બ્યુટી પાર્લર સંચાલિકાનો વિશ્વાસ કેળવી મેળવેલા દાગીના જુદી જુદી મંડળીમાં ગીરવે મૂકી દીધા
પોલીસ કમિશ્નરમાં અરજી કર્યા બાદ સમાધાન કર્યું છતાં 25 લાખ નહીં ચુકવતા અંતે નોંધાવી પોલીસ ફરિયાદ
- Advertisement -
રાજકોટના લક્ષ્મીનગર પાછળ રાધાનગરમાં રહેતા અને ઘરેથી જ બ્યુટી પાર્લર ચલાવતા તેમજ સાથે કોસ્મેટીકની વસ્તુઓનુ પણ વેચાણ કરતા હેતલબેન તુષારભાઈ પરસાણાએ નાના મવા મેઈન રોડ શાસ્ત્રીનગર અજમેરમાં આવેલ માધવ એપાર્ટમેન્ટમાં રહેતા શક્તિ રમેશભાઈ રાઠોડ સામે 25 લાખની છેતરપિંડી અંગે માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈ જાન્યુઆરી-2025માં મારી ફ્રેન્ડ મારફતે તેના પિતરાઈ ભાઈ શકિત રાઠોડનો સંપર્ક થયો હતો શક્તિ કોર્પોરેશનમાં કોન્ટ્રાકટ રાખવાનું કામ, તથા કોસ્મેટીક આઈટમ લે -વેચનું તથા શ્રી રામ પંજાબી ચાઈનીઝ એન્ડ ઢોસા જેવા અલગ અલગ ધંધા કરે છે તેમ અમને જણાવ્યુ હતુ.
ત્યાર બાદ ગત ફેબ્રુઆરી-2025માં શકિત રાઠોડએ અમને જણાવેલ કે તેના એક મિત્ર સોનાના જુના દાગીનાના બદલામાં ઝીરો ટકા મજુરીએ નવા દાગીના બનાવી આપવાની સ્કીમ ચલાવે છે. જેથી મે તેની વાતમાં આવીને 2-3દાગીના આપેલ જે દાગીના પૈકી 2 દાગીના નવા જેવા કરીને પરત આપીને અમોને તેના વિશ્વાસમાં લીધેલા ત્યાર બાદ તે દાગીના પણ આ શક્તિ રાઠોડ પરત લઇ ગયેલા અને ધીરે-ધીરે અમારા ઘરમાં પડેલ સોનાના દાગીના ઉપરાંત અમારા લોકરમાં પડેલ અમારા તથા અમારા સાસુ તેમજ પતિના સોનાના દાગીના જેનું આશરે કુલ વજન 720 ગ્રામ જેટલું છે તે તમામ જુનામાંથી નવા દાગીના બનાવવા માટે શક્તિ રાઠોડ અમારી પાસેથી લઈ ગયેલ અને મને જણાવેલ હતુ કે તમારે તાત્કાલિક જરૂર પડે તો 10થી 12 દિવસમાં આપી દેશે બાકી નવા તૈયાર થઇ જશે એટલે તરત અમો તમને આપી દઈશુ તેવું જણાવ્યુ હતું
બાદ અમારા સોનાના દાગીના પરત આપતા ન હોય જેથી મે આ બાબતે મારા પતિ તુષાર તથા મારા જેઠ વ્યોમેશભાઈ તથા મારા સાસુ પાર્વતીબેન તથા મારા સસરા મનસુખભાઈ તથા મારા ફ્રેન્ડ બીનાબેનને જાણ કરી હતી. ત્યાર બાદ અનેક વખત ફોન કર્યા બાદ તેણે 10 ડિસેમ્બર 2025ના રોજ લેખિતમાં કાગળ ઉપર બાહેંધરી આપેલ કે તમને તમારા સોનાના દાગીના તા.17 ડિસેમ્બર 2025ના રોજ આપી દઈશ ત્યાર બાદ અનેક વખત ફોન ઉપર તથા રૂબરૂમાં જણાવેલ કે મારા સોનાના દાગીના કઈ જગ્યાએ બનાવવા આપેલ છે ત્યાં લઇ જવા જણાવેલ ત્યારે અંતે તેણે એવું જણાવેલ કે તેને આ સોનાના દાગીના યદુનંદન નામની મંડળી તેમજ અન્ય જગ્યાએ ગીરવે મુકેલ છે અને તે તમા મ જગ્યાએ રૂપિયા ભર્યા બાદ દાગીના પરત મળશે. જેથી અમોએ સોનાના દાગીના ગીરવે મુકેલ ત્યાં લઇ જવા જણાવેલ તો ત્યાં પણ લઇ ગયેલ નહિ અને આજે મળશે, કાલે મળશે તેવા બહાના બનાવતા હતા.
આમ, આ શક્તિ રાઠોડએ મને મારા જુના સોનાના દાગીના માંથી નવા દાગીના બનાવી આપશે તેવું ખોટું જણાવી અમારા દાગીના ગીરવે મુકી તેના ઉપર લોન લઇ લીધેલ અને તે રકમ પણ પોતે પોતાની પાસે રાખી અને પોતે ઓળવી ગયેલ. ત્યાર બાદ શરતો મુજબ શકિત રાઠોડે સમયસર રકમ ચુકવી આપવાની અને ચેક વટાવાઈ જાય અને અમારી રકમ અમોને મળી જાય તેવી વ્યવસ્થા કરી આપવાનું નક્કી થયેલ જે શરત મુજબ તા.21 જાન્યુઆરી 2026ના રોજ રોકડા 25 લાખ આપ્યા હતા ત્યાર બાદ 28 ફેબ્રુઆરી 2026ના રોજ 15 લાખનો ચેક રિટર્ન થતા આ શક્તિ રાઠોડે રોકડા 15 લાખ પુરા ચુકવી દીધા હતા ત્યાર બાદ 31 માર્ચનો 15 લાખનો ચેક પણ રિટર્ન થતા મને રોકડા 15 લાખ પુરા ચુકવી દીધા હતા ત્યાર બાદ 25 લાખનો ચેક તા.18 જૂન 2026ના રોજ પણ રિર્ટન થયેલ હતો જે રકમ આજદીન સુધી ચુકવેલ ન હોય જેથી અમોને તથા અમારા પરીવારના સભ્યોને ખુબજ માનસીક આઘાત લાગેલ તેમજ અમો ડિપ્રેશનમા આવી ગયેલ હોય આ શક્તિ રાઠોડ અમારા સોનાના દાગીના ઓળવી ગયેલ હોય અંતે ફરિયાદ નોંધાવી હતી.
- Advertisement -
પોલીસ કમિશ્નરને અરજી કરતા 80 લાખ ચૂકવવા સમજૂતી કરાર કર્યો
ફરિયાદમાં વાદ્યમાં જણાવ્યું હતું કે ગત 26 ડિસેમ્બર 2025ના રોજ પોલીસ કમિશ્નરને લેખિત અરજી કરી હતી આ મારી અરજી આર્થિક ગુન્હા નિવારણ શાખામાં જેની તપાસ ચાલુ હતી તે દરમ્યાન આ શકિત રાઠોડ ત્યાં હાજર થયેલ ત્યારે તેની સાથે તેના બનેવી અલ્પેશભાઈ ગોહેલ પણ આવેલ અને સમાધાન કરી અમારા સોનાના દાગીનાના બદલામાં રકમ આપવા માંગે છે જે બાબતે આ શક્તિ રાઠોડના પિતા રમેશભાઈ રાઠોડ સાથે પણ વાતચીત થઈ હતી અને તે સમયે રમેશભાઈએ 95 લાખ આપવાનું જણાવેલ પરંતુ શક્તિ રાઠોડએ માત્ર 80 લાખ જ આપવાની તૈયારી બતાવેલ જેથી તે અંગે તા.19 જાન્યુઆરી 2026ના રોજ નોટરી એડવોકેટ રૂબરૂ એક સમજુતી કરાર કરી આપ્યો હતો
લગ્નમાં જવાનું હોય દાગીના માંગતા ખોટા વાયદાઓ આપતો
નવેમ્બર-2025માં મારે એક લગ્ન પ્રસંગમા જવાનું હોઈ જેથી અમારે સોનાના દાગીનાની જરૂર પડતા મે આ શક્તિ રાઠોડને મારી પાસેથી લઇ ગયેલ સોનાના દાગીનામાથી બનાવેલ નવા દાગીના આપી જવા જણાવતા દાગીના પરત આપી ગયેલ નહી જેથી આ શક્તિને અનેક વખત ફોન તથા રૂબરૂમાં અમારા સોનાના દાગીનાની માંગણી કરતા 3-ચેન અને એક જોડી બુટી પરત આપી ગયેલ. ત્યાર બાદ બાકીના દાગીના જેનું આશરે વજન 620 ગ્રામ જેટલું થાય છે તે અનેક વખત આપી જવા માટે શક્તિ રાઠોડને જણાવીએ તો એવું કહેતા કે હજી નવા દાગીના તૈયાર થયા નથી તૈયાર થઇ જાય એટલે મારે તમારા દાગીના આપી જ દેવાના છે એવા વાયદાઓ આપતો હતો.




