માલધારી કાળુભાઇએ કહ્યું હાથ જડબામાં લીધો, અડધો કલાક છોડ્યો જ નહીં
ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરાજીયા ગામે આજે (૬ જુલાઈ) સવારે સિંહણે માલધારી કાળુભાઈ બોઘાભાઈ પરમાર પર હુમલો કર્યો હતો. જેનો લાઈવ વીડિયો વાઇરલ થયો છે. પ્રાથમિક મળતી વિગતો અનુસાર, કાળુભાઈના હાથનો ભાગ સિંહણે મોઢા લઈ લીધો હતો, ત્યારબાદ માલધારીએ સિંહણને પંપાળતા ગળાના ભાગે પંજો માર્યો હોવાનું જાણવા મળ્યું છે. લોહીલુહાણ માલધારીને તાત્કાલિક સારવાર માટે પાલિતાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે વધુ સારવાર માટે ભાવનગર ખસેડાયા અને વન વિભાગ દ્વારા હાલ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
- Advertisement -
ઈજાગ્રસ્ત કાળુભાઈ પરમારે જણાવ્યું કે, હું સવારમાં સાડા દસ વાગ્યે મારી ગાયને ઘાસચારો નાખવા માટે જતો હતો. સિંહણ બજારમાં બેઠી હતી. તેણે અચાનક મારી ઉપર હુમલો કર્યો. પહેલા મારહ મોઠ ઉપર મારીને મને પાડી દીધો અને પછી મારો હાથ તેના મોઢામાં લીધો હતો. લગભગ અડધો કલાક પકડી રાખ્યો હતો. આ પ્રકારની પહેલી જ વાર ઘટના બની છે, પશુઓ અને માણસ ઉપર પણ હુમલો કરે છે. બીજા એક માણસની ઉપર પણ હુમલો કર્યો હતો પણ તે ભાગીને નીકળી ગયો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક સિંહણ માલધારીને જમીન પર દબોચીને બેઠી છે અને આસપાસ ઉભેલા લોકો જોરજોરથી બૂમો પાડી રહ્યા છે. માલધારી પોતાનો જીવ બચાવવા માટે વલખા મારી રહ્યો છે અને સિંહણને હાથ ફેરવતો પણ દેખાઈ છે. સિંહણે પગને આંટી મારીને ડણક મારી હતી, લોકોએ પથ્થરના ઘા કર્યા હતા. માલધારીના શરીરના થોડાક ભાગો પર ઈજાઓ થઈ હોવાથી લોહી નીકળતું દેખાઈ છે. આસપાસના લોકો બચાવવા માટે બૂમો પાડી રહ્યાનો અવાજ સંભળાય છે.
વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોઢ કલાકે આવી
ગરજીયા ગામના સરપંચના પતિ સવજીભાઈએ જણાવ્યું હતું કે, આ બનાવ વિશે વનવિભાગને ફોન કરી જાણ કરી હતી અને દોઢ કલાકે વન વિભાગની ટીમ ઘટનાસ્થળે આવી હતી. વધુમાં તેમણે આક્રોશ સાથે જણાવ્યું હતું કે, માણસને પ્રાણી મારી નાંખે તો તેને કંઈ સજા નહીં. પણ પ્રાણીને માણસ મારી નાંખે તો તેને સજા મળે. છેલ્લા ૫ વર્ષથી ગામમાં સાવજ દેખાય છે. સાવજને તેમના હદ વિસ્તારમાં મોકલી આપવાની વિનંતી કરીએ છીએ.




