રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર
રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા મોચીનગરમાં રહેતા પરિવારની પિકનિક દરમિયાન કરુણ દુર્ઘટના સર્જાઈ હતી. વાગુદડ ગામ પાસે આવેલા આનંદવિહાર રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં પરિવાર સાથે નહાવા પડેલી 13 વર્ષીય મહેક યુનુસબિન ઈકબાલભાઈ મુકાસમ પાણીમાં ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મેટોડા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જામનગર રોડ પરના મોચીનગરમાં રહેતા યુનુસબિન ઈકબાલભાઈ મુકાસમ શનિવારે પરિવાર સાથે વાગુદડ ગામ નજીક આનંદવિહાર રિસોર્ટમાં પિકનિક મનાવવા ગયા હતા. સાંજે પાંચ વાગ્યાના અરસામાં તેમની 13 વર્ષીય પુત્રી મહેક પરિવારના અન્ય સભ્યો સાથે સ્વિમિંગ પૂલમાં નહાવા પડી હતી. દરમિયાન અચાનક તે પાણીમાં ગરકાવ થવા લાગી હતી.પૂલમાં હાજર પરિવારના સભ્યોનું ધ્યાન જતાં તાત્કાલિક મહેકને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ તેને બેભાન હાલતમાં સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે ફરજ પરના તબીબે તપાસ બાદ તેને મૃત જાહેર કરતાં પરિવાર પર આભ તૂટી પડયું હતું. હોસ્પિટલમાં પરિવારજનોના આક્રંદથી ગમગીન વાતાવરણ સર્જાયું હતું બનાવની જાણ થતાં મેટોડા પોલીસનો સ્ટાફ હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે જરૂરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો.
- Advertisement -
ત્રંબામાં આવેલી વાડીમાંથી માદા શ્વાન અને 80 કબૂતરની ચોરી : બે શખ્સની ધરપકડ
રાજકોટના કસ્તુરબાધામ એટલે કે ત્રંબામાં આવેલી વાડીમાંથી બે શખ્સો શ્વાન અને 80 કબૂતરની ચોરી કરી ગયા હતા. સીસીટીવી કેમેરાને કારણે બંનેનો ભાંડો ફૂટી ગયો હતો. આજી ડેમ પોલીસે ચોરી કરનાર ભાવિક અબસાણીયા અને કિશન અબસાણીયા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રાજકોટના કોઠારિયા રોડ પરના ગોકુલનગરમાં રહેતા ભાર્ગવ ચોટલિયાએ બે મિત્રો સામે આજી ડેમ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ત્રંબામાં મિત્ર રોહન માટિયાની વાડી બંને ભાગમાં છેલ્લા છ માસથી વાવે છે. જ્યાં અલગ-અલગ પ્રજાતીના નાના-મોટા 25 શ્વાન ઉપરાંત 250 કબૂતર રાખેલા છે. ગઇ તા.16ના રોજ તે અને રોહન ઉપરાંત ઈરફાન મીર રાજકોટ કામે આવ્યા બાદ રાત્રે ત્રંબાની વાડીએ પહોંચ્યા ત્યારે શ્વાન અને કબૂતરની દેખરેખ રાખતો યોગેશ સુરેલા મળ્યો હતો જેણે એક શ્વાન ગાયબ હોવાનું કહેતાં તત્કાળ તમામ શ્વાનને બહાર કાઢી તપાસ કરતાં ભુરી નામની માદા શ્વાન ગાયબ મળી હતી. જેની આસપાસ તપાસ કરી હતી પરંતુ પત્તો લાગ્યો ન હતો. તે વખતે યોગેશે કહ્યું કે, તેના મિત્રો ભાવિક અને કિશન સાંજે વાડીએ આવી શ્વાન રમાડતા હતા. તેને કામ હોવાથી કાળીપાટ જવા નીકળી ગયો હતો. પાછળથી શ્વાન ગાયબ થઈ ગયું હતું. તત્કાળ ભાવિક અને કિશનને કોલ કરતાં બંનેના મોબાઇલ સ્વીચ ઓફ ળ્યા હતા. ઘરે જતાં ડેલી ખોલી ન હતી. ત્યાર પછી રાજકોટમાં પેટ શોપ ધરાવતા વેપારીઓને ગાયબ માદા શ્વાનનો વીડિયો મોકલી જો વેચાવા માટે આવે તો જાણ કરવા કહ્યું હતું. આ પછી કબૂતર વેંચતા દિનેશ મકવાણાએ તેની દુકાને ત્રણ જણા ગઈ તા. ૧૧થી ૧૬ દરમિયાન કબૂતર વેંચવા માટે આવતા હતા ત્યારે તેમની પાસે તેની ગાયબ માદા શ્વાન હોવાનું કહ્યું હતું. વીડિયો જોતા પોતાની જ માદા શ્વાન હોવાનું સ્પષ્ટ થઈ ગયું હતું આખરે કબૂતર ચેક કરતાં 80 કબૂતર ગાયબ હતા. ગઈ તા.25ના રોજ બપોરે કિશન તેની વાડીએ આવી માદા શ્વાનને મુકી જતો રહ્યો હતો. બંને આરોપીઓએ જ ચોરી કર્યાનું સ્પષ્ટ થતાં ફરિયાદ નોંધાવી હતી. હવે પોલીસે બંને આરોપીઓને ઝડપી લઈ ચોરી કરેલા કબૂતર પરત મેળવવા તજવીજ શરૂ કરી છે. પોલીસે માદા શ્વાનની કિંમત 20 હજાર જ્યારે એક કબૂતરની
કિંમત 400 આંકી છે.
ગોંડલ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ કોહવાય ગયાનો વિડીયો વાયરલ કરનાર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સામે ગુનો
ગોંડલ સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ રૂમ પાસે ઊભા રહીને હોસ્પિટલ તંત્ર સામે ગંભીર આક્ષેપો કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવા બદલ ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સામે પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી શાંતિ-વ્યવસ્થા ડહોળવાનો પ્રયાસ કરવા બદલ ગોંડલ પોલીસે આ કાર્યવાહી કરી હતી જો કે કોંગ્રેસ પ્રમુખની ધરપકડ કર્યા બાદ જામીન પર છુટકારો થયો છે. ગોંડલ પોલીસના હેડ કોન્સ્ટેબલ મહાવીરભાઈ મનુભાઈ બોરીચાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર દેખરેખ દરમિયાન ફેસબુક પર એક વીડિયો જોવા મળ્યો હતો. આશરે 2 મિનિટના આ વીડિયોમાં ગોંડલ તાલુકાના ચોરડી ગામના રહેવાસી અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ધનશ્યામસિંહ ઝાલા ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે રૂબરૂ હાજર રહીને ઇન્ટરવ્યુ આપતા નજરે પડ્યા હતા આ વીડિયોના મથાળા પર “ગોંડલ સિવિલમાં ચોંકાવનારો આક્ષેપ, ફ્રીઝની ગેસ પાઈપ ચોરીથી મૃતદેહ કોહવાયો હોવાનો કોંગ્રેસ પ્રમુખનો દાવો” તેવું લખેલું હતું આ વીડિયોમાં હર્ષદસિંહ ઝાલાએ હોસ્પિટલ તંત્ર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે બે દિવસ પહેલા ચરખડી વૃદ્ધાશ્રમમાં એક નિરાધાર વૃદ્ધનું અવસાન થયું હતું તેમનો પરિવાર મુંબઈ રહેતો હોવાથી મૃતદેહને સાચવવા માટે ગોંડલ સિવિલ હોસ્પિટલના ફ્રીઝરમાં રાખવામાં આવ્યો હતો. ફ્રીઝરની સ્વીચ ચાલુ કરીને હોસ્પિટલ તંત્ર જતું રહ્યું હતું, પરંતુ પાછળથી કુલિંગની કોપરની નળી કોઈ ચોર ચોરી ગયો હતો. બે દિવસ પછી જ્યારે પરિવાર આવ્યો અને ફ્રીઝર ખોલ્યું ત્યારે ખબર પડી કે મૃતદેહ એકદમ કોહવાઈ ગયો છે તેમાંથી લોહી પણ બહાર નીકળતું હોવાનું જણાવ્યું હતું. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે હર્ષદસિંહ ઝાલાએ આ ગંભીર બાબતે સિવિલ હોસ્પિટલના કોઈ પણ અધિકારી કે કર્મચારીનો સંપર્ક કર્યો નહોતો અને હકીકતની કોઈ ખરાઈ પણ કરી નહોતી. હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ રૂમ પાસે ઊભા રહી પુરાવા વગરની વાતોનો વીડિયો બનાવી ફેસબુક જેવા પ્લેટફોર્મ પર દુષ્પ્રચાર કર્યો હોય પ્રજામાં પેનિક (ભય) ફેલાય અને શાંતિ વ્યવસ્થા બગડી શકે છે જેથી ગુનો નોંધવામાં આવ્યો હતો ગોંડલ સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર. ઝાલાના માર્ગદર્શન હેઠળ હર્ષદસિંહ ધનશ્યામસિંહ ઝાલા વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી બાદમા તેમનો જામીન પર છુટકારો થયો હતો. બનાવને પગલે કોંગ્રેસનાં આગેવાનો પોલીસ સ્ટેશન દોડી ગયા હતાં.




