IQAC સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ સૌરાષ્ટ્ર વિભાગ દ્વારા જ્ઞાન સભાનું આયોજન કરાયુ હતુ
રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંતરિક ગુણવત્તા ખાતરી સેલ (IQAC) અને શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના સૌરાષ્ટ્ર વિભાગના સંયુક્ત ઉપક્રમે તા. 18 જુલાઈ, 2026ના રોજ વિશાળ ‘જ્ઞાન સભા’નું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના અસરકારક અમલ, ભારતીય જ્ઞાન પરંપરા, પ્રયોગાત્મક શિક્ષણ, ટેકનોલોજી આધારિત અભ્યાસક્રમો તેમજ વર્ષ 2047ના વિકસિત ભારતના લક્ષ્યને કેન્દ્રમાં રાખીને આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિઓ, શિક્ષણવિદો, શાળા-મહાશાળાના આચાર્યો, અધ્યાપકો અને ઉદ્યોગજગતના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉદ્ઘાટન સત્રમાં શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના રાષ્ટ્રીય સચિવ અતુલભાઈ કોઠારી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ઉત્પલ જોશી, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ ડો. રાજુલબેન ગજ્જર, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો. પ્રતાપસિંહ ચૌહાણ, કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહનભાઈ પટેલ તેમજ જીટીયુના પૂર્વ કુલપતિ ડો. નવીનભાઈ શેઠ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોમ્પ્યુટર વિભાગના અધ્યક્ષ ડો. અતુલગીરી ગોસાઈના સ્વાગત પ્રવચનથી થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે જ્ઞાન સભા માત્ર ચર્ચા માટેનું મંચ નહીં, પરંતુ દરેક શિક્ષણપ્રેમી પોતાનું યોગદાન આપી શકે તેવો વિચારમંચ છે. કાર્યક્રમ દરમિયાન પી.ડી. માલવિયા કોલેજ ઓફ કોમર્સના આચાર્ય ડો. કમલેશ જાની દ્વારા રચાયેલ ‘ભારતીય જ્ઞાન પરંપરા’ પુસ્તકનું મંચસ્થ મહાનુભાવો દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સત્રના અંતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો. અજયસિંહ જાડેજાએ આભારવિધિ કરી હતી.
- Advertisement -
જ્ઞાન સભામાં બે સમાનાંતર સત્રો યોજાયા હતા. એક સત્ર ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના આચાર્યો અને અધ્યાપકો માટે આંકડાશાસ્ત્ર ભવન ખાતે યોજાયો હતો, જ્યારે બીજો સત્ર શાળા સંચાલકો, શિક્ષકો અને આચાર્યો માટે અંગ્રેજી ભવન ખાતે યોજાયો હતો. ઉચ્ચ શિક્ષણના સત્રમાં ડો. પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકારનું ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે યોગદાન અંતે વિદ્યાર્થી વિકાસને મજબૂત બનાવે છે. જીટીયુના કુલપતિ ડો. રાજુલબેન ગજ્જરે ટેક્નિકલ શિક્ષણમાં પરંપરાગત પદ્ધતિઓથી બહાર આવી સંશોધન, નવીનતા અને ઇનોવેશનને વધુ સ્થાન આપવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. રાજકોટ મેનેજમેન્ટ એસોસિએશનના સેક્રેટરી વિશાલભાઈ સરવૈયાએ વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ, ઇનોવેશન અને ઉદ્યોગસાહસિકતા તરફ પ્રોત્સાહિત કરવાની સાથે યુનિવર્સિટી અને ઉદ્યોગો વચ્ચે વધુ મજબૂત તાલીમ વ્યવસ્થા ઊભી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. શાળા શિક્ષણના સત્રમાં ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના ભરતભાઈ ગાજીપરાએ ભારતીય જ્ઞાન પરંપરા, ભારતીય શિક્ષણ પદ્ધતિ અને મૂલ્યનિષ્ઠ શિક્ષણના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે શિક્ષણમાં પારદર્શિતા, પ્રામાણિકતા અને સતત પ્રયોગો દ્વારા વિદ્યાર્થીઓની આંતરિક શક્તિઓને ઓળખી તેને રાષ્ટ્રના હિતમાં ઉપયોગી બનાવવી જોઈએ. ભાવનગરના દીપકભાઈ ત્રિવેદીએ પોતાના અનુભવો રજૂ કરતાં જણાવ્યું હતું કે શિક્ષક માત્ર પાઠ્યપુસ્તક પૂરતો સીમિત ન રહે, પરંતુ દરેક શૈક્ષણિક પ્રવૃત્તિને સકારાત્મક અભિગમ સાથે સ્વીકારી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરવું જોઈએ. ડી.વી. મહેતાએ જણાવ્યું હતું કે શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે થઈ રહેલા પ્રયાસો પ્રશંસનીય છે અને વર્ષ 2047ને ધ્યાનમાં રાખીને પ્રયોગાત્મક તથા ટેક્નોલોજી આધારિત શિક્ષણને પ્રાથમિકતા આપવી સમયની માંગ છે. ડો. કમલેશ જાનીએ જણાવ્યું હતું કે શાળા શિક્ષણ દરમિયાન વિદ્યાર્થીઓમાં સંસ્કાર, ભારતીયતા, પારદર્શિતા અને પ્રામાણિકતા જેવા મૂલ્યોનું સિંચન શિક્ષકોએ જ કરવાનું છે. તેમણે કૌશલ્ય આધારિત શિક્ષણ અને સ્કિલ ડેવલપમેન્ટ કેન્દ્રોની ઉપયોગિતા પર પણ ભાર મૂક્યો હતો.
ભોજન વિરામ બાદ યોજાયેલા દ્વિતીય સત્રમાં ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ ડો. ભરતભાઈ રામાનુજે જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિનો હેતુ માત્ર અભ્યાસક્રમોમાં ફેરફાર કરવાનો નથી, પરંતુ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને વધુ સામર્થ્યવાન બનાવવાનો છે. અંજારના મહેશભાઈ ઓઝાએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા, જ્યારે રાજકોટની મુરલીધર સ્કૂલના સ્થાપક માર્ગદર્શક ડો. દર્શિતભાઈ જાનીએ જણાવ્યું હતું કે શિક્ષકના વર્તન, વાણી અને વ્યક્તિત્વની અસર વિદ્યાર્થીઓના સમગ્ર જીવન પર પડે છે અને તેથી સંસ્કાર આધારિત શિક્ષણને વિશેષ મહત્વ આપવું જોઈએ. સમાપન સત્રની અધ્યક્ષતા શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના રાષ્ટ્રીય સહ-સંયોજક ઓમપ્રકાશ શર્માએ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દેશભરમાં શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન માટે પ્રયોગાત્મક શિક્ષણ અને નવી વિચારસરણીને વ્યાપક સ્વીકાર મળી રહ્યો છે. કાર્યક્રમના અંતિમ તબક્કામાં ઉદ્યોગપતિઓ સાથે વિશેષ ચર્ચા સત્ર યોજાયું હતું. બાલાજી વેફર્સના દુભાઈ વીરાણીએ જણાવ્યું હતું કે સંશોધકો, વિદ્યાર્થીઓ અને અધ્યાપકો માટે ઉદ્યોગોના દ્વાર ખુલ્લા હોવા જોઈએ જેથી પ્રાયોગિક જ્ઞાન અને કુશળતા વિકસે.
રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રભાઈ પાંચાણીએ જણાવ્યું હતું કે ઉદ્યોગોની વર્તમાન જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીઓ સાથે સંકલન કરીને નવા અભ્યાસક્રમો અને પ્રોજેક્ટ વિકસાવવા એસોસિએશન સંપૂર્ણ સહકાર આપશે. અતુલભાઈ કોઠારીએ ઉદ્યોગપતિઓને સંબોધતા જણાવ્યું હતું કે ઉદ્યોગો અને યુનિવર્સિટીઓ વચ્ચે સતત સંવાદ રહેશે તો ઉદ્યોગોની જરૂરિયાત મુજબના અભ્યાસક્રમો વિકસાવી શકાશે, જેના પરિણામે રોજગારલક્ષી અને ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ વેગ મળશે. આ ચર્ચાસત્રમાં અમૃતભાઈ ગઢીયા, પરાક્રમસિંહ જાડેજા, રાજુભાઈ હરિયાણી, જગદીશભાઈ કોટડિયા, હાપાણી, ગજેરાભાઈ સહિતના અગ્રણી ઉદ્યોગપતિઓએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. કાર્યક્રમના અંતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો. અજયસિંહ જાડેજાએ ઉપસ્થિત ઉદ્યોગપતિઓનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં યુનિવર્સિટી અને ઉદ્યોગજગત વચ્ચે સતત સંકલન જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે સર્વોદય કોલેજના આચાર્ય મહેન્દ્રસિંહ રાણા, વિરંચીભાઈ દવે, ડીસાન ગોંડલિયા, કોમ્પ્યુટર વિભાગના સભ્યો, વહીવટી સ્ટાફ, વીવીપી એન્જિનિયરિંગ કોલેજની ઉર્જાબેન માકડ, સામાન્ય વિભાગના શુભેન્દુભાઈ ગઢવી સહિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.
- Advertisement -
નવી શિક્ષણ નીતિનો ગુણવત્તાયુક્ત અમલ સમયની માંગ : ડો. નવીનભાઈ શેઠ
જીટીયુના પૂર્વ કુલપતિ ડો. નવીનભાઈ શેઠે શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસની વિવિધ પ્રવૃત્તિઓનો પરિચય આપતાં જણાવ્યું હતું કે ટેક્નિકલ શિક્ષણમાં ગુણવત્તા, સંશોધન અને નવીન પ્રયોગો હવે વૈકલ્પિક નહીં પરંતુ સમયની અનિવાર્ય જરૂરિયાત બની ગયા છે. વર્ષ 2047ના ભારતને ધ્યાનમાં રાખીને શિક્ષણમાં એવા પ્રયોગો જરૂરી છે જે તેજસ્વી વિદ્યાર્થીઓ અને સામર્થ્યવાન શિક્ષકોના સંકલન દ્વારા દેશના વિકાસમાં સીધું યોગદાન આપે.
શિક્ષણમાં ભારતીયતા દ્વારા જ વિકસિત ભારતનું નિર્માણ શક્ય : અતુલભાઈ કોઠારી
મુખ્ય વક્તા તરીકે સંબોધન કરતાં અતુલભાઈ કોઠારીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 માત્ર શૈક્ષણિક સુધારાનો દસ્તાવેજ નથી, પરંતુ દેશના સર્વાંગી વિકાસનો માર્ગદર્શક છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે શાળા, મહાશાળા, યુનિવર્સિટીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ ઉદ્યોગજગત એકબીજાના સહયોગી બનીને કાર્ય કરશે ત્યારે જ 2047ના સમર્થ ભારતનું સ્વપ્ન સાકાર થશે. તેમણે શિક્ષણમાં ભારતીયતા, મૂલ્યનિષ્ઠા અને ગુણવત્તાયુક્ત અમલને કેન્દ્રસ્થાને રાખવાની હાકલ કરી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સતત નવા અભ્યાસક્રમો વિકસાવી રહી છે : ડો. ઉત્પલ જોશી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ઉત્પલ જોશીએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ને અનુરૂપ નવા અભ્યાસક્રમો તૈયાર કરી રહી છે. વિવિધ ભવનોના અધ્યક્ષો સાથે સંકલન કરીને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થાય તેવા અભ્યાસક્રમોને અમલમાં મૂકવાની પ્રક્રિયા ચાલી રહી છે. તેમણે જણાવ્યું હતું કે દરેક વિષયના “બાસ્કેટ”માં નવા વિષયો ઉમેરાઈ રહ્યા છે અને સંલગ્ન કોલેજોમાં તેનો અમલ પણ ધીમે ધીમે વિસ્તરી રહ્યો છે.




