તંત્ર વેપારીઓ પર ભાવ વધારો ઝીંકશે તો વેપારીઓ પ્રજા પર બોજ નાખશે
લોકમેળાના પ્લોટમાં 10%નો ભાવ વધારો થઈ શકે તેમજ રાઇડસના ટિકિટ દર પણ વધવાની સંભાવના
- Advertisement -
બે દિવસમાં પ્લોટ અને સ્ટોલ રાખવા માટેના ફોર્મ ભરવાનું શરૂ કરવાની કલેક્ટર જાહેરાત કરે તેવી શક્યતા
11ના વધારા સાથે હવે સ્ટોલ-પ્લોટ કુલ 228 રહેશે
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાતીગળ લોકમેળો આ વખતે પણ રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાવાનો છે, ત્યારે આગામી 2થી 6 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા આ મેળામાં રાઇડસ રાખવા માટેના પ્લોટના ભાડાના 5થી 10 ટકાનો વધારો થવાનો છે, જેથી રાઈડ સહિતની ટિકિટના દર પણ વધે તેવી પૂરેપૂરી શક્યતા છે. ગત વર્ષે નાની રાઈડના રૂ.35 અને મોટી યાંત્રિક રાઈડના રૂ.50 રાખવામાં આવ્યા હતા. વહીવટી તંત્ર જો વેપારીઓ પર ભાડા વધારો ઝીંકશે તો વેપારીઓ ટિકિટના દર વધારી લોકો પર બોજો નાખશે.
કલેકટર કચેરીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ વખતે રાજકોટના જન્માષ્ટમી લોકમેળામાં સ્ટોલ અને પ્લોટની સંખ્યા વધીને 228 થવાની છે. આ વખતે 11 સ્ટોલ અને પ્લોટનો વધારો થયો છે. આ સાથે જ પ્લોટમાં જે રાઇડસ રાખવામાં આવે છે, તેની ટેન્ડર ફીમાં 5થી 10 ટકાનો વધારો થવા જઈ રહ્યો છે. જેથી કહી શકાય કે, વેપારીઓ દ્વારા ફજત-ફાળકા સહિતની રાઇડ્સમાં ટિકિટના દરમાં વધારો કરવા માટેની માગ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ કારણે વેપારીઓને વહીવટી તંત્ર વચ્ચે રકઝક થાય તેવી પરિસ્થિતિ છે. જોકે કલેક્ટર દ્વારા એક બે દિવસમાં પ્લોટ અને સ્ટોલ રાખવા માટેના ફોર્મ ભરવાનું શરૂ કરવાની જાહેરાત કરાશે.
યાંત્રિક રાઈડસનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિ ફરજિયાત
રાજકોટ શહેર માર્ગ અને મકાન વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર આ વખતે પણ યાંત્રિક રાઇડસ ધારકો માટે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ ફરજિયાત છે. જેમાં રાઇડસ ધારકોએ પોતાના એન્જિનિયર પાસે રાઈડનું ચેકિંગ કરાવ્યા બાદ નકશા સાથેનો રિપોર્ટ રાજકોટ શહેર માર્ગ અને મકાન વિભાગની કચેરી ખાતે જમા કરાવવાનો રહેશે. જે બાદ અમારી ટીમ ત્યાં તપાસ માટે જશે અને ત્યારબાદ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપશે.
વરસાદી પાણીના નિકાલ માટે સમ્પ નખાશે
આ વખતે લોકમેળા દરમિયાન ચોમાસામાં વરસાદી પાણી ભરાય તો તેના નિકાલ માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તે માટે સૌપ્રથમ કઈ જગ્યાએ પાણી ભરાય છે તે આઈડેન્ટીફાય કરવામાં આવશે અને તેના આધારે ત્યાં સમ્પ નાખવામાં આવશે જે બાદ સબમર્સીબલ મારફત વરસાદી પાણીનો નિકાલ થઈ જશે જેને કારણે લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે.




