ડૉ.દેવજી સાંખટ : ઓર્ડર ઓર્ડર
ભારતમાં ભાગીદારી પેઢીનું સંચાલન ભારતીય ભાગીદારી અધિનિયમ, ૧૯૩૨ હેઠળ થાય છે. જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિઓ સાથે મળીને કોઈ વેપાર કે વ્યવસાય કરવાનો નિર્ણય કરે છે, ત્યારે તેમની વચ્ચે સબંધોની શરૂઆત થાય છે. મુક્ત સ્પર્ધા અને આર્થિક લાભ મેળવવાની ઘેલછામાં ઘણીવાર ભાગીદારો વચ્ચે મતભેદો ઊભા થાય છે. આ કાનૂની માળખું ભાગીદારોના આંતરિક સંબંધોને નિયંત્રિત કરે છે અને દરેક વ્યક્તિના હકો તેમજ જવાબદારીઓની સ્પષ્ટ સીમા નક્કી કરે છે. કોઈ પણ વ્યાપારી સાહસ શરૂ કરતી વખતે ભાગીદારી કરાર સૌથી મહત્વનો દસ્તાવેજ ગણાય છે. જો કે, માત્ર કરાર હોવાથી વિવાદો સંપૂર્ણપણે ટળી શકતા નથી. વ્યાપારી નિર્ણયોમાં અસંમતિ, નફાની વહેંચણીમાં ગેરરીતિ, અને વહીવટી સત્તાનો દુરુપયોગ જેવા કારણોસર ભાગીદારો વચ્ચે સંઘર્ષ જન્મ લે છે.
- Advertisement -
ભાગીદારીમાં વિવાદના કારણો
ભાગીદારી પેઢીમાં વિવાદો ઉદ્ભવવા પાછળ અનેક વ્યાપારી અને માનવસહજ કારણો જવાબદાર હોય છે. સૌથી મુખ્ય કારણ હિસાબોની અસ્પષ્ટતા અથવા નાણાકીય ગેરરીતિ છે. જ્યારે કોઈ એક ભાગીદાર પેઢીના નાણાંનો અંગત ઉપયોગ કરે અથવા હિસાબી ચોપડા ગુપ્ત રાખવાનો પ્રયાસ કરે, ત્યારે અન્ય ભાગીદારોમાં અવિશ્વાસ પેદા થાય છે. આ ઉપરાંત, વહીવટી નિર્ણયોમાં અસંમતિ પણ મોટા વિવાદનું કારણ બને છે. એક ભાગીદાર કોઈ મોટો આર્થિક નિર્ણય અન્યની સંમતિ વિના લે ત્યારે કાનૂની અને વ્યાપારી સંઘર્ષ ઊભો થાય છે. કાર્યભારની અસમાન વહેંચણી પણ અસંતોષ જન્માવે છે, જેમાં સક્રિય રીતે કામ કરતો ભાગીદાર અન્ય નિષ્ક્રિય ભાગીદારો સામે વિરોધ નોંધાવે છે. નવા ભાગીદારને પ્રવેશ આપવો, જૂના ભાગીદારની નિવૃત્તિ અથવા કોઈ ભાગીદારના મૃત્યુ બાદ તેના વારસદારોના હક સંબંધિત બાબતોમાં પણ વિવાદો થાય છે. કાયદાકીય દ્રષ્ટિએ, જ્યારે કોઈ ભાગીદાર પોતાની મર્યાદા બહાર જઈને ત્રીજી વ્યક્તિ સાથે વ્યવહાર કરે છે અને પેઢીને આર્થિક જોખમમાં મૂકે છે, ત્યારે અન્ય ભાગીદારો વચ્ચે કાનૂની લડાઈ શરૂ થાય છે.
ભાગીદારનાં અધિકારો
નફાનો અધિકાર :કલમ-૧૩બી હેઠળ કરારમાં નક્કી થયા મુજબ અથવા કોઈ સ્પષ્ટતા ન હોય તો તમામ ભાગીદારો સરખા હિસ્સે પેઢીનો નફો કે નુકસાન વહેંચી લેવાનો કાનૂની અધિકાર ધરાવે છે.
સંચાલનનો અધિકાર :કલમ-૧૨બી હેઠળદરેક ભાગીદારને પેઢીના રોજિંદા ધંધાકીય કામકાજ અને સંચાલનમાં સક્રિયપણે ભાગ લેવાનો અને પોતાના મંતવ્યો રજૂ કરવાનો સંપૂર્ણ અધિકાર છે.
હિસાબો તપસવાનો અધિકાર :કલમ-૧૨ડી હેઠળભાગીદાર પેઢીના તમામ હિસાબી ચોપડાઓ, દસ્તાવેજો અને ચોપડાઓની નકલ જોવાનો, તેની તપાસ કરવાનો તથા પોતાની પાસે નકલ રાખવાનો અધિકાર ધરાવે છે.
મૂડી પર વ્યાજનો અધિકાર :કલમ-૧૩ડી હેઠળજો ભાગીદારે પેઢીને પોતાની મૂડી ઉપરાંત વધારાની લોન આપી હોય, તો કરાર મુજબ અથવા કાયદા અનુસાર વાર્ષિક ૬% લેખે વ્યાજ મેળવવાનો અધિકાર છે.
સંમતિનો અધિકાર :કલમ-૩૧(૧) હેઠળબધા ભાગીદારોની સર્વસંમતિ વગર પેઢીમાં કોઈ પણ નવી વ્યક્તિને ભાગીદાર તરીકે પ્રવેશ આપી શકાતો નથી. દરેક ભાગીદાર આ અંગે સમંતિ કે અસંમતિ આપી શકે છે.
ખર્ચ ભરપાઈનો અધિકાર :કલમ-૧૩ઈ હેઠળપેઢીના ધંધા માટે અથવા કટોકટીના સમયે ભાગીદારે પોતાના ખિસ્સામાંથી કરેલો વ્યાજબી ખર્ચ પેઢી પાસેથી પરત મેળવવાનો (ભરપાઈ કરવાનો) તેને પૂરો અધિકાર છે.
પેઢી માંથી નિવૃત્તિનો અધિકાર :કલમ-૩૨(૧) હેઠળકોઈપણ ભાગીદાર અન્ય ભાગીદારોને યોગ્ય નોટિસ આપીને અથવા કાયદાકીય શરતોનું પાલન કરીને પેઢીમાંથી નિવૃત્ત થવાનો કે છૂટા થવાનો અધિકાર ધરાવે છે.
પેઢીનાં વિસર્જનનો અધિકાર :કલમ-૪૪ હેઠળજો પેઢીમાં ગંભીર વિવાદ થાય કે અન્ય ભાગીદાર શરતોનો ભંગ કરે, તો કાયદાકીય માર્ગે પેઢીનું વિસર્જન (બંધ) કરાવવા માટે અદાલતમાં અરજી કરવાનો અધિકાર છે.
સિવિલ કેસની સંપૂર્ણ પ્રક્રિયા
(૧) કાનૂની નોટિસ :દાવો દાખલ કરતા પહેલાં અન્ય ભાગીદારોને એડવોકેટ મારફતે લીગલ નોટિસ મોકલવી હિતાવહ છે. જેમાં વિસર્જનની માંગણી અને હિસાબ પૂરો કરવાની મુદ્દત આપવી જોઈએ.
(૨) કોર્ટમાં દાવો દાખલ કરવો :વાદી પોતાના એડવોકેટ મારફતે Suit for Dissolution of Partnership Firm and Rendition of Accounts ની ફાઇલ તૈયાર કરી યોગ્ય કોર્ટમાં કેસ દાખલ કરશે.
(૩) સમન્સ અને હાજરી :કોર્ટ પ્રતિવાદીને સમન્સ ઇશ્યૂ કરશે અને સામાવાળાએ કોર્ટમાં હાજર થઈને પોતાનોલેખિત જવાબ (Written Statement) રજૂ કરવાનો રહેશે.
(૪) રીસીવરની નિમણૂક : કેસ ચાલુ હોય તે દરમિયાન જો મિલકતો વેચાઈ જવાની કે ગડબડ થવાની ભીતિ હોય, તો Order 40 CPC હેઠળ કોર્ટ પાસે Court Receiver ની નિમણૂક કરાવી શકાય છે.
(૫) પ્રાથમિક હુકમનામું : આધાર-પુરાવા અને સુનાવણી બાદ કોર્ટ પહેલાંપ્રાથમિક હુકમનામુંપસાર કરશે. જેમાં જાહેર કરાશે કે પેઢીનું વિસર્જન થાય છે અને હિસાબો તપાસવાનો આદેશ અપાશે.
(૬) રીસીવર વડે હિસાબની તપાસ:આર્થિક હિસાબોનું મુલ્યાંકન માટે કોર્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા લિક્વિડેટરને કોર્ટ કમિશ્નરતરીકે નીમે છે, જે હિસાબ તૈયાર કરીને કોર્ટમાં રિપોર્ટ રજૂ કરે છે.
(૭) આખરી હુકમનામું :કમિશનરના રિપોર્ટ અને બંને પક્ષોના વાંધા-વચકા સાંભળ્યા બાદ કોર્ટઆખરી હુકમનામું આપે છે જેમાં નક્કી થાય છે કે કોણે કોને કેટલા પૈસા ચૂકવવાના છે અને મિલકતની વહેંચણી કેમ થશે.
- Advertisement -
ભાગીદારી કેસમાં કાનૂની ઉકેલ
વિવાદ ઊભો થાય ત્યારે પ્રથમ તબક્કે ભાગીદારી કરારમાં દર્શાવેલી મધ્યસ્થતાની જોગવાઈનો ઉપયોગ કરી શકાય છે. જો મધ્યસ્થતા નિષ્ફળ જાય, તો ભાગીદારો દીવાની અદાલતમાં દાવો દાખલ કરી શકે છે. અદાલત વિવાદની ગંભીરતા જોઈને અંતરિમ મનાઈહુકમ આપી શકે છે, જેથી કોઈ ભાગીદાર પેઢીની મિલકતો વેચી ન દે અથવા નાણાકીય ગેરરીતિ ન કરે. આ ઉપરાંત, અદાલત પેઢીના વહીવટ અને મિલકતોની જાળવણી માટે સ્વતંત્ર રિસીવરની નિમણૂક પણ કરી શકે છે. ગંભીર નાણાકીય છેતરપિંડી કે બનાવટી દસ્તાવેજોના કિસ્સામાં ફોજદારી કાયદા હેઠળ પણ કાર્યવાહી થઈ શકે છે. કાનૂની માળખું વિવાદોના ઉકેલ માટે એક મજબૂત અને ન્યાયી પ્રણાલી પૂરી પાડે છે.
કોર્ટ કેસમાં ફ્રી કાનૂની માર્ગદર્શન માટે 9662633144 નંબર પર વોટ્સએપ કરી સંપર્ક કરી શકો છો, સામાજિક ઉત્તરદાયિત્વનાં ભાગ તરીકે આપને વિનામૂલ્યે કાનૂની માર્ગદર્શન આપવામાં આવશે.




