રેખા પટેલ (ડેલાવર) : લેટ્સ ટોક
”સોશિયલ મીડિયામાં ‘ફોલોઅર્સ’ કરતા વિવેક વધુ જરૂરી છે.”
- Advertisement -
સોશિયલ મીડિયા આજે માત્ર સમય પસાર કરવાનું સાધન રહ્યું નથી. આ ઘણા લોકો માટે રોજીંદી જીવનશૈલી બની ગયું છે. કેટલાક માટે તે સવારની ચા જેટલુ જરૂરી બની ગયું છે, તો કેટલાક માટે રાત્રે સૂતા પહેલાંનો છેલ્લો સાથી સંગાથી. સમય પસાર કરવા ફોનનો સહારો હોય તો વાત બરાબર છે પરંતુ તેને જોયા વગર અશાંતિ થવા લાગે, વારંવાર ફોન હાથમાં લેવાની ઇચ્છા થાય અને પારિવારિક સંબંધો કરતાં સ્ક્રીન વધુ મહત્ત્વની લાગે, ત્યારે સમજવું જોઈએ કે એક પ્રકારનો નશો બની પક્કડમાં લઇ રહ્યો છે.
આ નશાની સૌથી મોટી ખાસિયત એ છે કે તે દેખાતો નથી. દારૂ કે તમાકુની જેમ તેની કોઈ ગંધ નથી, પરંતુ તેની અસર માણસના સ્વભાવ, સંબંધો અને માનસિક સ્થિતિને સંપૂર્ણપણે જકડી રાખે છે. ભલે એમાં વધારે ખર્ચ નથી છતાં સહુથી મહત્વનો એવો સમય વેડફાઈ જાય છે. બીજી તરફ, એ પણ એટલું જ સાચું છે કે સોશિયલ મીડિયાએ હજારો લોકોને એકલતામાંથી બહાર કાઢ્યા છે. કોઈ વૃદ્ધ વ્યક્તિ, જે નિવૃત્તિ પછી એકલતા અનુભવે છે, તે જૂના મિત્રો સાથે ફરી જોડાય છે. વિદેશમાં રહેતો યુવાન પોતાના ગામના લોકો સાથે સંપર્કમાં રહે છે. ગૃહિણી પોતાના શોખને વિકસાવી સોશિયલ મીડિયા દ્વારા અલગ ઓળખ ઉભી કરે. નિરાશ વ્યક્તિને અજાણ્યા લોકોના પ્રોત્સાહક શબ્દો ફરી જીવવાની આશા આપે છે, જરૂરીયાત વાળાને આર્થિક કે માનસિક સહાય પણ આ પ્લેટફોર્મ દ્વારા મળી શકે છે.
સોશિયલ મીડિયાએ આપણને દુનિયા સાથે જોડ્યા છે, પરંતુ બીજી બાજુ અતિ ઉપયોગમાં પોતાના લોકોથી દૂર પણ કરી દીધા છે, તેનો હિસાબ કદાચ કોઈ એપ્લિકેશન બતાવી શકે તેમ નથી. હજારો ફોલોઅર્સ હોવા છતાં જો મનની વાત કરવા માટે એક પણ વિશ્વાસપાત્ર વ્યક્તિ ન હોય, તો એ જોડાણ નહીં, એક ભ્રમ છે. હજારો ઓન લાઈન મિત્રોમાં કોઈને રૂબરૂ મળ્યા ના હોય કે પછી ઊંડાણથી જાણતા ના હોઈએ તો મનની વાતો કહેવાનો કોઈ અર્થ પણ નથી. આવા સમયે વિશ્વાસઘાત થવાનો સંપૂર્ણ ચાન્સ રહેવાનો.
- Advertisement -
સોશિયલ મીડિયા પર હજારો ‘ફોલોઅર્સ’ હોવા એ લોકપ્રિયતાની નિશાની હોઈ શકે, પરંતુ તે સાચા સંબંધોની ખાતરી નથી. ફોલોઅર્સ તમારી પોસ્ટને પસંદ કરી શકે, તમારી તસવીર પર સાચી કે બનાવટી પ્રશંસા લખી શકે, તમારી સફળતામાં સ્ટીકરો બતાવી ખુશી વ્યક્ત કરી શકે છે, પરંતુ જ્યારે જીવનમાં અચાનક કોઈ મુશ્કેલ વળાંક આવે, ત્યારે એ હજારોમાંથી કેટલા લોકો તમારી બાજુમાં ઊભા રહે છે?
મુશ્કેલીના સમયમાં જે વ્યક્તિ કોઈ સ્વાર્થ વગર પૂછે, “કેમ છો?” કે હું છું તારી સાથે. બસ આજ હજારો લાઈક્સ સામે વધુ કિંમતી હોય છે. સાચા સંબંધોની ઓળખ લાઇક્સથી થતી નથી, પરંતુ લાગણીઓથી થાય છે.
આપણે બાળપણમાં માત્ર ફળિયા કે ગામના લોકોથી આગળ કોઈ દુનિયા નથી જોઈ એવા યુગમાંથી આવીએ છીએ. અને આજે દુનિયાના છેડે આજ મીડિયા દ્બારા પહોચી ગયા છીએ ત્યારે તેને વખોડવું પણ યોગ્ય નથી. બસ સાવધાનીની ખુબ જરૂરી છે. જીવનની સંપત્તિ ફોલોઅર્સની સંખ્યાથી નહિ પરંતુ ખુશીમાં સાથે નિઃસ્વાર્થ હસે અને દુઃખમાં બાજુમાં ઊભા રહે એવા સંબંધોથી મપાય છે. ભીડમાં પણ એકલતાનો અનુભવ ના થાય એ માટે વર્ચ્યુંએલ દુનિયાને નશો ના બનાવતા માત્ર જોવા જાણવા માટેનું સાધન બનાવવું જોઇયે. આજથી બાર પંદર વર્ષ પહેલા ફેસબુકમાં મિત્રો સાથે જે આત્મીયતા હતી એના કરતા તદ્દન વિરુદ્ધ અનુભવ લગભગ બધાને થતો હશે. કારણ આજે સંપર્કો વધી રહ્યા છે, પરંતુ સંબંધો અને એમાંની મીઠાશ ઘટી રહ્યા છે. ઓળખાણો વધી રહી છે, પરંતુ આત્મીયતા ઓછી થઈ રહી છે.
એક સમય હતો જ્યારે માણસ એકલતા દૂર કરવા લોકો વચ્ચે જતો હતો. આજે લોકો વચ્ચે બેઠો હોય છે, છતાં એકલો હોય છે. કારણ કે હવે આંખો એકબીજાને ઓછી મળે છે અને સ્ક્રીનને વધુ જોતી હોય છે. તેનું દિમાગ અને દિલ ત્યાજ અટકેલું હોવાથી બાજુના સબંધોને યોગ્ય ન્યાય આપી શકતો નથી. પરિણામે એ સંબંધો કથળતાં જાય છે.
એક પ્રશ્ન મનમાં આવે છે “આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ કે સોશિયલ મીડિયા આપણો ઉપયોગ કરે છે?”
એક સામાન્ય પરિવાર વર્ષો પહેલા જમવા બેસતો ત્યારે હસી ખુશી અને થાળી વાટકીના ખખડાટ સાથે હાસ્ય રહેતું. આજે એવોજ પરિવાર જમવા બેસે ત્યારે એ દરેકના હાથમાં મોબાઈલ છે. ફોનની ટકાટક કોઈ રીલ્સ જોઈ રહ્યું છે, કોઈ ચેટમાં વ્યસ્ત છે, કોઈ ફોટા અપલોડ કરી રહ્યું છે. બહારથી જોઈએ તો પરિવાર સાથે જામે છે, પરંતુ હકીકતમાં દરેક વ્યક્તિ પોતાની અલગ ડિજિટલ દુનિયામાં ખોવાયેલી છે. લાગણીઓ વ્યક્ત થતી નથી, વાતચીત થતી નથી અને આમજ એક જ ઘરમાં રહેતા લોકો વચ્ચેનું અંતર વધવા લાગે છે. આજે ઘણા ઘરોમાં આ દૃશ્ય સામાન્ય બની ગયું છે. દુનિયા સાથે સતત જોડાયેલો દેખાતો માણસ પોતાના જ નજીકના લોકો સાથેનો સંબંધ ગુમાવી બેસે છે.
આજે ઘણા લોકો સોશિયલ મીડિયા પર કલાકો વિતાવે છે. દરેક પોસ્ટ પર કેટલા લાઇક્સ આવ્યા, કોમેન્ટ કોણે કરી, કોની સ્ટોરી જોઈ—કોઈ ક્યા ગયું , શું કર્યું આ બધી વાતોનો ખ્યાલ રાખવો હિસાબ રાખવો એ દિનચર્યાનો ભાગ બની જાય છે. પરંતુ ઘરમાં વડીલ હોય તો તેઓ જમ્યા કે નહિ, તેમની કેમ છે એ પૂછવાનો પણ સમય મળતો નથી.
બાળક ઘરમાં ઓછું બોલે કે મિત્રો સાથે મળવાનું ટાળે છે ત્યારે સમજવું કે એ વર્ચ્યુંલ દુનિયાનો આદિ બની ગયો છે. આવા સમયે માતાપિતાએ સચેત થઇ જવું જોઈએ.
ઘણી ઓન લાઈન ગેમ પણ ખતરનાક હોય છે. “ બ્લુ વ્હેલ ચેલેન્જ” આજથી આઠ વર્ષ પહેલા આ ગેમ ચર્ચામાં હતી. જેમાં ભાગ લેનાર દરેકને ટાસ્ક આપવામાં આવતા જે અંતમાં ખતરનાક મોડ સુધી પહોંચી જતા. આ કારણે આ ગેમ ને બંધ કારી હતી. આવી ઘણી ગેમ છે જેમાં આજના બાળકો અને યુવાનો પોતાનો સમય અને એનર્જી નો વ્યર્થ બગાડ કરે છે.
એટલે જ સોશિયલ મીડિયા ન તો સંપૂર્ણ આશીર્વાદ છે, ન સંપૂર્ણ અભિશાપ. તે અરીસા જેવું છે—આપણે જે રીતે તેનો ઉપયોગ કરીએ છીએ, તે જ રીતે તે આપણને પરિણામ આપે છે. જો તેનો ઉપયોગ સંબંધો જાળવવા, જ્ઞાન મેળવવા અને પ્રેરણા આપવા માટે થાય, તો તે જીવનને સમૃદ્ધ બનાવે છે. સોશિયલ મીડિયા વિશે એક સામાન્ય માન્યતા એવી બની ગઈ છે કે અહીં જે કંઈ મૂકવામાં આવે છે, તે માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટે જ હોય છે. પરંતુ દરેક પોસ્ટ પાછળનો હેતુ એકસરખો હોતો નથી. કોઈ પોતાના આનંદની ક્ષણો વહેંચે છે, કોઈ પોતાના અનુભવમાંથી મળેલ વાત રજૂ કરે અને અજાણ્યા માણસ માટે પ્રેરણાનું કારણ બને.
જીવનમાં મળેલી ખુશીઓને વહેંચવાની ઇચ્છા પણ માનવસ્વભાવનો જ એક ભાગ છે. દુઃખને વ્યક્ત કરી મનનો ભાર હળવો કરવો એ પણ વ્યક્તિગત સ્વભાવ છે. આ પ્રકારની અભિવ્યક્તિમાં પ્રસિદ્ધિ કરતાં વધુ નિજાનંદ વધારે હોય છે.
પરંતુ આ સિક્કાની બીજી બાજુ પણ છે. સોશિયલ મીડિયા પર અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, પરંતુ તેની સાથે જવાબદારી પણ એટલી જ જરૂરી છે. અંગત જીવનની દરેક વાત જાહેર કરવી, દરેક લાગણીને પોસ્ટમાં ફેરવવી અથવા દરેક ક્ષણને દુનિયા સમક્ષ મૂકવી, હંમેશાં સમજદારીનું લક્ષણ નથી. આપણને ઘણીવાર સોશિયલ મીડિયા પર માત્ર લોકોની સફળતા, સંપતિ, સ્મિત અને ઉજવણી જોવા મળે છે. તેની પાછળના સંઘર્ષ, નિષ્ફળતા અને એકાંત ભાગ્યે જ દેખાય છે. આપણે માત્ર દેખાતી આ તસવીરોને જ સંપૂર્ણ સત્ય માની લઈએ, તો જીવન પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ ખોરવાઈ શકે છે
જીવનમાં જેમ દરેક બાબતના ફાયદા અને ગેરફાયદા હોય છે, તેમ સોશિયલ મીડિયા જ્ઞાનનું ભંડાર છે, પ્રેરણાનું મંચ છે અને વિચારોને વિશ્વ સુધી પહોંચાડવાનું સશક્ત માધ્યમ છે. પરંતુ અતિરેક થાય ત્યારે એ જ માધ્યમ સમયનો બગાડ, માનસિક અશાંતિ અને અનાવશ્યક સરખામણીઓનું કારણ પણ બની શકે છે.




