આપતા તેની વાત કહેલ તો મારા પતિ મારી સાથે ઝઘડો કરવા લાગેલ અને કહેવા લાગેલ કે તે ઘરની વાત ત્યા કરી જ કેમ? તેમ કહી મને માર મારવા લાગેલ અને મને પિયરમાં મુકી ગયેલ ત્યારે હુ દોઢ મહીના પ્રેગનેન્ટ હતી અને મે રાજકોટ મહીલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી બાદમા પ્રેગનેંન્શીનો નવમો મહીનો ચાલતો હતો ત્યારે હુ ગાર્ડનમા વોકીંગ કરતી હતી ત્યારે મારા પતિએ ત્યા આવી મારી સાથે ઝઘડો કરી મારકુટ કરવા લાગેલ અને મે ત્યારે મહીલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી છએક મહીના બાદ વકીલ મારફતે સમાધાન થયેલ અને બાદમા છએક મહીના સુધી અલગ મકાનમાં રહેલ પરંતુ ત્યારે પણ મારા સાસુ મારા પતિને ચઢામણી કરતા અને સંયુકત પરીવારમા રહેવા માટે દબાણ કરવા લાગેલ જેથી હુ ત્યા રહેવા ગઈ હતી મારી દિકરીનો જન્મ થયેલ બાદમા મારા પતિને પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી મળેલ અને બાદમા તે અવારનવાર મોડી રાત્રે દારૂ પી આવતા હોય મે મારા સાસુને કહેલ તો તે બાબતે પતિએ મારી સાથે ઝઘડો કરી માર મારી મને મારા પિયર મુકી ગયેલ બાદમા સમાધાન થતા ત્રણેક વર્ષ સારૂ ચાલેલ બાદમા મારા પતિનુ દારૂ પીવાનુ વધી ગયેલ અને તે રોજ ઘરે દારૂ પી આવી મારી સાથે ઝઘડો કરી મારકુટ કરતા અને આશરે એકાદ વર્ષ બાદ અમોએ ઘંટેશ્વર પાસે પારસ વિલા સોસાયટીમા મકાન લીધેલ બાદમા 2022મા મારા પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધની જાણ થયેલ ત્યારે અમારી વચ્ચે ઝઘડાઓ વધી ગયેલ અને જેના કારણે મને બહેન કહીને જ બોલાવતો જેથી હું મારા પિયર ખાતે જતી રહેતી મારા મોટાભાઈની સગાઈ હોય તો મારા માતાએ મને તથા મારા પતિને તેડાવેલ અને ત્યારે મારા પતિ દારૂ પી આવી મારી સાથે ઝઘડો કરવા લાગેલ અને કહેવા લાગેલ કે તારા માતાએ મારા માતા-પિતાને સગાઇમા તેડાવેલ નથી હું મારા પિયરમાં મારા બાળકો સાથે રોકાયેલ ત્યારે દસ દિવસ બાદ મારા જેઠ-જેઠાણી આવી મારા બાળકોને ખોટું બોલીને મારી પાસેથી લઇ ગયેલ બાદમા મારા સસરાએ મારા માતા સાથે ફોનમા કહ્યું કે તમો તમારી દિકરીને સાચવો અને હવે મારો દિકરો મારા કહ્યામા નથી જેથી તેને ઘરની બહાર કા ઢી મુકુ છુ અને તેમના ત્રણેય બાળકો અમો સાચવી લેશુ બાદમાં મને પહેરેલ કપડે મારા પિયર ખાતે રીક્ષામા મોકલી આપેલ તથા મારો તમામ કરીયાવર અને દાગીના તેઓ પાસે પડેલ છે અંતે ફરિયાદ નોંધાવી હતી.
- Advertisement -
રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવતા વધુ 19 જવાનોની આંતરિક બદલી : ક્રાઇમ બ્રાન્ચ, SOG, EOW, તથા પેરોલ ફર્લો સ્ક્વોડમાં નિમણુંક
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા આજે 17 સપ્ટેમ્બરના રોજ એક સાથે 19 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. ગત મહિના દરમિયાન એક જ જગ્યાએ લાંબા સમય સુધી ફરજ બજાવતા 226 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી હતી અને હવે ફરી બાકી રહેલા પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવશે જેનો લીથો તૈયાર છે જે આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગત 9 સપ્ટેમ્બરના રોજ 17 PSIની આંતરિક બદલી કરવામાં આવી હતી. રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા આજે 19 પોલીસ કમર્ચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે જેમાં પોલીસ સ્ટેશન, હેડ ક્વાર્ટર તેમજ ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા કર્મીઓને ક્રાઇમ બ્રાન્ચ, SOG, EOW, તથા પેરોલ ફર્લો સ્ક્વોડમાં બદલી કરવામાં આવી છે. અત્યાર સુધી કુલ 8 લીથા જાહેર કરવામાં આવ્યા તેમાં કુલ 226 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. પ્રથમ લીથો 23 જુલાઈના રોજ જાહેર કરવામાં આવ્યો હતો તેમાં 49 પોલીસ કર્મીને પોલીસ હેડ ક્વાર્ટરમાં મુકવામાં આવ્યા હતા આ પછી બીજો અને ત્રીજો લીથો 28 જુલાઈના રોજ જાહેર કરવામાં આવ્યો હતો જેમાં 84 અને 4 મળી કુલ 88 પોલીસ કર્મીની બદલી કરવામાં આવી હતી.આ પછી 4 ઓગસ્ટના રોજ ચોથો લીથો જાહેર કરવામાં આવ્યો છે જેમાં કુલ 32 પોલીસ કર્મીની આંતરિક બદલી કરવામાં આવી હતી. જ્યારે 10 ઓગસ્ટે વધુ 42 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી હતી અને આજે અલગ અલગ 2 લીથામાં 19 કર્મીઓની બદલી કરવામાં આવી છે.
રાજકોટના લક્ષ્મીવાડીમાં સોનાના ચેઇનની ચિલઝડપ કરનાર બેલડી ઝડપાઈ : ચોરાઉ ચેઇનનો ઢાળિયો બનાવનાર સોની વેપારી પણ આરોપી : મુદામાલ રિકવર
રાજકોટના લક્ષ્મીવાડી રોડ પર પરિણીતાના ગળામાંથી 50 હજારના સોનાના ચેઇનની ચિલઝડપ કરનાર તસ્કર બેલડી અને ચોરાઉ ચેઇન ખરીદનાર સોની વેપારીને ભક્તિનગર પોલીસે દબોચી લઇ સોનાનો ઢાળિયો અને એક્સેસ મળી 1.24 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. રાજકોટના લક્ષ્મીવાડીમાં રહેતા શિલ્પાબેન માનસેતાએ ચીલઝડપ અંગે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી હેતલ પટેલ અને એસીપી બી વી જાદવ દ્વારા તાત્કાલિક ભેદ ઉકેલવાની સૂચના અન્વયે ભક્તિનગર પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ એસ પી સોઢાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ એચ ગોહિલની ટીમે તપાસ શરુ કરી હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ મયુરદાન બાટી, કોન્સ્ટેબલ રવિભાઈ રતનુ, યોગીરાજસિંહ જાડેજા અને પ્રકાશભાઈ મકવાણાને મળેલી બાતમી આધારે જિલ્લા ગાર્ડન બગીચામાં દરોડો પાડી ઉપરોક્ત ગુનાને અંજામ આપનાર બેલડીને સકંજામાં લઇ નામઠામ પૂછતાં ચુનારાવાડના લખન બચુભાઈ માલાણી અને વિશાલ કિશન સોલંકી હોવાનું જણાવતા અટકાયત કરી એક્સેસ કબ્જે કર્યું હતું બેલડીએ ચેઇન રમેશ પાટડીયા નામના સોની કામ કરતા શખ્સને વેંચી નાખ્યાની કબૂલાત આપી હતી સોની કામ કરતો શખ્સ આજે સોનાનો ઢાળિયો આપવા આવવાનો છે તેમ જણાવ્યું હતું. જેથી પોલીસે સોની કામ કરતા શખ્સ રમેશ વીરચંદ પાટડીયાને પકડી બિલ વિના ચોરીની વસ્તુ ખરીદવા મામલે પકડી તેની પાસેથી 74,800નો સોનાનો ઢાળિયો કબ્જે કર્યો હતો.
34 હજારના દારૂ-બિયર સાથે ગુંદાસરાનો શખ્સ ઝડપાયો
રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એ એસ ચાવડાની રાહબરીમાં પીએસઆઈ વી ડી રાવલીયાની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના સમીરભાઈ શેખ, દીપકભાઈ ડાંગર અને મુકેશભાઈ સબાડને મળેલી બાતમી આધારે રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર વોચ ગોઠવી હતી દરમિયાન બાતમીવાળું આઇસર પસાર થતા અટકાવી જડતી લેતા તેમાંથી 34,176 રૂપિયાનો દારૂ-બિયરનો જથ્થો મળી આવતા પોલીસે ડ્રાયવરનું નામઠામ પૂછતાં પોતે ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામનો ભાવેશ ઉર્ફે ધવલ ભીખુભાઇ ધામેલીયા હોવાનું જણાવતા તેના વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી આઇસર સહીત 20,34,176 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે.
પડધરીના ખેડૂતને ચાંદીના નકલી દાગીના પધરાવનાર વેપારી સામે ફરિયાદ : 2016માં ખરીદેલા દાગીનાનો લેબોરેટરીમાં રિપોર્ટ કરાવતા ભાંડો ફુટી ગયો
પડધરીના મેઈન બજારમાં આવેલ જાણીતી દુકાન ‘ચેતન જવેલર્સ’ના માલિક ચેતનભાઈ ચંદ્રકાંતભાઈ પાલા સામે ગ્રાહક સાથે ચાંદીના નામે નકલી સફેદ ધાતુની વસ્તુઓ પધરાવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા બદલ પડધરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. વર્ષ ૨૦૧૬માં અસલી ચાંદીગણીને વેચેલી મૂર્તિઓ, તુલસી ક્યારો અને કંકાવટી નકલી હોવાનું લેબોરેટરી રિપોર્ટમાં સામે આવતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પડધરીના નાના રજપૂતપરા વિસ્તારમાં રહેતા ખેડૂત મુકેશભાઈ રણજીતભાઈ ગોહેલે ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ પડધરી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, દશેક વર્ષ પહેલાં એટલે કે ૦૮ ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ તેમણે ચેતન જવેલર્સમાંથી અસલી ચાંદીની લક્ષ્મીજીની મૂર્તિ, ગણેશજીની મૂર્તિ, ગાય અને તુલસી ક્યારો મળી કુલ રૂ.૨,૩૩૭ની રોકડ ચૂકવી ખરીદી કરી હતી. ત્યારબાદ ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ ચાંદીની કંકાવટી રૂ.૨,૫૦૦ની કિંમતમાં ખરીદી હતી. આમ, તેમણે કુલ રૂ.૪,૮૩૭ની રોકડ ચૂકવી આ દાગીના ખરીદ્યા હતા, જેનું પાકું બિલ પણ વેપારીએ આપ્યું હતું. તાજેતરમાં ખેડૂત પરિવારને અચાનક નાણાંની જરૂરિયાત ઊભી થતાં તેઓ આ ચાંદીની વસ્તુઓ વેચવા માટે ચેતન જવેલર્સની દુકાને ગયા હતા. પરંતુ વેપારી ચેતનભાઈએ “આ વસ્તુઓની વર્તમાન કિંમતના માત્ર ૨૦ ટકા રકમ જ મળશે’ તેમ કહેતા ગ્રાહકને શંકા ગઈ હતી. જેથી તેમણે પડધરીના અન્ય સોની પાસે તપાસ કરાવતાં આ વસ્તુઓ નકલી હોવાની જાણ થઈ હતી. વધુ ખાતરી માટે રાજકોટ સોની બજાર સ્થિત’વી.જી. ટેક લેબ”માં ટેસ્ટ કરાવતાં આ તમામ વસ્તુઓ ચાંદીની ન હોવાનું અને નકલી સફેદ ધાતુની હોવાનું લેબોરેટરી રિપોર્ટમાં સ્પષ્ટ થયું હતું. પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાની ખાતરી થતાં મુકેશભાઈ ગોહેલે ખરીદીના અસલ બિલ તથા લેબ રિપોર્ટના પુરાવા સાથે પડધરી પોલીસમાં અરજી કરી હતી. જેના આધારે પોલીસે આરોપી ચેતનભાઈ ચંદ્રકાંતભાઈ પાલા સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. આ કેસની વધુ તપાસ પડધરી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.પી.મકવાણા ચલાવી રહ્યા છે.
રોંગ સાઈડમાં કાર હંકારી સાળા-બનેવીને ઉડાવ્યા, સમજાવવા જતા છરીની અણીએ ધમકાવ્યા : રાજકોટના અયોધ્યા ચોક પાસે 150 ફૂટ રિંગ રોડ પર કાળા કાચવાળી કારના ચાલકે બાઈકને ઠોકરે લીધું
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા અયોધ્યા ચોક નજીક દારૂના નશામાં ચૂર એક કારચાલકે કાળો કેર વર્તાવ્યો હતો. રગ સાઈડમાંથી પૂરઝડપે ધસી આવેલી કાળા કલરની કારના ચાલકે બાઇકસવાર સાળા-બનેવીને અડફેટે લીધા હતા ટક્કર લાગતા બંને રસ્તા પર પટકાયા હતા. આટલું ઓછું હોય તેમ બન્નેએ સરખી રીતે વાહન ચલાવવાનું કહેતા છરી દેખાડી સરાજાહેર આતંક મચાવ્યો હતો. આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ જામનગરના ધ્રોલ તાલુકાના ખામભરા ગામના ભીખાભાઈ શિયાળ પોતાના બનેવી વાસુભાઈ રાતડિયા સાથે બાઈક પર રેલનગરથી ખોખડદળ જઈ રહ્યા હતા ત્યારે અયોધ્યા ચોક પાસે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ભીખાભાઈને હાથ-પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી, જ્યારે બનેવી વાસુભાઈને કમરના ભાગે ગુપ્ત ઈજા પહોંચી હતી. અકસ્માત સર્યા બાદ કારચાલક નીચે ઉતર્યો હતો. જ્યારે ઈજાગ્રસ્ત વાસુભાઈએ તેને ‘આવી રીતે ગાડી ન ચલાવાય’ તેમ કહી ટોક્યો, ત્યારે નશાખોર કારચાલકે ભૂલ સ્વીકારવાને બદલે કમરમાં હાથ નાખી “મારાથી દૂર રહેજો’ કહી છરી બતાવી રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિકો એકઠા થઈ જતાં અને 112 પર કોલ કરાતાં ગાંધીગ્રામ પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને શખ્સને કસ્ટડીમાં લીધો હતો. પોલીસ તપાસમાં અકસ્માત સર્જનાર કારના કાચ કાળા હતા અને આગળ-પાછળ નંબર પ્લેટ લગાવેલી નહોતી. શંકાના આધારે પોલીસે કારની ડેકી તપાસતા અંદરથી નંબર પ્લેટ GJ-08-CS-0077 મળી આવી હતી. એટલું જ નહીં, આરોપીની ઝડતી લેતાં તેના કમરના ભાગેથી કાળા પ્લાસ્ટિકના હાથાવાળી તીક્ષ્ણ છરી પણ મળી આવી હતી. પોલીસ મથકે લઈ જવાયો ત્યારે પણ શખ્સ નશામાં એટલો ચૂર હતો કે શરીરનું સંતુલન જાળવી શકતો નહોતો. પૂછપરછમાં તેનું નામ શિવરાજસિંહ રાજેન્દ્રસિંહ પરમાર હોવાનું અને તે મૂળી તાલુકાના ગઢાદનો હોવાનું ખુલ્યું હતું.
150 ફૂટ રિંગ રોડ વાહન સાઈડમાં લેવા બાબતે છાત્ર અને તેના પિતરાઈ પર હુમલો : આંબેડકર ચોકમાં બનેલો બનાવ : બે અજાણ્યા શખ્સો સામે તાલુકા પોલીસમાં ફરિયાદ
રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પરના આંબેડકર ચોકમાં વાહન સાઈડમાં લેવા બાબતે બે પિતરાઈ ભાઈઓ ઉપર અજાણ્યા શખ્સોએ હુમલો કરી ઘાયલ કરી દીધા હતા. રાજકોટ તાલુકા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. રાજકોટની પુષ્કરધામ સોસાયટીમાં રહેતો મિત પ્રકાશભાઈ વિરડા વાગુદડનો વતની છે રાજકોટમાં બીબીએના ત્રીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. હાલ મોટા બાપુ રમેશભાઈ સાથે રહે છે. પિતરાઈ પ્રેમ ગોંડલ ચોકડી પાસે સેન્ડવીચની દુકાન ધરાવે છે ગઈકાલે રાત્રે બંને ભાઈઓ બે મિત્રો સાથે ટુ-વ્હીલર પર આંબેડકર ચોક પાસે આવેલી હોટલે ચા પીવા રોકાયા હતા. તે વખતે તેમના ટુ-વ્હીલર દૂર લઇ લેવાનું કહી બે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી ચા બનાવવાના ડોયા, લાકડી વડે હુમલો કર્યો હતો. જેમાં મિતને ઈજા થઈ હતી. તેનો પિતરાઈ પ્રેમ વચ્ચે પડતાં તેની ઉપર પણ હુમલો કર્યો હતો. ઘવાયેલા મિતને માથામાંથી લોહી નિકળવા લાગતા ખાનગી હોસ્પિટલમાં માથા અને પગમાં ટાંકા લેવા પડ્યા હતા. જ્યારે પ્રેમને મુંઢ ઈજા થઈ હતી બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી હુમલાખોર બેલડીની શોધખોળ હાથ ધરી છે.
મુદ્દલથી 17 લાખ વધુ ચૂકવવા છતાં વધુ 18 લાખની માગણી કરી ધાક-ધમકી આપતા વ્યાજખોરો : જેતપુરમાં પિતાની બીમારી અને ઘર ખર્ચ માટે 31 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા : ૪૮ લાખ ચૂકવ્યા પછી વ્યાજખોર બંધુએ બહેનના મકાનનું સાટાખત કરાવી લીધું
જેતપુરમાં વ્યાજખોરોનો ત્રાસ વધી ગયો છે પિતાની બીમારી માટે પાડોશી પાસેથી ઊંચા વ્યાજે લીધેલા ૩૧ લાખ રૂપિયા સામે અત્યાર સુધીમાં 48 લાખ રૂપિયા ચૂકવ્યા પછી પણ 18 લાખની પઠાણી ઉઘરાણી કરી, કોરા ચેકો પડાવી લઈ બહેન પર ખોટો કેસ કરી, મકાનનું સાટાખત કરાવી લેતા અંતે કંટાળીને પરિવારે જેતપુર સિટી પોલીસ મથકમાં બે વ્યાજખોર ભાઈઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેતપુરના ખોડપરા વિસ્તારમાં અને હાલ મેટોડા જી.આઈ.ડી.સી.માં રહેતા અને મજૂરીકામ કરતા રિઝવાન રહીમભાઈ લુલાણીયાએ દિલીપભાઈ વિરકુભાઈ જલુ અને ભુપતભાઈ વિરકુભાઈ જલુ વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે 2019ના અંતમાં તેમના પિતાને હૃદયની બીમારી થતાં સારવાર માટે પૈસાની જરૂર પડતા વ્યાજનો ધંધો કરતા દિલીપ જલુ અને ભૂપત જલુ પાસેથી માસિક 3.5 %ના વ્યાજે 5 લાખ લીધા હતા. આ 5 લાખનું માસિક 18,500 રૂપિયા વ્યાજ નિયમિત ચૂકવતા હતા ત્યાર બાદ વ્યાજ અને ઘરખર્ચને પહોંચી વળવા સગા-સંબંધીઓ પાસેથી પણ હાથ ઉછીના રૂપિયા લીધા હતા. આ રૂપિયા પરત કરવા માટે તેમણે વર્ષ 2021માં 7 લાખ અને 2022માં વધુ 7 લાખ રૂપિયા માસિક 3.5 % વ્યાજે જલુ ભાઈઓ પાસેથી લીધા હતા 2023માં સગા-સંબંધીઓના પૈસા ચૂકવવા ફરીથી 12 લાખ રૂપિયા વ્યાજે લેવા પડયા હતા. આમ, કુલ 31 લાખ રૂપિયા જલુ ભાઈઓ પાસેથી લીધા હતા, જેનું માસિક વ્યાજ 1 લાખ 4 હજાર રૂપિયા થતું હતું. આ વ્યાજ ભરવામાં મોડું થાય તો ગાળો આપી, છરીના ઘાથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા અત્યાર સુધીમાં ફરિયાદીએ જલુ ભાઈઓને વ્યાજ અને મુદ્દલ મળીને આશરે 48 લાખ રૂપિયા ચૂકવી દીધા છે. તેમજ બહેનનું મકાનનું સાટા ખત કરાવી લેવા છતાં, જલુ ભાઈઓ હજુ ૧૮ લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રહ્યા છે. આખરે, વ્યાજખોરોના આતંકથી ત્રસ્ત થઈને રિઝવાનભાઈએ જેતપુર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે દિલીપ વિરકુભાઈ જલુ અને ભૂપત વિરકુભાઈ જલુ સામે ગુજરાત નાણા ધીરધાર અધિનિયમની કલમ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ધોરાજીના નિવૃત્ત શિક્ષક સાથે મૈત્રીકરાર કરનાર મહિલા ત્રણ દિવસમાં રોકડ-દાગીના લઇ રફુચક્કર : એકલવાયા જીવનનો તણાવ દૂર કરવા જતાં 3.57 લાખની મતા ગુમાવી : ફોન કરી કહ્યું હું તમારી સાથે રહેવા માંગુ છું, ફરિયાદ નો કરતા કહી ખોટા વચન જ આપ્યા
ધોરાજીના નિવૃત્ત શિક્ષક એકલવાયા જીવનનો તણાવ દૂર કરવા જે મહિલા સાથે મૈત્રીકરાર કર્યા હતા તે મહિલા ત્રણ દિવસમાં જ 3.57 લાખની મતા લઇ રફુચક્કર થઇ જતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે 64 વર્ષના વૃધ્ધે હેતલ યાદવ નામની મહિલા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. ધોરાજીમાં નિલકંઠ સોસાયટીમાં એકલા રહેતાં નિવૃત શિક્ષક ચંદુભાઈ જમનાદાસ મકવાણા ઉ.64એ હેતલ દિપક યાદવ નામની મહિલા સામે ઠગાઈ અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પત્નિ કંચનબેનનું દસેક વર્ષ પહેલા કેન્સરની બીમારીના કારણે અવસાન થયુ છે સંતાનમાં એક દિકરો જેવીન છે જે હિરપરાવાડીમાં પોતાના પરિવાર સાથે રહે છે વૃદ્ધાવસ્થામાં જીવનસાથીની જરૂરિયાત હોવાથી ગોવિંદભાઈ વાઘજીભાઈ હદવાણીને વાત કરી હતી બાદ ગોવિંદભાઈએ ફોન કરી જણાવેલ કે, એક મુક્તાબેન સંબંધ કરાવવાનું કામ કરે છે તેના સંપર્કમાં એક વિધવાબેન છે, તો તેને લઈને તમારા ઘરે જોવા આવીશ બાદ તા.15/07 રોજ ગોવિંદભાઈ ઘરે આવેલ અને તેમની સાથે મુક્તાબેન તથા હેતલબેન યાદવ પણ આવેલ હતા વાતચીત બાદ હેતલબેન સાથે મૈત્રી કરાર કરવાનું નક્કી થયુ હતું ત્યાર બાદ હેતલબેને જણાવેલ કે, સુરત ખાતે તેના ભાઈના મકાનમાં પાણી ભરાઈ ગયેલ છે તથા હીરાના વ્યવસાયમાં મંદી હોવાથી તેનું ઘર ભાવનગર ખાતે બદલવાનું છે જેથી હાલ તેને સુરત જવાનું છે. વધુમાં તેના ભાઈની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તેને આર્થિક મદદ કરવા જણાવેલ અને તેના ભાઈ પાસે સગવડ થતાં પૈસા પરત આપી દેશે તેમ જણાવેલ હતું જેથી હેતલબેનને 25 હજાર રોકડા આપ્યા હતા. ત્યાર બાદ ત્રણેય જતા રહ્યા હતા બાદ તા.21/07ના હેતલબેન ઘરે આવેલ તે વખતે ટેક્ષીના ભાડા પેટે 5 હજાર ભાડું ચુકવ્યુ હતું બીજા દિવસે તા. 22ના ફરીયાદી અને હેતલબેન વકીલ પાસે ગયા હતા અને ત્યાં મૈત્રી કરાર કરાવ્યો હતો. ત્યાર બાદ બે દિવસ સાથે રહ્યા હતા તે દરમ્યાન હેતલને સોનાનું મંગળસુત્ર, બુટી, સોનાની ચાર બંગડી પહેરવા આપ્યુ હતુ અને બેડરૂમના લોકરમાં રાખેલ સોનાનો હાર બુટી સાથેનો તેને દેખાડેલ અને કહેલ કે, તારે જ્યારે આ સોનાનો હાર અને બુટી પહેરવા હોય ત્યારે આ લોકરમાથી લઈને પહેરજે. બાદ હેતલબેને જણાવેલ કે, તેના કાકાની દીકરીનું શ્રીમંત પ્રસંગ હોવાથી તેને ભાવનગર જવાનું છે. અને પ્રસંગ હોવાથી મારે સોનાનો હાર અને બુટી પહેરી જવા છે જેથી તેને હા પાડેલ હતી. બાદ તા.24/07ના સવારે જાગીને જોયું તો હેતલ ઘરે હાજર ન હતી ઘરમાં તપાસ કરતાં લોકરમાં રાખેલ સોનાનો હાર અને બુટી જોવા મળેલ ન હતા. જેથી લાગેલ કે, હેતલ ઘરેણાં પહેરી ભાવનગર ખાતે પ્રસંગમાં ગઈ હશે. ત્યાર બાદ તેને ફોન કરતા તે ફોન ઉપાડતી ન હતી, બાદ નંબર બ્લોક લિસ્ટમા નાખી દેતા હેતલની શોધખોળ કરવા ગયા હતાં પરંતુ ભાવનગરમાં ક્યાંય મળી આવેલ ન હતી. તે ઘટનાના પંદરેક દિવસ બાદ હેતલનો ફોન આવેલ કે, હું તમારી સાથે રહેવા માંગુ છુ અને હું તમારી સાથે રહેવા ધોરાજી આવુ છુ, મને હેરાન ન કરતા હું તમારુ બધુય સોનુ પાછુ આપી દઈશ મારી વિરુધ્ધ પોલીસ ફરીયાદ ન કરતા ત્યાર બાદ પણ તે આજ સુધી પરત ન આવી અને રોકડ તથા સોનાના દાગીના મળી કુલ 3.57 લાખનો મુદામાલ લઈ નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી.
સરપદડ પાસે ઢોર આડું ઉતરતા ઘવાયેલા પાંચ બહેનોના એકના એક ભાઈનું મોત
પડધરીના સરપદડ નજીક રસ્તા પર ઢોર આડે આવતાં વાહન સ્લીપ થઇ જતાં પડધરીના રાદડ ગામે રહેતાં ખેડુતનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ થયું છે રાદડ ગામે રહેતાં મફતસિંહ ગગુભા જાડેજા ઉ.49 નામના પ્રોૈઢ પરમ દિવસે સાંજે પોતાનું ટુવ્હીલર લઇને સરપદડ ગામે કોઇ કામ માટે ગયા હતાં. ત્યાંથી પરત ઘરે આવતી વખતે રસ્તામાં ઢોર આવી જતાં વાહન સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા થઇ હતી. તેમને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ ગત રાતે મૃત્યુ થયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં પડધરી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર પ્રૌઢ પાંચ બહેનના એકના એક ભાઇ હતાં અને તેઓ ચોથા નંબરના હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પોતે ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. બનાવથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે.
ગોકુલનગર આવાસ ક્વાર્ટરમાં જુગાર રમતા 4 ઝડપાયા
રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે થોરાળા પોલીસ મથકના પીઆઇ શક્તિસિંહ સોઢાની રાહબરીમાં ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને મળેલી બાતમી આધારે ગોકુલનગર આવાસ યોજનાના ક્વાટરમાં દરોડો પાડી જુગાર રમતા કેતન ઉર્ફે ચેતન શુશીલભાઈ અગ્રાવત, રવિ ઉર્ફે લેંગીયો કાળુભાઇ રામાવત, ધાર્મિક ઉર્ફે કાળું દલપતભાઈ ગરિયા અને નારણ ઉર્ફે નાયણ ગોવિંદભાઇ મકવાણાની ધરપકડ કરી રોકડા 13,650 કબ્જે કર્યા છે.
દારૂના 528 ચપલા અને 21 બોટલ સાથે બેની ધરપકડ : એકની શોધખોળ
રાજકોટમાં દારૂની હેરાફેરી કરતા શખ્સો ઉપર વિશેષ કાર્યવાહી કરવા આપેલી સૂચના અન્વયે બી ડિવિઝન પીઆઇ ચૌહાણની રાહબરીમાં પીએસઆઇ જેઠવા સહિતની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને મળેલી બાતમી આધારે આરટીઓ પાછળ નરસિંહનગર મફતિયાપરામાં દરોડો પાડી આકાશ જગશીભાઈ પરમારની ધરપકડ કરી 1,58,400 રૂપિયાની કિંમતના 528 ચપલા દારૂ કબ્જે કર્યો હતો જયારે એલસીબી ઝોન 2ની ટીમે નાના મવા મેઈન રોડ ઉપર નહેરુનગરમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી દારૂની 21 બોટલ સાથે ભાવિન બહાદુરસિંહ દેવડાની ધરપકડ કરી 23,100નો દારૂ કબ્જે કરી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી હાજર નહીં મળી આવેલા તેના ભાઈ નીરજ બહાદુરસિંહ દેવડાની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટના રવિરત્ન પાર્કમાંથી 77 હજારનો દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો : સાયલાના સપ્લાયરની શોધખોળ : 4.74 લાખનો મુદામાલ કબ્જે કરતી યુનિવર્સીટી પોલીસ
રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે યુનિવર્સીટી પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને મળેલી બાતમી આધારે રવિરત્ન પાર્કમાં દરોડો પાડી 76,752 રૂપિયાનો દારૂ ભરેલી કાર સાથે એક શખ્સની ધરપકડ કરી 4,74,252 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી સાયલાના સુદામડાના સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે. રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી ઝોન 2 રાકેશ દેસાઈ, એસીપી આર.એસ. બારીઆની સૂચના અન્વયે યુનિવર્સીટી પીઆઇ કે.કે.ગોહિલની રાહબરીઆં પીએસઆઇ એન,વી,ચાવડાની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના ઇમરાનભાઈ ચુડાસમા અને તરુણભાઇ જાનીને બાતમી મળી હતી કે રવિરત્ન પાર્ક મેઈન રોડ ઉપરથી એક શખ્સ કારમાં દારૂનો જથ્થો ભરીને પસાર થવાનો છે આ બાતમી આધારે આરએમસી બગીચા પાસે વોચ ગોઠવી હતી ત્યારે બાતમીવાળી કાર પસાર થતા અટકાવી જડતી લેતા તેમાંથી 76,752 રૂપિયાનો દારૂ મળી આવતા પોલીસે કારચાલકની અટકાયત કરી નામઠામ પૂછતાં પોતે સાધુ વાસવાણી રોડ ગુરુજીનગર ક્વાર્ટરમાં રહેતો સુનિલ ઉર્ફે ભોલો સંતોષભાઈ દુબે હોવાનું જણાવ્યુ હતું આ દારૂનો જથ્થો કોની પાસે લાવ્યો તે અંગે પૂછતાં પોતે સાયલાના સુદામડાના પુનાભાઈ ઉર્ફે મામા રબારી પાસેથી લાવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી દારૂ, કાર, મોબાઈલ સહીત 4,74,252 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી સુનીલની ધરપકડ કરી સાયલાના સપ્લાયર મામાની શોધખોળ હાથ ધરી છે પકડાયેલો સનિલ અગાઉ રાજકોટમાં ડીસીબી, ગાંધીગ્રામ, યુનિવર્સીટી, ભક્તિનગર અને પ્રનગર પોલીસ સ્ટેશનમાં દારૂ, મારામારી, ધમકી સહિતના દસ ગુનામાં પકડાઈ ચુક્યો હોવાનું જાણવા મળ્યું છે આ કામગીરીમાં સ્ટાફ એસ્થે કિરીટભાઈ રામાવત, દિવ્યરાજસિંહ ચુડાસમા અને સંજયસિંહ જાડેજા પણ જોડાયા હતા.




